Press "Enter" to skip to content

Month: February 2026

નહીં લાગે


*
દિવાલે કાન ધરવામાં સમજદારી નહીં લાગે,
તિરાડો હોય એથી ભીંત કૈં બારી નહીં લાગે.

ફૂલોના આઠ-દસ કૂંડા મૂકો ગેલેરીમાં સાથે,
બહુ ધારીને જોશો તોય એ ક્યારી નહીં લાગે.

કહ્યું છે સંગ એવો રંગ – એ સાચું હશે કિન્તુ,
મળે દરિયાને એથી કૈં નદી ખારી નહીં લાગે.

કદી દીકરા-વહુને ઘર જઈને બે દિવસ રહેજો,
તમારી દીકરી તમને પછી ભારી નહીં લાગે.

તબીબો શસ્ત્રક્રિયાઓ કરીને છોને નિપજાવે,
કરુણા, પ્રેમ, લજ્જા, શીલ વિણ નારી નહીં લાગે.

‘મરીઝ’ તો કહી ગયા* – એના જતી વેળાના જોવા પર,
તમે પાછળ વળી જોજો, નજર સારી નહીં લાગે.

જીવન ઝાકળ સમું છે, શર્ત ગમતાં ફૂલ પર જીવો,
પછી અત્તર થવામાં કોઈ લાચારી નહીં લાગે.

રસીલી પાણીપુરી જેવાં ‘ચાતક’ હોય છે સપનાં,
નયન ઓર્ડર કરે ક્યાં? એમની લારી નહીં લાગે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

*
કવિ મરીઝનું પુણ્ય સ્મરણ
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મુહોબ્બતના પુરાવાઓ.

Leave a Comment