સ્થૂળ સૌંદર્ય કરતાં આંતરિક સૌંદર્ય અનેક ગણું ચઢિયાતું હોય છે અને એને જોવા માટે સ્થૂલ દૃષ્ટિની જરૂર નથી પડતી. એને માટે તો આંખો બંધ કરી અંદર નજર માંડવી પડે છે. એને બીજી રીતે પણ મૂલવી શકાય કે આંખે જે દેખાય છે તે હંમેશા સાચું હોતું નથી. એને બુદ્ધિથી, તર્કથી કે અનુભવથી ચકાસી જોવાની જરૂર છે. બંધ આંખનો અર્થ મનની આંખથી જોવાનો છે. મનહર ઉધાસના સ્વરમાં ગવાયેલ આ ગઝલ ખૂબ લોકપ્રિય બની છે.
*
*
અશ્રુ વિરહની રાતના ખાળી શક્યો નહિ,
પાછાં નયનનાં નૂરને વાળી શક્યો નહિ,
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇને,
એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહિ,
—
નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયાં છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે
ઋતુ એક જ હતી પણ રંગ ન્હોતો આપણો એક જ
મને સહરાએ જોયો છે બહારે તમને જોયા છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ,
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયાં છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
ખૂલી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયાં છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..
નહીંતર આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..
– બરકત વીરાણી ‘બેફામ’
23 Comments