મિત્રો, આજે સાંભળીએ મને ખુબ ગમતું એક પદ જેના શબ્દો અને ભાવ ખુબ જ હૃદયસ્પર્શી છે. વારંવાર સાંભળવાનું મન થાય તેવું આ પ્રાર્થના પદનો જૈન સ્તવનમાલા આલ્બમમાં સમાવેશ થયેલો છે.
*
સ્વર – નિશા ઉપાધ્યાય
પરણીને સાસરે જનાર નવી વહુને ભાગે સાસુના મહેણાં, નણંદના નખરાં અને સંયુક્ત ઘરના કામનો ઢગલો આવતો એવું માત્ર ફિલ્મોમાં નહીં પણ હકીકતમાં બનતું હોય છે. કોડભરી કન્યાને જ્યારે એવા કડવા અનુભવો થાય ત્યારે તે ગીત મારફત પોતાના હૃદયની વ્યથા વ્યક્ત કરે છે ને પોતાના વડીલોને પ્રાર્થના કરે છે કે હવે બીજી કોઈ દીકરીને અહીં ન પરણાવતા. ગીતમાં એવું ભલે વાગડ પ્રદેશ માટે કહેવાયું હશે પણ આ સમસ્યા સર્વવ્યાપક છે. શું આટલી પ્રગતિ અને કન્યા કેળવણી પછી આપણે આપણા ઘરમાં આવતી કોડભરી કન્યાને પુત્રીવત્ ગણી કેમ અપનાવી નહીં શકતા હોઈએ ? ..
*
પાંદડીના રૂપકથી નારીના જીવનની કહાણીની અદભુત રજુઆત. પિતાના ઘરે વાસંતી વાયરે ઝૂલતી કન્યા યુવાનીમાં પ્રવેશતા વાયરાને વળગીને પોતાની ડાળીથી ઈચ્છા કે અનિચ્છાએ વિખુટી પડી જાય છે. એની વ્યથાને ધાર આપતું વારંવાર સાંભળવું ગમે તેવું હૃદયસ્પર્શી ગીત. એટલું જ સુંદર સ્વરાંકન.
*
સંગીત: અમિત ઠક્કર, સ્વર: ગાર્ગી વ્હોરા, આલ્બમ- વિદેશિની
*
પાંદડી વાયરાને વળગી શું કામ ?
ડાળી પર ઝૂલતી’તી
ડાળી ઉપર ખૂલતી’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ ?
વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
આશા અમર છે એમ કહેવાયું છે. શબરીની તપશ્ચર્યા કદાચ એનું અમર ઉદાહરણ છે. શબરીને પોતાના ગુરુના વચનોમાં દૃઢ વિશ્વાસ હતો. એના ગુરુ, મતંગ મુનિએ એને કહેલું કે આ કુટિયા પર એક દિવસ ભગવાન રામ તને દર્શન આપવા જરૂર આવશે. મતંગ મુનિના દેહત્યાગ પછી પણ એમના વચનોમાં અડગ શ્રદ્ધા રાખી એ રોજ ભગવાન રામના આગમનની રાહ જોતી રહી. રામ પધારશે – એ વિશ્વાસ શબરીના જીવનનો પ્રાણવાયુ થઈ પડ્યો. કથાકારોએ ભલે શબરીને ભગવાન રામને એંઠા બોર ધરનારી આદિવાસી બાઈ તરીકે ચીતરી પરંતુ વાલ્મિકી રામાયણમાં દર્શાવ્યા મુજબ શબરી તપસ્વિની અને યોગિની હતી, જે પોતાની યોગશક્તિ વડે રામ-લક્ષ્મણને સીતાની શોધમાં પંપા સરોવર તરફ જવાનું માર્ગદર્શન આપે છે. ભારતના ઈતિહાસને ઉજ્જવળ કરનાર કેટલીક રત્ન સમાન સ્ત્રીઓમાં જેની ગણના કરી શકાય એવી શબરીની તપશ્ચર્યાનું ચિત્રણ કરતું વારંવાર સાંભળ્યા કરવાનું મન થાય એવું આ ભજનગીત સાંભળીએ.
*
સંગીત – ગૌરાંગ વ્યાસ, સ્વર – કલ્યાણી કવઠાલકર
હિરણ્યકશિપુની મનાઈ છતાં પ્રહલાદે ભગવાનનું સ્મરણ ન છોડ્યું. ભરતે માતા કૈકેયીનો ત્યાગ કર્યો પણ રામનું નામ ન છોડ્યું, એવા અનેક દાખલા ઇતિહાસમાં મોજૂદ છે. ઈશ્વરનું સ્મરણ, મનન અને નિદિધ્યાસન કરવામાં જે બાધારૂપ હોય તેનો ત્યાગ કરવો જોઈએ – એવો સંદેશ આપતું આપણા આદિકવિ નરસિંહ મહેતાનું આ સુંદર ભજન સાંભળીએ વિવિધ સ્વરોમાં.
*
*
*
*
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીયે રે.
કુળને તજીયે, કુટુંબને તજીયે, તજીયે મા ને બાપ રે;
ભગિની-સુત-દારાને તજીયે, જેમ તજે કંચુકી સાપ રે … નારાયણનું નામ.
પ્રથમ પિતા પ્રહલાદે તજીયો, નવ તજીયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજીયા શ્રીરામ રે … નારાયણનું નામ.
ઋષિપત્નિએ શ્રીહરિ કાજે, તજીયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કાંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે … નારાયણનું નામ.
સુખી અને પ્રસન્ન દાંપત્યજીવન સૌના નસીબમાં હોતું નથી. કેટલાક સંબંધો માત્ર ચાર ભીંત અને એક છતની નીચે રહેવા પૂરતાં જ સીમિત રહી જાય છે. પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ..માં એ કરુણતાને કેટલી કમનીયતાથી શાબ્દિક અભિવ્યક્તિ મળી છે. માણો માધવ રામાનુજ કૃત સુંદર અને કરુણ ગીત ભૂપિન્દર સિંઘ અને મિતાલી મુખર્જીના સ્વરમાં.
*
*
પાસેપાસે તો યે કેટલાં જોજન દૂરનો આપણો વાસ;
જેમ કે ગગન સાવ અડોઅડ તો ય છેટાં નો ભાસ.
રાત દિનો સથવાર ને સામે,
મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી;
આવકારાનું વન અડાબીડ,
બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી;
આંસુને દઈ દીધો છે ભવનો કારાવાસ.
ઝાડથી ખરે પાંદડું,
એમાં કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે;
આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે;
પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ.