Press "Enter" to skip to content

Month: May 2010

ગગનવાસી ધરા પર


દુઃખ પડે ત્યારે માણસને ઈશ્વર યાદ આવે છે. એ વખતે માણસ ભગવાનને આજીજી, પ્રાર્થના કે ક્યારેક પ્રશ્નો પણ કરે છે. પણ અહીં કવિ નવી જ વાત લાવ્યા છે. તેઓ ભગવાનને કહે છે કે હે શેષશૈયા પર શયન કરનાર, કદી પૃથ્વી પર આવી બે ઘડી શ્વાસ તો લઈ જુઓ. તો તમને ખબર પડે કે આ જીવન જીવવું કેટલું મુશ્કેલ છે. માણો ભાવનગરના કવિ નાઝિર દેખૈયાની આ યાદગાર રચના મનહર ઉધાસના કંઠે.
*

*
ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો!
જીવનદાતા, જીવન કેરો અનુભવ તું કરી તો જો!

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ ભગવન,
ફકત એકવાર કાંટાની પથારી પાથરી તો જો!

જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું,
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો!

નથી આ વાત સાગરની, આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા! તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે “નાઝિર”
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

– નાઝિર દેખૈયા

[ ફરમાઈશ કરનાર – નિરાલી ]

7 Comments

તો શું કરો ?


[હિમાચલ પ્રદેશમાં મીની સ્વીટ્ઝર્લેન્ડ ગણાતા ખજીયાર ખાતે ઝોમ્બીંગ (હવા ભરેલ મોટા ગોળામાં બેસીને ગબડવું) કરતા પૂર્વે લીધેલી તસવીર, એપ્રીલ 2010 ]
મિત્રો, આજે એક સ્વરચિત ગઝલ. આશા છે આપને ગમશે.
*
તરન્નૂમ સ્વર- રાજુ યાત્રી

*
લાગણીઓ છળ કરે તો શું કરો ?
અર્થહીન અક્ષર મળે તો શું કરો ?

સ્મિતની છેડો સિતારી સાજ પર
વેદનાનો સ્વર મળે તો શું કરો ?

હો સનાતન સાથ કેરી ઝંખના
દેહ, પણ નશ્વર મળે તો શું કરો ?

એ ઈબાદતની હશે તોહીન પણ
આંધળો ઈશ્વર મળે તો શું કરો ?

દેશભક્તિનો ઉઠાવો વાવટો,
થાંભલો કાફર મળે તો શું કરો ?

શ્વાસમાં દીપક જલાવો આશના
વાંઝિયા અવસર મળે તો શું કરો ?

એમ ચાતક થૈ તમે તરસ્યા કરો
ઝાંઝવા સરવર મળે તો શું કરો ?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

22 Comments

તમે મન મુકીને વરસ્યાં


મિત્રો, આજે સાંભળીએ મને ખુબ ગમતું એક પદ જેના શબ્દો અને ભાવ ખુબ જ હૃદયસ્પર્શી છે. વારંવાર સાંભળવાનું મન થાય તેવું આ પ્રાર્થના પદનો જૈન સ્તવનમાલા આલ્બમમાં સમાવેશ થયેલો છે.
*
સ્વર – નિશા ઉપાધ્યાય

*
તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં
તમે મુશળધારે વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં

હજારે હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોયે અમે અજ્ઞાની.
તમે અમૃતરૂપે વરસ્યાં અમે ઝેરના ઘૂંટડા સ્પર્શયાં. તમે…

શબ્દે શબ્દે શાતા આપે એવી તમારી વાણી
એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાણી
તમે મહેરામણ થઈ ઉમટયાં અમે કાંઠે આવી અટકયાં. તમે….

સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા
પ્રેમની જ્યોતિ તમે જગાવી આતમ ઉજવળ કરવા
તમે સૂરજ થઇને ચમક્યાં અમે અંધારામાં ભટક્યાં. તમે…

– રચનાકાર ??

14 Comments

ઈતિહાસને બદલાવ તું

છે સમયની માંગ કે ઈતિહાસને બદલાવ તું,
માતૃભૂમિની રગોમાં રક્ત નૂતન લાવ તું,
દેશ માટે પ્રાણ ન્યોછાવર કરે સંગ્રામમાં,
જે ચટાડે ધૂળ દુશ્મનને, જવાની લાવ તું.
*
જો સમય પર પાળને બાંધી શકે તો બાંધ તું,
ને સ્મૃતિના તારને સાંધી શકે તો સાંધ તું,
એક પળ વીતે વિરહની સાત સાગરના સમી
શ્વાસના મોઘમ બળે લાંઘી શકે તો લાંઘ તું.
*
પૌરુષી કો અશ્વ પર અસવાર થઈને આવ તું,
કે પ્રતાપી વીરની તલવાર થઈને આવ તું,
ચોતરફ અહીં આંધીઓ, તોફાન ને અંધાર છે
નાવ છે મઝધારમાં, પતવાર થઈને આવ તું.
*
આ મુક્તક વિશેષતઃ સ્વર્ણિમ ગુજરાતના પચાસ વર્ષ નિમિત્તે ગુજરાત બહાર વસતા સૌ ગુજરાતીઓને અર્પણ …

તન ભલે પરદેશ હો, મન મહેકવું જોઈએ
સંપત્તિ કેરા નશાથી ના બહેકવું જોઈએ,
ભાઈચારો, લાગણી હો, વસુધૈવ કુટુંબકમ્,
ગુજર્રીની મ્હેંકથી ઘર-ઘર મહેંકવું જોઈએ.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

5 Comments