Press "Enter" to skip to content

Month: August 2008

નથી શકતો


જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો.

ફુલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો.

જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો.

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.

બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો.

ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો.

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો.

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે ‘બેફામ’
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.

– બેફામ

4 Comments

વરસાદમાં…


ગુજરાતની ધરતીને વરસાદે વ્હાલથી નવડાવી દીધી એ સાંભળીને વરસતા વરસાદમાં પલળવાના ને ફરજિયાત ન્હાવાના દિવસો યાદ આવી ગયાં. વરસાદમાં ન્હાતાં પ્રેમભીના હૈયાને કોઈકના આવવાનો ઈંતજાર હોય છે અને એ નહીં આવે એવી ખબર પડતાં .. વરસતા વરસાદે પણ દિલમાં આગ લાગી જાય. સરળ સીધા શબ્દોથી સુંદર ભાવોની અભિવ્યક્તિને સાંભળો અનુરાધા પૌંડવાલ અને મનહર ઉધાસના કંઠે.
*
[આલ્બમ: આભૂષણ, સ્વર- અનુરાધા પૌંડવાલ અને મનહર ઉધાસ]

*
એ નહીં આવે કદી વરસાદમાં
આગ લાગી ગઈ સખી વરસાદમાં.

કોની સાથે જઈને ભીંજાવું હવે,
સાવ સૂની છે ગલી વરસાદમાં.

એક દુઆ માંગી કોઈએ રાતભર,
એક ગઝલ મેં પણ લખી વરસાદમાં.

દુઃખની રાતોમાં કોઈ મળતું નથી,
ક્યાં મળે છે ચાંદની વરસાદમાં.

છે તગઝ્ઝુલ રંગનો વૈભવ ‘અદી’
શાયરી દુલ્હન બની વરસાદમાં.

– અદી મિરઝા

( * તગઝ્ઝુલ – ગઝલનો રંગ )

4 Comments

પણ ક્યાં સુધી ?

આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. જીવનમાં બધી વસ્તુઓ, વ્યક્તિઓ અને સંજોગો આપણા મન મુજબ નથી મળતા. એ માટે પરિશ્રમ અને સંઘર્ષ તથા ભાગ્ય જોઈએ. વ્યક્તિ જ્યારે સંઘર્ષથી થાકી જાય અને એને ઈપ્સિત ન મળે ત્યારે એના મનમાં જે ભાવો ઉઠે તેનું ચિત્રણ આ રચનામાં ઝીલાયું છે. કદાચ ઘણાંને આ વાંચીને થશે કે આવા દિવસો અમે પણ જોયા છે !

સમયનો તકાદો છે ઈન્તજારનો
હું રાહ જોઉં, પણ ક્યાં સુધી ?

મંઝિલ નથી દૂર, મજલ છે લાંબી,
હું ચાલતો તો રહું, પણ ક્યાં સુધી ?

શમણાંઓ બોલે છે આગમનની ભાષા,
એને રાખું હું મૂંગા, પણ ક્યાં સુધી ?

દર્શનને ઝંખે છે વિરહાતુર નયનો,
દોર આશાનો હું ખેંચું, પણ ક્યાં સુધી ?

સમયની રેતમાં ક્ષણો સરી જાય છે,
હું શ્વાસોને ઝાલું, પણ ક્યાં સુધી ?

ધીરજની કસોટીની હદ હોય, ઓ ઈશ્વર !
તને પોકારતો રહું, પણ ક્યાં સુધી ?

દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

15 Comments

નામ લખી દો


બે પ્રેમીઓ પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા એકમેકનું નામ હથેળી પર લખે છે અને પ્રેમના પ્રતીકરૂપે હૃદયનો આકાર ચીતરે છે, એ સહજ ચેષ્ટામાંથી કવિએ આ અનોખું ભાવજગત સર્જ્યું છે. એની એકે એક પંક્તિઓ વારેવારે ગાવાનું મન થાય એવી છે. આમ તો મેં આ કવિની અન્ય કોઈ કૃતિઓ વાંચી નથી પણ આ એક જ કૃતિ તેમની પ્રસંશા માટે પૂરતી છે. મનહર ઉધાસના મખમલી કંઠે માણો આ સુંદર ગઝલને.
[સ્વર : મનહર ઉધાસ, આલ્બમ: આકાર ]

*
હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામની સાથે સાથે સાજન, સરનામું પણ ખાસ લખી દો… હળવે હાથે

થોક થોક લોકોની વચ્ચે હવે નથી ગમતું મળવાનું,
ઢેલ સરીખું વળગું ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો… હળવે હાથે

એકલતાનું ઝેર ભરેલા વીંછી ડંખી લે એ પહેલા,
મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખી દો… હળવે હાથે

બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે,
નામ તમારું મારા નામની પાછળ ખુલ્લે આમ લખી દો… હળવે હાથે

– અરુણ દેસાણી

3 Comments

માદરે વતન

[ પરિવર્તનના આ યુગમાં જન્મસ્થાનમાં જ આખી જિંદગી વીતાવવાનું સદભાગ્ય ભાગ્યે જ કોઈકને મળે છે. જ્યારે પોતાના માદરે વતનને છોડીને બીજે જવાનું થાય છે ત્યારે આંખો ભીંજાય એ સ્વાભાવિક છે, પરંતુ વરસો પછી જ્યારે વતન પાછા ફરવાનું થાય ત્યારે દૃશ્યપટ આગળ અનેકવિધ સ્મૃતિઓ સળવળી ઉઠે. એ સમયના ભાવજગતનું સુંદર ચિત્રણ આ કૃતિમાં થયું છે. ]

વર્ષો પછી ઘર ખોલતા લાગ્યું કે હું બેઘર હતો
જે ધુળ ત્યાં જામી હતી, એ લાગણીનો થર હતો

ફફડી ઉડ્યાં કોઈ ખુણે પારેવડાં યાદો તણાં
આખું સદન અજવાસથી શણગારતો અવસર હતો

આંગણ હજી પડઘાય છે લંગોટીયાના સાદથી
જર્જર છતાંયે આજ પણ વડલો ઉભો પગભર હતો

થાપા હતા બે વ્હાલના, ને એકલો બસ ભીંત પર
વલખી રહ્યો પ્રતિબિંબ માટે આયનો નશ્વર હતો

આશિર્વચન માબાપનાં ઘંટારવો કરતાં હતાં
ને ગોખમાં મંદીર તણાં બચપણ સમો ઈશ્વર હતો

– ડૉ. જગદીપ નાણાવટી

1 Comment

કહેવાય નહીં

ગુજરાતી ગઝલકારોમાં શિરમોર સમા અમૃત ઘાયલ સાહેબની આ રચના ખુબ પ્રસિદ્ધ છે. શબ્દોને ભાવના ટાંકણે ટીચી ગઝલની મૂર્તિનું સર્જન કરનાર આ અનોખા શાયરની ખુમારી એમના એકેક શેરમાંથી ટપકે છે. જીવનભર દર્દ સહન કર્યા પછી ‘હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં’ કહીને એમણે હૃદયનું દર્દ કેટલી ખૂબીથી રજૂ કર્યું છે ! આપણે એટલું જ કહી શકીએ કે ઘાયલ સાહેબ, તમને સલામ !

મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં

આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં

શોકનો માર્યો તો મરશે ન તમારો “ઘાયલ”
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં

– અમૃત ઘાયલ

2 Comments