Press "Enter" to skip to content

Month: December 2008

રામ સભામાં અમે


ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાએ રચેલા અનેકવિધ પદોમાં એમની આધ્યાત્મિક અનુભૂતિઓને વણી લીધી છે. પ્રસ્તુત પ્રભાતિયામાં હરિનો રસ પીવાને કારણે થયેલી દશા વર્ણવવામાં આવી છે. જ્યારે પ્રભુનામનો નશો રોમેરોમ વ્યાપી જાય ત્યારે ભક્ત ભગવાન જેવો થઈ જાય છે. એને ઈશ્વરનું અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થઈ જાય છે. તદ્રુપતાની એ ઉચ્ચોચ્ચ અવસ્થામાં નરસૈયો ઝૂમીને ગાય છે. તો આજે આપણે પણ હરિરસના પ્યાલાને પીને ઝૂમીએ અને કહીએ 2008 ને અલવિદા.
*

*
રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં
પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પુરણ પાયો.

પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,
બીજે પિયાલે રંગની હેલી રે
ત્રીજો પિયાલો મારાં રોમે રામે વ્યોપ્યો
ચોથે પિયાલે થઈ ઘેલી રે …રામ સભામાં

રસ બસ થઇ રંગ રસિયા સાથે,
વાત ન સુઝે બીજી વાટે રે
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે
તે મારા મંદિરીયામાં મ્હાલે રે … રામ સભામાં

અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં
અખંડ સૌભાગી અમને કીધાં રે
ભલે મળ્યા મહેતા નરસૈંઇના સ્વામી
દાસી પરમ સુખ પામી રે … રામ સભામાં

– નરસિંહ મહેતા

2 Comments

ઉદય જોઈને ચંદ્રનો


આજ, મહારાજ ! જલ ઉપર ઉદય જોઈને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે

સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે;
પિતા, કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

તરલ તરણી સમી સરલ તરતી,
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

-કાન્ત (મણિશંકર રત્નજી ભટ્ટ)

2 Comments

મેરુ તો ડગે


વીજળીના ચમકારે મોતીડા પરોવો – એ એક ભજન દ્વારા ગુજરાતી સંતસાહિત્યના આકાશમાં ચમકારો કરનાર ગંગા સતીના ભજનોથી આપણે અજાણ નથી. આજે ગંગા સતીનું એવું જ એક અન્ય પ્રસિદ્ધ ભજન સાંભળીએ. ઈશ્વરના માર્ગે ચાલવાનો પ્રામાણિક પ્રયત્ન કરનાર અને ચાલીને અનુભૂતિથી સંપન્ન બનનાર વ્યક્તિના લક્ષણો વિશે કેટલી સરળ ભાષામાં ગંગાસતીએ કહ્યું કે જેનું મન સુખ-દુઃખ, પ્રસંશા-નિંદા, સારા-નરસાં કોઈપણ સંજોગોમાં સ્થિર અને સમ રહે તેને ખરો હરિનો જન જાણવો.
*

*
મેરુ તો ડગે જેનાં મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં; સોઈ હરિજનનાં પ્રમાણજી – મેરુ.

ચિત્તની વૃતિ જેની સદાય નિરમળ ને કોઈની કરે નહિ આશજી;
દાન દેવે પણ રહે અજાસી, રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ.

હરખ ને શોકની આવે નહી હેડકી, આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને તોડે માયા કેરા ફંદજી – મેરુ.

તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં, તે નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને આરાધના માંડે તો, અલખ પધારે એને દ્વારજી – મેરુ.

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે, શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં, જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ.

સંગત કરો તો તમે એવાની કરજો, જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગા સતી એમ બોલિયાં, જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ.

