ગઝલનો જન્મ ઉર્દુ-ફારસીમાં થયો હોવાનું મનાય છે. એ સમયની ગઝલોમાં સુરા, જામ, સાકી વગેરેનો ઉલ્લેખ અચૂક જોવા મળતો. એવા જ લોકો ગઝલની સભાઓમાં જતા. કદાચ બીજા કોઈ એમાં પહોંચી જાય તો તેઓને એની ગતાગમ જ ન પડે, એને યથાર્થરૂપે માણી ન શકે. શૂન્યે એથી જ આ ગઝલમાં કહ્યું કે જેને વિષય પરત્વેનું જ્ઞાન ન હોય એણે એવી જગ્યાઓએ નહીં જવામાં જ સાર છે.
*
સ્વર- મનહર ઉધાસ, આલ્બમ- આરંભ
*
નજીવા સ્વાર્થમાં જે મોતીઓ માટીમાં રોળે છે,
કરીને આબરુ લિલામ નિજનું નામ બોળે છે,
કરું તરફેણ એ પીનારની હું કઈ રીતે સાકી,
પીએ છે જેટલું એથી વધુ જે રોજ ઢોળે છે.
*
જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?
સાકી જે મયકશીની અદબ રાખતા નથી
પામી શકે એ તારી નજરનો મુકામ શું ?
અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો
ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ?
મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ
જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?
– શૂન્ય પાલનપુરી
બહેકી ગયા છીએ પુરે પુરા અમે આ ગઝલ થી; નથી જાવું થવા બદનામ સુરાલયથી……..
ગઝલ શુન્ય પાલનપુરીની છે એમાં કોઇ ના નહીં, પણ હુ ધારું છું ત્યાં સુધી મુક્તક અમૃત ઘાયલનું છે….
પ્રિતમ ભાઈ મને પણ ઍવું જ લાગે છે કે મુક્તક અમૃત ઘાયલનું છે. અને ઘણા સમય પછી ગઝલ વાંચીને જુના દિવસો યાદ આવી ગયા મિતિક્ષા.કોમનો આભાર માનુ એટલો ઓછો છે.
જો શક્ય હોય તો મનહર ઊધાસની અનુભવ આલ્બમની એક રાજા હતો ગઝલ મુકવા વિનંતિ.
મનહરભાઈ ગઝલ ગાતા પહેલા મુક્તક કોનું છે એ અવશ્ય બોલે છે પણ આ ગઝલ માં સંભળાતું નહિ – હા ઉપરનું મુક્તક અમૃત સાહેબનું જ છે
——————————-
એક રાજા હતો એક રાણી હતી
એ તો તારી ને મારી કહાણી હતી
કયાં હું ભુલો પડયો એ ખબર ના પડી
મારી તો વાટ આખી અજાણી હતી
માત્ર એના અનુભવ થયા સૌ નવા
પ્રીત તો એની સાથે પુરાણી હતી
જિંદગી ના મે દિવસો જ ખર્ચ્યા કર્યા
જિંદગીમાં બીજી કયાં કમાણી હતી
એક ચાદર હતી આભની ઓઢવા
રાતના જોયું તો એ ય કાણી હતી
ભવ્ય કેવું હતુ મોત ‘બેફામ ‘નું
ભેદી ને દુશ્મનોમાં ઉજાણી હતી.
– બરકત વિરાણી ‘બેફામ’
શૂન્ય લાગે છે
શૂન્યનું આ નગર
શૂન્ય વગર.