Press "Enter" to skip to content

Month: December 2009

મને પાણીની જેમ કોઈ સ્પર્શે


લાગણીની ઝંખના માણસને હમેશા રહે છે. કોઈ પાણીની જેમ સ્પર્શે એ વાત જ કેટલી સંવેદનાથી ભરેલી છે. વીરુ પુરોહિતની આ લાગણીભીની રચના અધૂરા સંબંધોની સંવેદનાને ધાર કાઢી આપે છે. આપણા સંબંધ જાણે શીર્ષક વિનાની વારતા … કેટલું બધું કહી જાય છે. થોડા સમય પહેલાં આપણે માણેલી માધવ રામાનુજની રચના – પાસ પાસે તોયે કેટલાં જોજન .. યાદ આવ્યા વિના નથી રહેતી. માણો આ સુંદર ગીત અમર ભટ્ટના સ્વરાંકનમાં.
*

*
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

આસપાસ દર્પણનો આભાસી તડકો,
તું સૂરજ ના હોવાની ધારણા
લાગણીનું રણમાં ચણાતું મકાન
પારદર્શકતા સગપણનાં બારણાં
પડછાતી દૂરતા નેવાંની ધારમાં,
ને રોજ ધોધમાર કોઈ વરસે..કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

રોજરોજ આંખ્યુંમાં મળવાનાં પક્ષીઓ
ઈચ્છાનું આભ લઈ આવતાં;
આપણા સંબંધ સખી એવા કહેવાય,
જાણે શીર્ષક વિનાની કોઈ વારતા
એકાદી આંગળીને બંસી બનાવી,
કોઈ ફૂંકો તો ગોકુળ સળવળશે … કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

– વીરુ પુરોહિત

5 Comments

લઘુકાવ્યો

ઓટલીની ધૂળ સાથે પ્રીતની ગાંઠો બાંધીને
ઝૂંપડે હિલોળાતું અને લંગોટે લહેરાતું બાળક
અને
મખમલી તળાઈમાં આળોટી
પ્લાસ્ટિકની બોટલમાંથી કૃત્રિમતા ચૂસ્યા કરતું,
રોશની અને ઘોંઘાટમાં ગૂંગળાતું બાળક…
બંને બાળક લગભગ સરખાં જ છે
બંને હસે-રડે-શ્વસે-જીવે છે
ફેર માત્ર એટલો જ છે કે
પહેલું ગરીબ અને બીજું અમીર …
ઓહ સોરી ! ભૂલ થઈ ગઈ !!
પહેલું અમીર અને બીજું ગરીબ છે !!!
*
મારી ડાયરીને પહેલે પાને
તેં કરેલા હસ્તાક્ષરમાં દાખલ થયા પછી,
દોડીને મારા વિચારો બહાર નીકળે છે ત્યારે …
બની ગઈ હોય એક કવિતા !!!
*
‘તારા હોવા વિશે’ થિસીસ લખીને
હું પી. એચ. ડી થઈ ગયો,
અને તને ખબર પણ ન પડી ? !!!
*
એક સાંજે તું
ત્યાં તારા શિડ્યૂલ્સ પ્રમાણે
કેન્વાસ પર પીંછી ફેરવતી હશે …
બરાબર તે જ સમયે
હું જોઈ શકેલો
ક્ષિતિજ પર ફૂટી આવેલી રંગીન ટશરોને … !!!
*
તારું નામ લખી હવામાં ફેંકેલી ચબરખી
જમીનને અડે તે પહેલાં તો
બની જાય સોનેરી પતંગિયું !

– જયંત દેસાઈ (શબદ્ માંથી)

1 Comment

હું રસ્તે રઝળતી વાર્તા


જે દેશમાં નારીને નારાયણી કહી પૂજવામાં આવે તે જ દેશમાં નારીના દેહનો વ્યાપાર થાય છે તે કમનસીબી નથી શું ? પુરુષના સર્જનનું નિમિત્ત બનનાર સ્ત્રી પુરુષને હાથે જ બજારમાં લીલામ થાય એનાથી વધુ દુઃખદ વાત શું હોઈ શકે. એક નારીની વેદના વ્યક્ત કરતું આ ધારદાર અને દર્દીલું ગીત હૈયાને હચમચાવી જાય તેવું છે. સાંભળો લતા મંગેશકરના કંઠે અવિનાશભાઈનું એક વધુ અમર સર્જન.
*
ફિલ્મ – મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦), સ્વર- લતા મંગેશકર

*
હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા
નિરાધાર નારી ધારી મને આંખ્યું ના મચકારતા,
હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા … હું રસ્તે રઝળતી

હું એ સીતા છું રામચંદ્રની વનમાં વિછુડાયેલી
હું શકુંતલા છું દુષ્યંતની પળમાં વિખરાયેલી
હું સતી અહલ્યા …
સતી અહલ્યા થઈને શલ્યા વન વેરાન પડેલી
હું દ્રૌપદી છું નિજ પતિને હાથે રમતે મૂકાયેલી
આ ભેદ-ભરમથી ભરપૂર નયના જીવતાં આંસુ સારતાં …. હું રસ્તે રઝળતી

