લહેરે થીજી ગયેલું ઝરણ ખળ ખળે નહીં
શોધું છું કયાંય સૂર્યનું પગલું મળે નહીં
આવી લચે છે આંખમાં સૂરજ ઊગ્યાની વેલ
રાત્રિઓ ઉદાસીની છતાં કયાં ઢળે નહીં
આવા બુરા દિવસ છે તમારા ગયા પછી
બોલ્યા કરુ ને અર્થ કશો નીકળે નહીં
ખોવાયાં છે આપણે કયાં, કેમ શોધશું ?
અણસારનો દીવો કોઇ રસ્તે બળે નહીં.
રસ્તો રૂંધીને પાનખરોની તરસ ઊભી
લીલી ભીનાશ પાનમાં પાછી વળે નહીં.
ચીતરેલ વૃક્ષ જેવી મળી છે સભાનતા
ખરતું નથી કશું યે કે કંઇ પણ ફળે નહીં
સૌ પંખીઓ વળી ગયાં પોતાના નીડ ભણી
મારી ઉદાસ સાંજને માળો મળે નહીં
પથ્થરની મુર્તિ એટલા માટે મુકી હશે
કે કોઇ બંદગી એ કદી સાંભળે નહીં
– રમેશ પારેખ