– ગંગા સતી

2 Comments

ઉમર ખૈયામની રુબાઈઓ – 4


આશરે અગિયારમી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખૈયામનું નામ ઓગણીસમી સદીમાં જન્મેલા એડવર્ડ ફિટ્ઝેરાલ્ડે કરેલા અનુવાદ પછી પશ્ચિમના દેશોમાં પ્રસિદ્ધ થયું. ગુજરાતી ભાષાનું અહોભાગ્ય કે શૂન્યે એનો ગુજરાતી તરજૂમો કરી પોતાની સર્જનશક્તિનું નવું નૂર ચઢાવી પ્રસ્તુત કરી. એકેક રુબાઈઓ પર આફરીન થઈ જવાય અને વારેવારે વાંચવી, સાંભળવી અને મમળાવવી ગમે એવી ઉત્તમ અર્થસભર રુબાઈઓ સમયાંતરે પ્રસ્તુત કરતા આવ્યા છીએ. આજે થોડી વધુ રુબાઈઓ માણીએ. એમાં જીવનની ક્ષણભંગુરતાને કેટલી સુંદર રીતે શબ્દોમાં રજૂ કરાઈ છે!

જાગ પ્યારા ! રંગનો સંદેશ લઇ આવી સવાર,
બે ઘડી માટે ફનાની કુંજ પર છાઇ બહાર;
ભર કસુંબલ રંગની તું યે બિલોરી જામમાં,
જોતજોતામાં ઊડી જાશે આ જીવનનું તુષાર.
*
હર પ્રભાતે ચેતવે છે કુર્કટો કેરી પુકાર,
જો ઊષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન ! કે એક રાત ઓછી થઇ ગઇ,
આયખું એમ જ ઘટી જાશે, કદી કીધો વિચાર ?
*
ધાર કે સંસારનો છે દોર સૌ તુજ હાથમાં,
ધાર કે તું વ્યોમને ભીડી શકે છે બાથમાં;
ધાર કે સોંપ્યા કુબેરોએ તને ભંડાર પણ,
આવશે કિંતુ કશું ના આખરે સંગાથમાં.
*
શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઇ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
*
હોય તુજ આયુ સદી કે બે સદી અથવા હજાર !
એક દિવસ તો જવું પડશે તજી સૌ કારભાર;
તું ભિખારી હો કે રાજા, ફેર કૈં પડશે નહીં,
અંતમાં તો બેઉનો સરખો જ બોલાશે બજાર.

– ઉમર ખૈયામ (ગુજરાતી – શૂન્ય પાલનપુરી)

Leave a Comment

હૃદયના દર્દની તમને જરા જો કલ્પના


જીવનભર જેને લોકોએ માન-સન્માન ન આપ્યું હોય, માંદા થયા હોય તો કદી ખબર જોવા જવાની તસ્દી ન લીધી હોય એવી વ્યક્તિનું મોત થાય ત્યારે લોકો એની શોકસભા ભરે, એના વિશે સારી સારી વાતો કરે, એ કવિને ખટકે છે. એથી એ કહે છે કે કમ સે કમ એ રીતે મરણનું મૂલ્ય જીવનથી વધુ લાગ્યું. મનહર ઉધાસને કંઠે ગવાયેલી ને દર્દમાં ઘૂંટેલી આ સુંદર ગઝલને આજે માણીએ.
*

*
રેત ભીની તમે કરો પણ રણ સમંદર કદી નહીં લાગે
શબને ફૂલો તમે ધરો છો પણ મોત સુંદર કદી નહીં લાગે.
*
હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,
કસમથી આપની જીભે સદા સો સો દુઆ આવે.
 
તમારી હોય જો ઇચ્છા વધાવી લઉં હું એને પણ,
સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ પર જો વ્યથા આવે.
 
સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે.
 
જરા ઘૂંઘટ હટાવી ઝાંખવું નજરો બચાવીને,
અમારી જાન જાએ ને તમોને તો મજા આવે.
 
તમારા વાયદાઓ છે કે રેતી પર મિનારાઓ,
તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.
 
નજર દિલ પર પડે છે તો આ જખ્મો એમ ફૂલે છે,
કે પથ્થર જાય પાણીમાં ને ઉપર બુદબુદા આવે.
 
મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે.
 
શિકાયત શું કરે દિલ કોઈ ના આવે ગજું શું છે ?
મોહબ્બત હોય જો ‘કામિલ’ તો ખુદ પાસે ખુદા આવે.

– ‘કામિલ’ વટવા 

6 Comments

ભગવો થઇ ગયો

આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો.
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો.

આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો.
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો.

જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.

તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો.

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

– જવાહર બક્ષી

2 Comments