જગ સંબોધે ‘જગદંબા’ કહી કોઈ નથી પૂજારી
અરે! પૂજારીના પહેરવેશમાં જોયા મેં શિકારી
ટગર-ટગર શું જુઓ છો હું સર્જનની કરનારી
આજ મૂર્તિમંત વિસર્જન થઈને માંગું ભીખ ભિખારી
હું સવાલ છું, હું જવાબ છું, જેને કોઈ નથી વિચારતા … હું રસ્તે રઝળતી

– અવિનાશ વ્યાસ

7 Comments

નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો


શૂન્ય પાલનપુરીની એક અદભૂત રચના મનહર ઉધાસના સ્વરમાં.
*
આલ્બમ – અરમાન

*
ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધાં વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર
કાંસકીને જો કે એના તનનાં સો ચીરાં થયા,
તો જ પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર.
*
નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો અલૌકિક પ્રણયની કદર કોણ કરશે
સિતારા બની જો ચમકશે ન આંસુ, જગે પ્રેમગાથા અમર કોણ કરશે.

સમજવો નથી સાર કૈં જિંદગીનો કે સમજીને સુખથી બસર કોણ કરશે
છિપાવી ગયું પ્યાસ મૃગલું જો એની તો મૃગજળની સામે નજર કોણ કરશે.

નથી કોઈ પણ માર્ગદર્શક અમારો, નથી ક્યાંય પણ કોઈ મંઝિલ અમારી,
મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર, અમારી અદાથી સફર કોણ કરશે.

પીવાડો ગગન ડોકથી આંખ ઢાળી, અમારી તરસ કેરો ઉપકાર માની,
ભરેલી હશે જો અમારી નજર તો, તમારી નજર પર નજર કોણ કરશે.

નજર રૂપની એટલે એક પારો, હૃદય પ્રેમનું એટલે એક જ્વાળા,
સમાવ્યો છે પારો અમે આગ માંહે, જીગર ‘શૂન્ય’ એવું અવર કોણ કરશે.

– ‘શૂન્ય’ પાલનપુરી

10 Comments

ન લાવ તું


પ્રિય મિત્રો, આજે મારા સ્વરચિત મુક્તકો રજૂ કરું છું. આશા છે આપને એ ગમશે.
*

*
આંખ મારી નમ ભલે પણ ઝળઝળાં ન લાવ તું,
કંઠ રુંધેલો ભલે, પણ ગળગળાં ન લાવ તું,
લાવવી હો તો લઈને આવ, વૈશાખી ક્ષણો,
ભર વસંતે પાનખરનાં ખરખરાં ન લાવ તું.
*
શેર માટી ખોટ હો ત્યાં બાળપણ ન લાવ તું,
રાજગાદી ઠોઠ હો ત્યાં શાણપણ ન લાવ તું,
પ્રેમના આ ઢાઈ અક્ષર, છે સમજવાના સરળ,
એને માટે બુદ્ધિ કેરું ગાંડપણ ન લાવ તું.
*
જે સભામાં હો દુઃશાસન, રાજ હો ધૃતરાષ્ટ્રનું,
જે સભામાં માન હો ના ધર્મનું, મર્યાદનું,
જે સભામાં ચીર પૂરવા કાજ કો’ માધવ નહીં,
એ સભાની મધ્યમાં કો’ દ્રૌપદી ન લાવ તું.
*
દૃશ્યમાં બાધા કરે એવા વમળ ન લાવ તું,
ના જુએ કોઈ ભ્રમર, એવા કમળ ન લાવ તું,
જ્યાં હસે, હૈયે વસે, જાહોજલાલી સ્મિતની,
(એ) ઊપવનોના શહેરમાં દુષ્કાળને ન લાવ તું.
*
સૂર્ય સામે જઈ ઉડે એ રજકણો ન લાવ તું
લક્ષ્યને આઘાં કરે એ વળગણો ન લાવ તું
લડખડે જેનાં થકી આ ઉન્નતિ કેરાં કદમ
બેઈમાની, સ્વાર્થ, સત્તા-લોભને ન લાવ તું.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

17 Comments

નારાયણનું નામ જ લેતાં


હિરણ્યકશિપુની મનાઈ છતાં પ્રહલાદે ભગવાનનું સ્મરણ ન છોડ્યું. ભરતે માતા કૈકેયીનો ત્યાગ કર્યો પણ રામનું નામ ન છોડ્યું, એવા અનેક દાખલા ઇતિહાસમાં મોજૂદ છે. ઈશ્વરનું સ્મરણ, મનન અને નિદિધ્યાસન કરવામાં જે બાધારૂપ હોય તેનો ત્યાગ કરવો જોઈએ – એવો સંદેશ આપતું આપણા આદિકવિ નરસિંહ મહેતાનું આ સુંદર ભજન સાંભળીએ વિવિધ સ્વરોમાં.
*

*

*

*
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીયે રે.

કુળને તજીયે, કુટુંબને તજીયે, તજીયે મા ને બાપ રે;
ભગિની-સુત-દારાને તજીયે, જેમ તજે કંચુકી સાપ રે … નારાયણનું નામ.

પ્રથમ પિતા પ્રહલાદે તજીયો, નવ તજીયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજીયા શ્રીરામ રે … નારાયણનું નામ.

ઋષિપત્નિએ શ્રીહરિ કાજે, તજીયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કાંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે … નારાયણનું નામ.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજી વન ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃંદાવનમાં, મોહન સાથે મ્હાલી રે … નારાયણનું નામ.

– નરસિંહ મહેતા (સાભાર – સ્વર્ગારોહણ )

6 Comments