ભતૃહરિએ વૈરાગ્ય શતકમાં કહ્યું છે કે ભોગોને ભોગવતાં ભોગવતાં અમે જ ભોગવાઈ ગયા. અર્થાત્ જીવનની પરિસમાપ્તિ થવા આવી પણ ભોગથી તૃપ્તિ ન થઈ. જીવનમાં માણસની સાથે પણ આવું જ કંઈ બને છે. નાનપણમાં ઢીંગલા-ઢીંગલી રમતા હોય છે. એ બાળપણની પહેલી પ્રીત હોય છે. ઢીંગલી છૂટી જાય પછી યુવાનીમાં પ્રેયસી સાથે પ્રીત મંડાય છે. એ પણ છેવટે નંદવાઈ જાય ત્યારે ઘડપણમાં મૃત્યુ સાથે જ પ્રીત કરવાની બાકી રહે છે. બીજી પ્રીત કરતાં મૃત્યુ સાથેની પ્રીત જુદી છે કારણ એ મિલન સનાતન છે. એમાં જુદાઈનો અવકાશ નથી. મૃત્યુ એ અનિવાર્ય સત્ય છે એનું ઉદઘાટન ખુબ સુંદર રીતે થયું છે. મનહર ઉધાસનો કંઠ રચનાને માધુર્ય આપે છે.
*
આલ્બમ: આવકાર
*
બાળપણમાંથી જવાની ને જવાનીથી જરા
જિંદગીના વસ્ત્રને બદલાવતો ચાલ્યો ગયો.
*
જીવનની શરૂઆત હતી તો ઢીંગલી સાથે પ્યાર કર્યો
હું એની સાથે રમતો’તો એ મારી સાથે રમતી’તી
હું કંઈ ના બોલી શકતો’તો એ પણ ક્યાં બોલી શકતી’તી
એ વચન વગરની પ્રીત હતી, એ ભાષા વિનાનો પ્યાર હતો
એ શબ્દ વિનાના ગીત હતા, એ બાળકનો સંસાર હતો
એ ઢીંગલી પણ છીનવાઈ ગઈ ….
બે શબ્દ જરા હું શીખ્યો ને એ દોલત પણ લૂંટાઈ ગઈ
પછી આપની સાથે પ્યાર કર્યો,
મેં પાયલ સાથે પ્રીત કરી, કાળી આંખો સાથે પ્યાર કર્યો,
મીઠા શબ્દો ઉપર મીટ ધરી, ગોરા ગાલો સાથે પ્યાર કર્યો,
એ પ્રકરણ સંકેલાઈ ગયું ….
એ જામ ન આવ્યા હોઠ સુધી ને એ ઝરણું સૂકાઈ ગયું.
હવે બાકી એક જ પ્રીત રહી અને તે છે મૃત્યુ સાથેની ..
એમાં નિષ્ફળતાને સ્થાન નથી,
એક વાર મિલન જો થઈ જાયે પછી વિરહને ત્યાં અવકાશ નથી.
પ્રિય વ્યક્તિનો વિયોગ સાલે તે સ્વાભાવિક છે પરંતુ કેટલીક વાર નીકટ રહેવાથી નીપજતી પરિસ્થિતિ એટલી કરુણ અને દર્દનાક હોય છે કે આપણને એમ થાય કે એના કરતા તો દૂર રહેલા સારા. યાદ આવે છે પેલી પ્રસિદ્ધ પંક્તિઓ …
સ્નેહ છે અગ્નિના જેવો સાવધાન સદા રહો
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે.
આ જ ભાવોને મૂર્ત કરતી જવાહર બક્ષીની મને ખુબ ગમતી રચના એટલા જ સુંદર સ્વરાંકનમાં.
*
સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ
*
દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.
જીવવા જેવું જ જીવાયું નહી,
જીવવાની આવડત મોંઘી પડી.
મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.
આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.
શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી પડી.
આજે મહાશિવરાત્રી છે. તો એ નિમિત્તે શ્રી યોગેશ્વરજી રચિત ભગવાન શિવની સુંદર સ્તુતિ સાંભળીએ.
*
આલ્બમ: વંદે સદાશિવમ; સ્વર: આશિત અને હેમા દેસાઈ
*
સુહાયે મસ્તકે ગંગા, વળી મધુ ચંદ્ર માણે છે,
શરીરે પુષ્પની માળા સમા સર્પો સુહાયે છે.
પરમ શોભા બની જેની, લજાયે કામ જ્યાં લાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.
નથી ઐશ્વર્યની તુલના, પતિ બ્રહ્માંડના જે છે,
મધુર છે રૂપ જેનું તોય ત્યાગી રૂપમાં રહે છે.
સદાયે સિદ્ધ ને યોગીન્દ્ર જેને પૂજતા લાખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.
મહાકૈલાસના વાસી વળી આત્મા તણા રાગી,
ભર્યા કરુણા થકી ત્યાગી, છતાંયે ખૂબ વરણાગી.
બધીયે રિદ્ધિ સિદ્ધિ ભુક્તિ મુક્તિ ભક્ત પર નાંખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.
જગત કલ્યાણ કાજે જે હરખતાં નીલકંઠ થયા,
અનંગ કર્યો રતિસ્વામી, ઉમાની સાથ તોય રહ્યા.
ચરણ એ દેવ મારા મસ્તકે મધુરાં સદા રાખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.
તમે ના હોત તો ગંગા મળત ના મર્ત્ય આ જગને,
તમે ઝીલી શક્યા તેને જટામાં દિવ્યશક્તિ એ.
લભી તે દિવસથી ગંગા કરે છે પુણ્યમય લાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.
કરી મજ્જન અને જલપાન લોકો પુણ્ય મેળવતા,
બની ઐશ્વર્યશાળી ને સુખી ને વૈભવી બનતા.
બને છે દૂત યમના જેમની પાસે ખરે માખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.
કહે છે મૂર્ખ માનવ જડ તમોને તે કહે છોને,
નિહાળી પ્રેમ હાલો છો, વળી બોલો મધુર બોલે.
નથી વિશ્વાસ પણ જગને, જગતમાં લાખ છે શાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.
કરે જો પ્રાર્થના ભાવે, ભજે તમને સદા રાગે,
બને ના તો તમારૂં રૂપ પ્રેમી પાસ ના જાગે.
ભગતનો વ્યાજ સાથે પ્રેમ વાળી દો તમે આખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.
મહા ત્યાગી છતાંય ઉમા કરે સેવા તમારી તો,
વળી બ્રહ્માંડના પતિ છો, છતાં એકાંતવાસી છો.
ન સમજે મૂર્ખ જન તમને, મને ના ભ્રાંતિમાં નાંખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.
તમારી હો કૃપા મંગલમયી એ એક આશા છે,
ઉમા-શંકર તમારા દ્રષ્ટિ સુખની ફક્ત આશા છે.
સુણી પોકાર મારો આવજો પ્રેમે કરી પાંખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.