Press "Enter" to skip to content

મીતિક્ષા.કોમ Posts

નહીં લાગે


*
દિવાલે કાન ધરવામાં સમજદારી નહીં લાગે,
તિરાડો હોય એથી ભીંત કૈં બારી નહીં લાગે.

ફૂલોના આઠ-દસ કૂંડા મૂકો ગેલેરીમાં સાથે,
બહુ ધારીને જોશો તોય એ ક્યારી નહીં લાગે.

કહ્યું છે સંગ એવો રંગ – એ સાચું હશે કિન્તુ,
મળે દરિયાને એથી કૈં નદી ખારી નહીં લાગે.

કદી દીકરા-વહુને ઘર જઈને બે દિવસ રહેજો,
તમારી દીકરી તમને પછી ભારી નહીં લાગે.

તબીબો શસ્ત્રક્રિયાઓ કરીને છોને નિપજાવે,
કરુણા, પ્રેમ, લજ્જા, શીલ વિણ નારી નહીં લાગે.

‘મરીઝ’ તો કહી ગયા* – એના જતી વેળાના જોવા પર,
તમે પાછળ વળી જોજો, નજર સારી નહીં લાગે.

જીવન ઝાકળ સમું છે, શર્ત ગમતાં ફૂલ પર જીવો,
પછી અત્તર થવામાં કોઈ લાચારી નહીં લાગે.

રસીલી પાણીપુરી જેવાં ‘ચાતક’ હોય છે સપનાં,
નયન ઓર્ડર કરે ક્યાં? એમની લારી નહીં લાગે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

*
કવિ મરીઝનું પુણ્ય સ્મરણ
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મુહોબ્બતના પુરાવાઓ.

Leave a Comment

રહેવા દે


અલવિદા 2025… સુસ્વાગતમ્ 2026
સૌ વાચકમિત્રોને ઈસુનું નવું વરસ સર્વ પ્રકારે સુખમય નીવડે એવી શુભેચ્છાઓ.
*
હલેસા પર ભરોસો રાખ કાં તો નાવ રહેવા દે,
જો દરિયો પાર કરવો હો તો જળની રાવ રહેવા દે.

વિકટ સંજોગ સામે બાથ ભીડવા સજ્જ થા, નહીંતર
સુનામીના પ્રદેશોમાં જવાનો ચાવ રહેવા દે.

તું જો, કે મિત્ર તારો ખુદ ફસાયો છે મુસીબતમાં,
બતાવા એને લાવ્યો છે તું તારા ઘાવ, રહેવા દે.

તને જો એમ લાગે કે મૂકીશ તો થઈ જશે મેલા
હસીન જો એટલા હો તો હવામાં પાંવ રહેવા દે.

તું ચુકવી દામ શ્રદ્ધાના ખરીદી લેને ઘરબેઠાં,
ફરીને રોજ મંદિરમાં પૂછે છે ભાવ, રહેવા દે.

સ્વભાવે વૃક્ષની ઉદારતા ખોટી નથી, કિન્તુ
જરૂર હો ધૂપની ત્યારે અકારણ છાંવ રહેવા દે.

તને પરદેશમાં સ્થાયી થયે વરસો થયા ઓ, દોસ્ત,
હવે જ્યાં ત્યાં આ મેરા દેશ, મેરા ગાંવ, રહેવા દે.

તું સાચ્ચે એમ માને છે, લખાવે છે કોઈ ગઝલો?
તો મક્તામાં તું ‘ચાતક’ નામ તારું, સાવ રહેવા દે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – A Painting by Donald Zolan]

1 Comment

એ પહેલાં દોડી આવો


અમારા માતુશ્રી
[1940 -2025]
*
તારીખ 16 ઓગષ્ટ, 2025 જનમાષ્ટમીના પાવન પર્વે બ્રાહ્મમુહૂર્તમાં અમારા માતુશ્રીએ એમની જીવનલીલા સંકેલી લીધી. એ પહેલાં, 6 ઓગષ્ટ પવિત્રા બારસના દિવસે વડોદરાના ઘરે મંદિરમાં નવા સ્વરૂપોની સ્થાપના થઈ રહી હતી એમાં મમ્મીએ ખુશખુશાલ ભાગ લીધો. કાર્યક્રમ જ્યારે પૂર્ણતા તરફ જઈ રહ્યો હતો ત્યારે-મને ચક્કર જેવું આવે છે-એમ કહ્યું. ને પછી અસ્વસ્થતા વધતાં હોસ્પિટલ લઈ જવાની પળ આવી ત્યારે જાણે અણસાર આવી ગયો હોય એમ મોટેથી બોલી, હે પ્રભુ, જવાનો સમય આવી ગયો કે શું … કોઈ મને પૂ. માનો અવાજ સંભળાવો, કોઈ બાવની બોલો, અને ભાઈ મોબાઈલમાં વગાડે એ પહેલાં જાતે જ બાવની બોલવા માંડી! (ગયા વરસે થયેલ brain stroke પછી એની યાદદાસ્ત લગભગ નહીં બરાબર હતી. એ કોઈને ખાસ ઓળખતી પણ નહીં.) … હોસ્પિટલમાં CT scan પછી નિદાન થયું કે મેજર બ્રેઈન હેમરેજ છે. ICU માં ત્રણ દિવસ રાખ્યા પછી એને ઘરે લઈ આવ્યા.

