Press "Enter" to skip to content

Category: અન્ય સર્જકો

હાથમાં ગાંડીવ છે

કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?
જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી !

હું તને મારો ગણીને બંદગી કરતો રહું.
ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ?

જાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે,
આવશે હકદાર થઇને, મોત કંઇ માગણ નથી !

અલ્પ જીવનમાં બધીયે કેમ સંતોષી શકાય ?
બહુ તમન્નાઓ છે દિલમાં, એક બે કે ત્રણ નથી !

મધ્ય દરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,
આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.

હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.

ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઇ, ‘અમીર’ ?
મારી સમૃધ્ધિનાં કાંઇ એક-બે કારણ નથી !

– દેવદાસ ‘અમીર’

1 Comment

મૃત્યુ પછીની વાટ


મૃત્યુ પછી જીવની શી ગતિ થાય છે તે આપણને ખબર પડતી નથી. કહેવાય છે કે જો આપણે ખૂબ રોકકળ અને વિલાપ કરીએ તો દિવંગત આત્માની મરણોત્તર ગતિમાં રુકાવટ આવે છે. આપણી તીવ્ર સંવેદનાઓ એને મુક્ત રીતે ગતિ કરવા નથી દેતી. એ વાત કેટલી સાચી છે એ ખબર નહીં પરંતુ નઝિરની આ રચનામાં કંઈક એવું કહેવાયું છે કે મૃત્યુ પછીની વાટ વિકટ ના બનાવવી હોય તો આંસુ ન વહાવશો. જો કે બીજી પંક્તિમાં એના કારણનું ઉદઘાટન થયું છે કે જીવનમાં દુઃખ સિવાય કાંઈ ન હતું, સુખના પ્રસંગો ગણ્યાગાંઠા જ હતા. એવી જિંદગી માટે શું રડવું !
*
સ્વર- મનહર ઉધાસ, આલ્બમ: સૂરજ ઢળતી સાંજનો

*
મૃત્યુ પછીની વાટ વિકટ ના બનાવજો,
મારા મરણમાં કોઈ ન આસું વહાવજો.

બાળકને એક-બેની રજૂઆત ના ગમે,
તો એને મારા સુખના પ્રસંગો ગણાવજો.

સંપૂર્ણ કરવી હોય જો વેરાની કોઈની,
તો મુજ અભાગિયાને નયનમાં વસાવજો.

ત્યાંથી કદાચ મારે અટકી પણ જવું પડે,
મારી કશીય વાતને મનમાં ન લાવજો.

જીવન સ્વપ્ન સિવાય બીજું કાંઈ પણ નથી,
એ માન્યતાથી મારા જીવનમાં ન આવજો.

હું બેખબર રહું છું હવે મારા હાલથી,
કંઈ જાણવા સમું હો તો મુજને જણાવજો.

કહે છે તમારું સ્થાન નથી કયાંય પણ ‘નઝિર!
મક્તાથી આ વિધાનને ખોટું ઠરાવજો.

– નઝિર ભાતરી

2 Comments

વરસો સુધી


ધુમ્ર વિખરાયો ન તો ધૂણી કરી વરસો સુધી,
નામ એ જલતું રહ્યું બે અક્ષરી વરસો સુધી

ત્યાં પછી કયારેય ન ખીલ્યું એ ચહેરાનું કમળ,
એક ખાલી બારી મેં જોયા કરી વરસો સુધી.

ગોખલે નળિયે ફફડતાં ચોંકતાં પંખી સમા,
ઉમ્ર એ માહોલમાં ઉડતી ફરી વરસો સુધી.

સૂર્ય સડકે રેબઝેબ રઝળ્યા કર્યો તારો કવિ,
ને તને ન જાણ થઇ એની જરા વરસો સુધી.

કયાં અજંપો ઓલવાયો સ્હેજ ક્યાં પલળી તરસ,
કેટલી પ્યાલી ભરી ખાલી કરી વરસો સુધી.

