શૂન્ય પાલનપુરી મારા ગમતા શાયર. એમની ગઝલોમાં તત્વજ્ઞાન ડોકાય, એક ઊંડાણ જે વાચકને અચૂક સ્પર્શે. આજે એમની એક ગઝલ પ્રસ્તુત છે ..દર્દની લાગણીના ઘણા રૂપ છે … એ મારો મનગમતો શેર છે. જેના એક એક શેર પર દુબારા કહેવાનું મન થાય એવી આ સુંદર ગઝલને આજે માણીએ મનહર ઉધાસના કંઠે.
*
*
હું નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલાં?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલાં?
ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે,
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલાં?
દર્દની લાગણીના ઘણાં રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઇને ફરકતાં હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલાં?
પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસર થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલાં?
સ્વાર્થની આ તો છે ભક્તિલીલા બધી, આત્મપૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઇશ્વરને માટે મમત કેટલી, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલાં?
– શૂન્ય પાલનપુરી
[ફરમાઈશ કરનાર – પૂર્વી ]
7 Comments