Press "Enter" to skip to content

Month: July 2008

સારી નથી હોતી


દુનિયામાં સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જે સીધા, ભલા અને સચ્ચાઈના રાહે ચાલનારા હોય તેમને તકલીફો સહેવી પડે છે, તેમને મુસીબતો ઘેરી વળે છે, અને તેમની ડગલે ને પગલે કસોટી થાય છે. જ્યારે અન્યાય અને અધર્મનું આચરણ કરનાર જલસા કરતા દેખાય છે. ખુદાના આ અન્યાય સામે બેફામ અકળાઈ ઉઠે છે. મનહર ઉધાસના કંઠે સાંભળો આ સુંદર ગઝલ.
*

*
કેવી રીતે વીતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
એ શું કે રોજ કરે તું જ મારું પારખું
મેં તો કદીયે તારી પરીક્ષા નથી કરી
* * *
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી .

– બરકત વીરાણી ‘બેફામ’

6 Comments

મંદિરના ઈશ્વરને …

[ અછાંદસ રચનાઓના માધ્યમથી અવનવિન ભાવજગત સર્જવા માટે જાણીતા કૃષ્ણ દવેની આ સુંદર રચના એક અનોખા વિરોધાભાસને પ્રગટ કરે છે. મંદિરમાં ઈશ્વરની મૂર્તિની સેવાપૂજા થાય, એને ભોગ ધરાવાય, રંગબેરંગી વસ્ત્રો પહેરાવાય … પરંતુ મંદિરની બહાર વાસ્તવિક જગત કેવું છે એ તો સહુ જાણે છે. કવિએ એ વૈષમ્યને અનોખી રીતે ધાર કાઢી વાચા આપી છે. ]

મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે ?
ને મંદિરની બહાર ભભુક્યા કરતી,
આ જઠરોની જ્વાળા,
કોઇ ન ઠારે? કોઇ ન ઠારે ?

સોનાના હિંડોળા હો, કે હો મખમલના ગાદીતકિયા,
પત્થરની આંખોને તે કંઇ નીંદર આવે?
અરે જુઓ આ મખમલ જેવા બાળકને,
પાષાણ પથારીમાંયે કેવાં
જાતજાતનાં સપનાં આવે?
ભલે પછી એ દોડ્યે રાખે,
આખું જીવતર આ ખાંડાની ધારે ધારે.
એવે ટાણે પુષ્પોના નાજુક સથવારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે ?

લજ્જા શેરી વચ્ચે આવી સ્વયં વસ્ત્રની ખોજ કરે છે,
ને વસ્ત્રોના હરનારા બેઠાબેઠા કેવી મોજ કરે છે.
અને કાળ પણ આ ઘટનાનું પુનરાવર્તન રોજ કરે છે.
એવે ટાણે લીલાંપીળાં, લાલગુલાબી,
વસ્ત્રોની જૂઠી ભરમારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે ?

જ્યાં બાળક પહેલા સ્તનપાને, દૂધ નહીં પણ દુઃખ પીએ છે,
જ્યાં જીવન ડગલે ને પગલે,
મધમાખીશા ડંખ જીવે છે,
અને વલોવી ઇચ્છાઓને,
બાળી બાળી જાત સીવે છે.
એવે ટાણે પંચામૃતની મીઠી ધારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે ?

– કૃષ્ણ દવે

2 Comments

લગાવ

[ ઉંમર વધે એટલે પ્રેમ ઘટવો નહિ પણ મજબૂત બનવો જોઈએ, જેમ વૃક્ષના મૂળ સમય જતાં ઉંડા જાય તે રીતે. એકમેકના સાચા સાથીદાર હોવું એ પ્રસન્ન અને મધુર દામ્પત્ય જીવનની નિશાની છે. વાળ ધોળા થયા પછી પ્રૌઢાવસ્થાએ પાંગરતા પ્રેમની અનેરી મીઠાશ વર્ણવતી સુરેશ દલાલની આ કૃતિ માણવા જેવી છે. ]

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ !

– સુરેશ દલાલ

3 Comments

સાચવીને રાખજો


પ્રેમમાં પડનાર બધા ખુશનસીબ નથી હોતા. ઘણાંને સંબંધોમાંથી છળ, વિશ્વાસઘાત કે દર્દ મળે છે. એથી જ દરેક પ્રેમી એવી આશા રાખે કે એનો પ્રેમ સદાય ફુલો જેવો તાજગીસભર રહે, એનું પ્રિય પાત્ર એના હૃદયની લાગણીઓને સમજે, સાચવે અને સંભાળે, એને ઠેસ ના પહોંચાડે. એવા જ ભાવથી ભરેલ અદી મિરઝાની એક સુંદર ગઝલ, જેને મનહર ઉધાસનો મખમલી કંઠ મળ્યો છે તે રજૂ કરું છું.
*
સ્વરઃ મનહર ઉધાસ

*
પ્રેમના પુષ્પો ભરીને રાખજો,
દિલ દીધું છે, સાચવીને રાખજો.

દુઃખના દિવસોમાં એ કામ આવી જશે,
એક ગઝલ મારી લખીને રાખજો.

રાત છે એના મિલનની દોસ્તો,
સાંજથી તારા ગણીને રાખજો.

દિલના કોઈ એકાદ ખૂણામાં ‘અદી’
નામ એનું કોતરીને રાખજો.

– અદી મિરઝા

3 Comments

મને એ જ સમજાતું નથી

[ સ્કૂલમાં આ ભણવામાં આવતી હતી ત્યારની મનમાં વસી ગઈ હતી. આ કૃતિની રચનાને વરસો વીતી ગયા છે પણ એમાં ઉઠાવેલા બધા જ પ્રશ્નો આજે પણ એટલા વાસ્તવિક છે, કદાચ પહેલાં કરતાંય વધુ. આ કૃતિની એ વિશેષતા છે. સામાજિક વૈષમ્ય અને નસીબની બલિહારી પણ એમાં છતી થાય છે. શું આ સ્થિતિમાં કશો ફેર પડશે ? ]

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !

ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
ને લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !

કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !

– કરસનદાસ માણેક

8 Comments

છેલ્લું પ્રવચન

આજે સવારે ડૉ. રેન્ડી પોઉશનું અવસાન થયું. ઘણાં લોકોએ ડો. રેન્ડી પૉઉશનું નામ નહીં સાંભળ્યું હોય. અમેરિકાની વિખ્યાત કાર્નેગી મેલન યુનિવર્સીટીમાં કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીમાં અધ્યાપન કરાવતા આ પ્રોફેસરને કેન્સર થયાનું નિદાન થયું. ત્રણ સંતાનોના પિતા એવા ડૉ. પોઉશ અસાધ્ય કેન્સર હોવા છતાં નિરાશ કે નાહિંમત ન થયા, પરંતુ બીજા લોકોને જીવનની પ્રેરણા દેતા ગયા.

એમની યુનિવર્સીટીમાં રીટાયર્ડ થતા પ્રોફેસર એક અંતિમ પ્રવચન આપે એવી પ્રણાલિ છે. એમણે આપેલું પ્રવચન માત્ર પ્રણાલિ પુરતું કારકીર્દીનું અંતિમ પ્રવચન ન હતું, પણ જીવનનું અંતિમ પ્રવચન બનવાનું હતું. એમનું એ પ્રવચન એટલું તો પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી હતું કે સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેટ મારફત ફેલાઈ ગયું. અધધધ થઈ જવાય એટલી સંખ્યામાં એને લોકોએ જોયું. કેટલાયની આંખો ભીંજાઈ, કેટલાયના હૈયા હલી ગયા, કૈંકના કાળજા કોરાઈ ગયા.

અહીં સાંભળો એમનું ઓપરા વિનફ્રેના શોમાં અપાયેલ વ્યક્તવ્ય. આશા છે એમાંથી આપણને જીવનની પ્રેરણા મળશે.

સાથે સાથે વાંચો … મરણ વિશે કવિઓનું ચિંતન

4 Comments