Press "Enter" to skip to content

Category: નાઝિર દેખૈયા

હું હાથને મારા ફેલાવું


ઈશ્વર આપણો સાથી છે, આપણા અંતરમાં રહે છે, આપણી બધી જ વાતોને જાણે છે – આપણે આવું સાંભળતા આવ્યા છીએ. જો એમ જ હોય તો એને આપણી તકલીફનો અહેસાસ હોવો જોઈએ, આપણી પીડાનો અનુભવ થવો જોઈએ અને એમ હોય તો એને દૂર કરવા માટે પ્રાર્થના કરવાની જરૂર ન પડવી જોઈએ. ઈશ્વર પાસે હાથ ફેલાવીને નહીં કરગરવાની કવિ નાઝિરની આ ખુમારી માણો આ સુંદર ગઝલમાં.
*
સ્વર: મનહર ઉધાસ, આલ્બમ: અસ્મિતા

*
હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશીય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?

આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે એમાં નૂર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.

– નાઝિર દેખૈયા

4 Comments

ગગનવાસી ધરા પર


દુઃખ પડે ત્યારે માણસને ઈશ્વર યાદ આવે છે. એ વખતે માણસ ભગવાનને આજીજી, પ્રાર્થના કે ક્યારેક પ્રશ્નો પણ કરે છે. પણ અહીં કવિ નવી જ વાત લાવ્યા છે. તેઓ ભગવાનને કહે છે કે હે શેષશૈયા પર શયન કરનાર, કદી પૃથ્વી પર આવી બે ઘડી શ્વાસ તો લઈ જુઓ. તો તમને ખબર પડે કે આ જીવન જીવવું કેટલું મુશ્કેલ છે. માણો ભાવનગરના કવિ નાઝિર દેખૈયાની આ યાદગાર રચના મનહર ઉધાસના કંઠે.
*

*
ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો!
જીવનદાતા, જીવન કેરો અનુભવ તું કરી તો જો!

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ ભગવન,
ફકત એકવાર કાંટાની પથારી પાથરી તો જો!

જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું,
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો!

નથી આ વાત સાગરની, આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા! તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે “નાઝિર”
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

– નાઝિર દેખૈયા

[ ફરમાઈશ કરનાર – નિરાલી ]

7 Comments

થઈ જાય તો સારું


ભગવાન શંકરની જટામાંથી જાહ્નવી ગંગાનું પૃથ્વી પર અવતરણ માનવજાતિના મંગલનું કારણ બન્યું. જો એવી રીતે નીચે પડવું કોઈને માટે કલ્યાણકારણ થતું હોય તો એવું પતન પણ મુબારક હો. વળી પ્રેમીનું પોતાને ઘર જવા નીકળવું – વિયોગની એ ઘટનાથી ઉદાસ થયેલ કવિ કહે છે કે એને રસ્તામાં કોઈ અપશુકન થાય અને એ રીતે પણ એ ઘરે પાછા આવે તો એ મને કબૂલ છે. સુંદર શેરોથી સભર નાઝિરની આ ગઝલ આજે માણો.

પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું,
ભલે ગંગા સમું એ મુજ પતન થઈ જાય તો સારું.

નહીં તો દિલ બળેલા ક્યાક બાળી દે નહીં જગને,
પતંગા ને શમા કેરું મિલન થઈ જાય તો સારું.

એ અધવચથી જ મારાં દ્વાર પર પાછા ફરી આવે,
જો એવું માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું.

નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે,
હૃદય ઉછાંછળું છે, જો સહન થઈ જાય તો સારું.

કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું !
અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું.

જીવનભર સાથ દેનારા, છે ઈચ્છા આખરી મારી,
દફન તારે જ હાથે તન-બદન થઈ જાય તો સારું.

વગર મોતે મરી જાશે આ નાઝિર હર્ષનો માર્યો,
ખુશી કેરુંય જો થોડું રુદન થઈ જાય તો સારું.

– નાઝિર દેખૈયા

1 Comment

અમે ધાર્યા નથી જાતાં

અમે એથી જ તો કોઈ સ્થળે માર્યા નથી જાતાં;
કોઈની ધારણા માફક અમે ધાર્યા નથી જાતાં.

બરાબર લાગ જોઈને નિશાને ઘાવ ફેકું છું,
અને તેથી જ મારાં તીર અણધાર્યા નથી જાતાં.

તમે તો એ રીતે પણ મોકળું મનને કરી લો છો,
અમારાંથી તો અશ્રુઓય જ્યાં સાર્યા નથી જાતાં.

હઠીલા હોય છે એને કાં સમજાવે છે મન મારા!
એ જાયે છે તો હાર્યા જાય છે વાર્યા નથી જાતાં.

તમે કાં વાતે વાતે નીર ટપકાવો છો નયનોથી,
બધા અવસર સમે કંઈ દ્વાર શણગાર્યા નથી જાતાં.

નમન પર નાઝ કરનારને ‘નાઝિર’ આટલું કહી દે,
ઘણાય એવાય છે સઝદા જે સ્વિકાર્યા નથી જાતાં.

– નાઝિર દેખૈયા

2 Comments

મને રુદન દેજે

[ ભાવનગરના કવિ નાઝિર દેખૈયાની આ ખુબ સુંદર કૃતિ છે. એના એકેક શેરમાંથી અનેરી ખુમારી ટપકે છે. આ ગઝલ માત્ર ગઝલ નથી પણ એક સ્વમાની માનવની પ્રાર્થના, એનો ઈશ્વર સાથેનો સંવાદ છે. ]

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.

જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો,
હું પરખું પાપને કાયમ, મને એવા નયન દેજે.

સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું,
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.

ખુદા આ આટલી તુજને વિનતી છે આ ‘નાઝિર’ની,
રહે જેનાથી અણનમ શીશ, મને એવા નમન દેજે.

– નાઝિર દેખૈયા

9 Comments