Press "Enter" to skip to content

Tag: ગઝલ

હોવું જોઈએ

[ આજે મારી ડાયરીમાં ટપકાવેલી મરીઝની આ રચના રજૂ કરું છું. એનો એક શેર મને ખૂબ પસંદ છે… પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે… માણસ માત્ર ભૂલને પાત્ર છે. પણ એ કોઈક ભૂલ કરી બેસે કે માર્ગ ચૂકી જાય તો બધા એને ઉતારી પાડે છે. એવે વખતે સાચા સ્વજન કે હિતેચ્છુ એને પ્રેરણા આપે છે, માર્ગદર્શન ધરે છે, જેથી એ પતન પણ પ્રગતિની સીડી બની જાય છે. ]

જે એ કહે કોઈ ન વ્યસન હોવું જોઈએ,
કેવું અઘરું એનું જીવન હોવું જોઈએ.

ફુલોમાં કેમ શ્રેષ્ઠ છે ફુલો કપાસના,
એમાં છૂપેલું મારું કફન હોવું જોઈએ.

આમ જ નિભાવે પ્રેમને એવાય હોય છે,
એવું કશું નથી કે વચન હોવું જોઈએ.

જીવનમાં લાખ ઘટના બને છે, ભલે બને,
એમાંથી એક-બેનું મનન હોવું જોઈએ.

કોઈ અગમ્ય ડરથી ઉપડતા નથી કદમ,
બસ આટલામાં એનું સદન હોવું જોઈએ.

આવું સરસ ન હોય વાતાવરણ કદી,
કોઈની સાથે તારું મિલન હોવું જોઈએ.

પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે,
જીવનમાં એક એવું પતન હોવું જોઈએ.

આંસુ ઢળીને હોઠ પર આવી ગયા ‘મરીઝ’,
પીવાને માટે મારું રુદન હોવું જોઈએ.

– મરીઝ

3 Comments

શું કરશે ?

[ આ ગઝલ ઘણા વખત પહેલાં ડાયરીમાં ટપકાવેલી … આપણે બધા જ કોઈ ને કોઈ વસ્તુની શોધમાં છીએ … પણ એવો વિચાર નથી કરતા કે જે શોધીએ છીએ, જેની પાછળ આટલું દોડીએ છીએ, જેને માટે જાતને ઘસી નાખીએ છીએ, એ મળી જાય પછી શું ? રઈશ મનિયારની આ કૃતિમાં એ બખૂબીથી વ્યક્ત થયું છે. ]

ચાહ્યું સઘળું તે મળી જાય, પછી શું કરશે ?
તું જે શોધે છે, જડી જાય પછી શું કરશે ?

આંખ ચોળીને જગત જોવાની આદત છે,
કોઈ આંખોમાં વસી જાય, પછી શું કરશે ?

અબઘડી તો તું ગઝલ કહીને ગુજારે છે સમય,
દુઃખની આ રાત વીતી જાય પછી શુ કરશે ?

શબ્દ હાથોમાં ગ્રહ્યા, ત્યાં તો થયા હાથ મશાલ,
શબ્દ જ્યારે લોહીમાં ભળી જાય, પછી શું કરશે ?

કામનાનું પશુ હણવા તું ભલે નીકળ્યો છે,
થઈને એ ઘાયલ બચી જાય, પછી શું કરશે ?

આંસુઓ શબ્દમાં પલટાતા રહે પણ ક્યાં સુધી ?
લોકો મહેફિલમાંથી ઊઠી જાય, પછી શું કરશે ?

રઈશ મનિયાર

3 Comments

આ મનપાંચમના મેળામાં


છ અક્ષરનું નામ, રમેશ પારેખ ગુજરાતી સાહિત્યને મહેકાવી, છલકાવીને ચાલ્યુ ગયું. આજે એમની એક અર્થસભર સુંદર રચના માણીએ. જગત શું છે, વિવિધ માનવોનો મેળો. એવો મેળો જેમાં આપણે બધા જુદી જુદી વસ્તુઓ લઈ આવ્યા છે. કોઈની પાસે સપનાંઓ ભરી આંખો છે તો કોઈ એકલતાથી પીડાય રહ્યું છે, કોઈક લાગણીથી ભર્યુ ભર્યુ છે તો કોઈ નિરાંતનો દમ ભરી રહ્યું છે. મેળાના રૂપકોને માનવજીવનની સંવેદનાઓ સાથે અદભૂત રીતે સાંકળી શબ્દો અને ભાવોની કમાલ કરી છે. વારંવાર સાંભળવાનું મન થાય એવી આ રચના રેખા ત્રિવેદી અને ઉદય મજમૂદારના સ્વરમાં.
*
[આલ્બમ: હસ્તાક્ષર; સંગીત: શ્યામલ-સૌમિલ; સ્વર-રેખા ત્રિવેદી અને ઉદય મજમૂદાર]

*

*
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે;
કોઈ આવ્યાં છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યાં છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા કોઈ દોરાનું તૂટવું લાવ્યા;
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ;
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યાં છે.

કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં;
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યાં છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા;
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મુઠ્ઠી પતંગિયા;
કોઈ લીલી સૂકી આંખોની મિરાત લઈને આવ્યાં છે.

આ પત્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તુંય ‘રમેશ’;
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યાં છે.

– રમેશ પારેખ

6 Comments