હું અમેરિકાથી ભારત આવવા નીકળ્યો ત્યારે બધાંને એમ હતું કે હું મોડો તો નહીં પડું ને. પણ પ્રભુકૃપાથી 12મીએ ભારત આવી ગયો, આવીને મમ્મીને કાનમાં કહ્યું કે હું આવી ગયો પણ આશિષ આપવા ઉઠતો હાથ સળવળ્યો નહીં. જીવનભરની દડમજલ પછી થાક ખાવા એ ઘસઘસાટ સૂઈ ગઈ હતી. હવે તો માત્ર પ્રાર્થના જ થઈ શકે એમ હતી. જીવનના પાછલા ઘણાં વરસો એણે સંતસેવામાં ખર્ચી દીઘેલાં. સત્સંગી પરિવારમાં સહુ એને માસીના હુલામણા નામે જાણે. પૂ.મા સાથે દશરથાચલ પર્વતની કઠિન યાત્રા કરનાર એ એકમાત્ર મહિલા હતી. પૂ.માનો ફોન આવ્યો તો મા કહે, મમ્મી શુભ મૂહૂર્તની પ્રતિક્ષામાં છે. અને ખરેખર જનમાષ્ટમીના પાવન પર્વે બ્રાહ્મ મુહૂર્તમાં ઋગ્વેદના મંત્રો, વિષ્ણુ સહસ્ત્રનામ તથા ગીતાના ધ્યાનયોગ પર યોગેશ્વરજીનું મનનીય પ્રવચન સાંભળી, અંતમાં શાંતિપાઠ થયો એની ગણતરીની પળોમાં અનંતની વાટ પકડી લીધી.
*
મમ્મી અચેતાવસ્થામાં કદાચ પ્રાર્થના ન કરી શકે તો? તો એના વતી પ્રાર્થનાના આ શબ્દો મારા મનની પૃષ્ઠભૂમિમાં સજળ આંખે ઉતરતાં ગયા, અને શ્વાસમાં ઘૂંટાતા રહ્યા.
*

*
મારી હિંમત ખૂટી જાય એ પહેલાં દોડી આવો
મારી ધીરજ ખૂટી જાય એ પહેલાં દોડી આવો

અતિ પ્રબળ તમારી માયા
એમાં જીવો અટવાયા,
જીવ તમને ભૂલી જાય એ (૨) પહેલાં દોડી આવો .. મારી હિંમત

સંકટમાં પ્રાણ છે મારો
પ્રભુ, આવી આપ ઉગારો,
ચિંતન ચિંતાનું થાય એ (૨) પહેલાં દોડી આવો .. મારી હિંમત

અંધારું ઘેરી વળશે
મારગ મુજને ના જડશે,
મારો શ્રદ્ધાદીપ બુઝાય એ (૨) પહેલાં દોડી આવો .. મારી હિંમત

‘ચાતક’ને ના તલસાવો
દર્શનથી ધન્ય બનાવો,
જીવ આકળવિકળ થાય એ (૨) પહેલાં દોડી આવો .. મારી હિંમત

આંખ આંસુથી ઉભરાય એ પહેલાં દોડી આવો
મારી પ્રાર્થના પૂરી થાય એ પહેલાં દોડી આવો

– દક્ષેશ કોન્ટ્રાક્ટર ‘ચાતક’