ફૂલ પગલે તું ફરી આવી રહી આ શહેરમાં,
એવી અફવાઓ ઉગી ખીલી ખરી વરસો સુધી.

મેઘલી સાંજે હવે આજે અચાનક થઇ સજળ,
પથ્થરી આંખે ન ફૂટયું જળ જરી વરસો સુધી.

– કિસન સોસા

1 Comment

તો ચાલ તું

દૃશ્ય જેવાં દૃશ્યને ફોડી શકે તો ચાલ તું!
દૂર સન્નાટા સુધી દોડી શકે તો ચાલ તું!

કોઈ બાળક જેમ આળોટે અકારણ ધૂળમાં,
શ્વાસ તારા એમ રગદોળી શકે તો ચાલ તું!

વસ્ત્ર પાદર પર ઉતારી નાખવા તો ઠીક છે,
ઘર, ગલી ને ગામ તરછોડી શકે તો ચાલ તું!

મૌન ક્યાં છે મૌન, તિરાડો પડે છે હોઠ પર,
છેક અંદર ચીસને તોડી શકે તો ચાલ તું!

અંત ‘વંચિત’ અંત સામે આ ઊભો છે, લે હવે,
જીવવાની ઘેલછા છોડી શકે તો ચાલ તું!

– વંચિત કુકમાવાલા

2 Comments

કેમ સારો હું નથી ?


પાથરું છું ફૂલ, કાંટા વેરનારો હું નથી,
શાંત જળમાં પથ્થરોને ફેંકનારો હું નથી.

ફાયદો જોયા જ કરવાની છે આદત એમની,
ભાવતાલોથી સંબંધો જોડનારો હું નથી.

મૌન પણ ક્યારેક તો પડઘાય છે મ્હેફિલ મહીં,
શબ્દના ઘોંઘાટ થઇને નાચનારો હું નથી.

માંગવા છે જો ખુલાસા, રૂબરૂ આવી મળો,
કાગળો કે કાસીદોને માનનારો હું નથી.

બસ હવે આ ‘હું’પણાની જેલમાંથી નીકળી,
એમ જીવી જાઉં જાણે, હું જ મારો ‘હું’ નથી.

એમ તો મેં પણ દીધું છે રક્ત વારંવાર ‘ગુલ’
તે છતાં એની નજરમાં કેમ સારો હું નથી ?

– અહમદ ‘ ગુલ’

3 Comments

મા


માતાની મમતાળુ ગોદ આગળ વિશ્વના બધા વૈભવો તુચ્છ છે. જ્યારે માનો આશીર્વાદ આપતો વરદ હસ્ત કે હસતો ચહેરો માત્ર ફોટામાં મઢાઈ જાય છે ત્યારે જે વિવશતા એના સંતાનો અનુભવે એને વર્ણવવા માટે શબ્દો ટાંચા પડે. ખુબ સરળ શબ્દોમાં મા વિશે એવી કેટલીય અદભૂત લાગણીઓ અભિવ્યક્ત કરતી આ સુંદર ગઝલ આજે માણીએ. રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા તથા ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા – એમાં સંવેદનાઓ શિખર પર હોવાનો અહેસાસ થાય છે.

થઈ અજાણી શહેરમાં આવ્યા પછીથી મા,
આઠ આનાની ચબરખીમાં જ મળતી મા.

હાથને ચૂમી ભર્યાનો થઈ ગયો અનુભવ,
સાવ કોરી પાટીમાં જ્યાં સ્હેજ ઘૂંટી મા.

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.

આ વખત વરસો પછી હું જઈ રહ્યો છું ગામ,
આ વખત થાકી જવાનો હું ય શોધી મા.

આજ હું ‘બેદિલ’ રડ્યો ત્યારે થઈ છે જાણ,
ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા.

-અશોક ચાવડા ‘બેદિલ’

3 Comments