પ્રેમમાં પડ્યા પછી પ્રેમીઓને દુનિયાની ફિકર નથી રહેતી. જો છાનાછપના પ્રેમ કરનારની લોકો બદનામી કરતા હોય તો આપણે મશહૂર થઈ ચાલ્યા કરીએ એમ કહીને કવિએ ખુબ સુંદર રીતે પ્રેમની ખુમારીને વ્યક્ત કરી છે. પ્રેમમાં ચકચૂર એવા પ્રેમી પંખીડાઓની મનોદશાનો ચિતાર આપતું આ સુંદર ગીત પુરુષોત્તમભાઈ અને હંસા દવેના સ્વરમાં.
*
આલ્બમ: ગુલમહોર
*
પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.
એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ
એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.
પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.
– હરીન્દ્ર દવે
એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.
હરીન્દ્ર દવે મારા માનીતા કવિઓમાંના એક છે, પ્રેમની કેમેસ્ટ્રીનું વર્ણન કરવાનો પ્રયાસ મે મારા છેલ્લા બ્લોગમાં કર્યો છે.