2 Comments

મુક્તકો


*
કૈંક ઈચ્છાનો ઉદય થઈ જાય છે,
આપને જોતાં પ્રણય થઈ જાય છે.
કેટલી કરીએ ઉતાવળ, ને છતાં,
છૂટાં પડવાનો સમય થઈ જાય છે.
*
ગજામાં પાંચ પૈસા હોય ત્યારે એક વાપરવો,
ને તંગી હોય રોકડની, ત્યારે ચેક વાપરવો.
વિકટ સંજોગમાં જ્યારે કશુંયે હોય ના પાસે,
પ્રભુના નામનો બિન્દાસ્ત બધ્ધે જેક વાપરવો.
*
વ્યસ્તતાને વાપરી શકતો નથી,
હું ક્ષણોને કાતરી શકતો નથી.
ઊંઘને આવી રહી છે ઊંઘ પણ
હું પથારી પાથરી શકતો નથી.
*
હૈયું ઉદાસ છે, વધુ ગમગીન ના કરો,
રાતોની રોશની વધુ રંગીન ના કરો,
એક તો તમોને ચાહવાનો મેં ગુનો કર્યો,
ચાહી પરત મને, વધુ સંગીન ના કરો.
*
લખું છું ને બદલે લખાયું થશે,
તો લખાયેલ શબ્દો ચિરાયુ થશે.
કોઈની કવિતાનું કરશો હરણ,
તો બદનામી નક્કી જટાયુ થશે.
*
રંગ છોને લાલ પણ લોહીનું શરબત હોય નહીં,
દર વખત કાશીમાં જઈ મૂકવાની કરવત હોય નહીં.
કોઈ વેળા સ્પર્શથી પણ આંગળા ભારી રહે,
દર વખત ઉપાડવા ગોવર્ધન પર્વત હોય નહીં.
*
વેદનાની વાત કરવી શી રીતે?
ભરબપોરે રાત કરવી શી રીતે?
શબ્દને હું બ્રહ્મ માનું છું; હવે
મૌનની રજૂઆત કરવી શી રીતે?

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – A Painting by Donald Zolan]

Leave a Comment

સાથે લઈ અમે નીકળ્યાં હતાં


*
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને અર્પણ
*
કેટલા અરમાન સાથે લઈ અમે નીકળ્યા હતા,
હોઠ પર મુસ્કાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

કામધંધા કાજ રહેતા’તા ભલે પરદેશમાં,
દેશનું અભિમાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

મિત્ર-સ્નેહીઓ-સંબંધી, ગામ-શેરી-ઘર-ગલી
સૌનું હૈયે ધ્યાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

*જિંદગી તો બેવફા હૈ .. જાણતા’તા, ને છતાં,
જિંદગીનું ગાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

પ્લેનમાં બેઠા અમે ત્યારે ખબર થોડી હતી,
મોતનું ફરમાન સાથે લઈ અમે નીકળ્યા હતા !

મ્હેંકશે વરસો સુધી સાથે વીતાવેલી ક્ષણો,
ફક્ત એ વરદાન સાથે લઈ અમે નીકળ્યા હતા.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
ज़िन्दगी तो बेवफा है एक दिन ठुकराएगी
मौत मेहबूबा है अपने साथ लेकर जाएगी
ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’ના સુપ્રસિદ્ધ ગીતની પંક્તિઓ
*
કવિ અનિલ ચાવડાની કલમે ગુજરાત સમાચારની ‘અંતરનેટની કવિતા’ કોલમ અંતર્ગત આ ગઝલ પ્રસિદ્ધ થઈ હતી. લેખ વાંચવા માટેની લીંક

1 Comment

નથી બનતાં


*

બનાવો આમ તો બનવા ઘટે છે, પણ નથી બનતાં,
સમંદરના નિસાસાથી કદીયે રણ નથી બનતા.

શરતચૂક માનવી છોને કરે ઇતિહાસ લેખનમાં,
સદીના કાફલા ભૂલા પડે તો ક્ષણ નથી બનતાં.

જરૂરી જ્ઞાન, સાહિત્યિક સમજ તેમજ વફાદારી;
પ્રસંશા માત્ર કરવાથી કોઈ ચારણ નથી બનતાં.

પ્રણયની વારતાઓ ને ગણિતમાં એ તફાવત છે,
ઉમેરો એકમાં જો એક તો એ ત્રણ નથી બનતાં.

હશે અવસર કોઈ એથી તો આવે પાંપણો ઉપર,
અમસ્તાં આંસુઓ કૈં આંખના તોરણ નથી બનતાં.

સમયના આંગણે ઊડતાં રહે પંખી ઉદાસીનાં,
સ્મરણ પ્રત્યેક વેળા આપણાં ગોફણ નથી બનતાં.

સહજ જીવનની ફિલસૂફીમાં માને દૃઢપણે ‘ચાતક’,
વિના કારણ કદી એ કોઈનું કારણ નથી બનતાં.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – A Painting by Donald Zolan]

3 Comments