Press "Enter" to skip to content

મળે ન મળે


અમદાવાદને અલવિદા કહી અમેરિકા (ન્યૂજર્સી) સ્થાયી થવા જ્યારે આદિલ મન્સૂરી નીકળ્યા ત્યારે વતનની સ્મૃતિઓ એમના હૃદયને કોરી રહી. સાબરમતી નદીના રેતીના પટમાં રમતું નગર, એ ઘર-ગલી અને રસ્તાઓ, વરસો જૂના લાગણીના ભીના સંબંધે બંધાયેલ પરિચિતોના હસતા ચહેરાઓ, વિદાય વખતે ટોળે વળેલ મિત્રો અને સ્વજનોને છેલ્લી વખત જોઈ લેવાનો, પછી કદાચ કદીપણ જોવા ન મળવાની સંભાવના અને ગુપ્ત વસવસો, શબ્દના રૂપમાં ફૂટ્યો અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરતો ગયો. આખરી પંક્તિઓમાં વતનની ધૂળ સાથેની પ્રગાઢ માયા, એના જ અંકે આખરી શ્વાસ લેવાની ઊંડી મનીષાનો પડઘો વાચકના હૃદયને પણ ભીંજવી જાય છે. માણો ગુજરાતી સાહિત્યની અમર કૃતિઓમાં સ્થાન પામનાર આ સંવેદનશીલ ગઝલ બે સ્વરોમાં.
*
સ્વર – પુરુષોત્તમ ઉપાધ્યાય

*
સ્વર – મનહર ઉધાસ

*
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

– આદિલ મન્સૂરી

9 Comments

  1. મુકેશ યોગી
    મુકેશ યોગી September 6, 2020

    એક હ્રદયસ્પર્શી કાવ્ય, વર્ષો ની આસ…પ્યાસ..

  2. Pushpa Rathod
    Pushpa Rathod July 8, 2011

    જીવું છું ખરું .

  3. Gopal Bhatt
    Gopal Bhatt October 11, 2010

    મારી મમતા મરે નહિ એનું મારે શું કરવું કેવી મારી દશા.

  4. Tadrash
    Tadrash January 12, 2010

    મારી ગમતી કવિતાઓમાં આ કવિતાનું એક ખાસ સ્થાન છે. આમ તો ઘણી વખત વાંચી અને સાંભળી પણ અહીં એક એહસાસ જુદો જ હતો. કદાચ એટલે કે ઘણા લોકોના ભાવ અહીં ઉભરાય છે. આદિલ મન્સૂરી સાહેબની આ મારી પ્રિયતમ રચના. પોતાના વતનને પ્રેમ કરનાર અને વિદેશમાં વસનાર દરેક વ્યક્તિની દિલની વાત.

  5. Manu patel
    Manu patel August 23, 2009

    What Adil has experinced while leaving india all NRI has experinces so it is our poem. It brings tears to our eyes. He was right his word become true as he is no more with us. Can we say he this to come
    superb long live Adil.
    Manu patel.

  6. Preetam Lakhlani
    Preetam Lakhlani July 31, 2009

    પ્રિય મિત્રો, આ ગઝલ આદિલ સાહેબે અમેરિકા આવવા અમદાવાદ છોડયુ ત્યારે નથી લખી પરન્તુ એક વેળા જીવનમા એવી આવી કે અમદાવાદ તો શુ પણ દુખી હ્દય સાથે માદરે વતન ભારત છોડી સરહદ પાળના દેશ મા પરીવાર સાથે કાયમ માટે વસવાટ્ ની વેળા આવી ત્યારે આદિલ સાહેબે આ ગઝ્લની રચના કરી હતી. ….. please વગર જાણ વગર ની વાતો દોરાવી કારણ વગર ઈતિહાસને બદનામ ન કરો !…….

  7. Dilip Gajjar
    Dilip Gajjar July 20, 2009

    અદ્ભૂત અને અજોડ શહેરપ્રેમનું કાવ્ય, આજે પણ હું અમદાવાદ એરપોર્ટ છોડું ત્યારે ત્યાંના સાંપ્રત સળગતા પ્રશ્નો નથી દઝાડતા, મિત્રો વળાવવા આવ્યા હોય, ગમતું શહેર છોડવાનું થાય ત્યારે દૂર જવાથી આંસૂ ઉભરાય છે..હું ભૂલી ગયો લખવાનું કે નિર્મિશભાઈએ આદિલ મન્સૂરીની પ્રતિ-ગઝલોની હસ્તપ્રત તૈયાર કરી મોકલાવી અને ત્યારે તો આદિલ મળે ના મળે ના ની સફરે ચાલી નીકળેલાં….

  8. Mitiksha Patel
    Mitiksha Patel July 18, 2009

    wow, i heard this poem when i was in 10th. and also i was put it on my collection but unfortunately i was lost this one.So, since that day to till today i’m try to find it…and now finally i got it from here…so, I’m heartly Thankful to you for post this poem…i love it…and THANK YOU SO MUCH…

  9. kanchankumari parmar
    kanchankumari parmar July 16, 2009

    ભરી લે શ્વાસોમાં સુગન્ધ તું માટીની કે રક્ત ને ભળવાની ઝાઝી વાર નથી. આજના માહોલમાં ક્યારે શુ થઈ જાય તેનું કંઇ કહેવાય નહિ. ભગવાન હંમેશા સુખ શાન્તિ રાખે એવી અંતરની ઇચ્છા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.