Press "Enter" to skip to content

Month: July 2008

ફૂલ કેરા સ્પર્શથી


આપણે ગુજરાતીમાં કહેવત છે કે ‘દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ’. જ્યારે વ્યક્તિને સંબંધોમાંથી દર્દ મળે, ઉઝરડા થાય ત્યારે તે બધા તરફ જ શંકાની નજરે જોવા માંડે, એનો પ્રેમ પરથી, સંબંધ પરથી વિશ્વાસ જ ઉઠી જાય. અહીં સૈફ એવા જ કોઈ દર્દને યાદ કરે છે. ગઝલની છેલ્લી બે પંક્તિઓ મારી મનગમતી છે..આદતથી મજબૂર, એક રૂઢિ કે પ્રણાલિમાં બંધાઈને ગઝલો લખાય કે ગવાય પણ એ પ્રમાણે જીવવું અતિ દોહ્યલું છે. જીવન અને કવન વચ્ચેના વિરોધાભાસનો સ્વીકાર કોઈ સૈફ જેવો જીંદાદિલ શાયર જ કરી શકે.
*
સ્વર – મનહર ઉધાસ

*
ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે
અને રૂઝાયેલાં ઝખમ પણ યાદ આવી જાય છે

કેટલો નજદીક છે આ દૂરનો સબંધ પણ
હું હસું છું એકલો એ એકલા શરમાય છે

કોઈ જીવનમાં મરેલા માનવીને પૂછજો,
એક મૃત્યુ કેટલા મૃત્યુ નભાવી જાય છે.

આ વિરહની રાત છે, તારીખનું પાનું નથી
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે

એક પ્રણાલીકા નિભાવું છું લખું છું ‘સૈફ’ હું
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં હવે જીવાય છે ?

– સૈફ પાલનપુરી

2 Comments

નથી હોતી

[ ‘બેફામ’ની આ રચનાના કેટલાક શેર ખૂબ સરસ છે. મારી ડાયરીમાં વરસો સુધી ‘સફળતા જીંદગીની હસ્તરેખામાં નથી હોતી …’ પહેલા પાને લખાયેલું રહ્યું, હજુ છે. પુરુષાર્થનો મહિમા એમાં કેટલી સુંદર રીતે અભિવ્યક્ત થયો છે ! વળી આ રચનાની અંતિમ બે પંક્તિઓ પણ ઘણું કહી જાય છે. દરેક કવિની રચના અલગ હોય છે, કારણ દરેકનું દર્દ અલગ હોય છે. કેટલું સુંદર ! ]

સફળતા જીંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહીં તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.

મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.

તમે મારાં થયાં નહીં તોય મારાં માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.

વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?

હવે આથી વધુ શું ખાલી હાથે દિન વીતાવું હું ?
કે મારી જીંદગી પણ મારા કબજામાં નથી હોતી.

ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી.

ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી.

કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.

મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી.

બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી.

મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.

બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.

ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.

– બેફામ (બરકત વીરાણી)

4 Comments

ક્યારેક તો

[ આપણે સહુ જાણીએ છીએ કે વીતેલો સમય કદી પાછો આવતો નથી, પરંતુ કવિ કોનું નામ ? એ કલ્પનાના ગગનમાં વિહરે છે, શક્યતાનું દ્વાર એણે બંધ નથી કરવું.  લક્ષ્યની પાછળ દોટ મૂકનાર માનવી પણ એવી આશાને સહારે જ જીવતો હોય છે કે ક્યારેક તો એની તલાશ પૂરી થશે, પછી ભલેને એને માટે સમયનું ચક્ર ઉલટું ફેરવવું પડે. બાણથી પંખી હણાય છે પણ કવિનો કલ્પનાવૈભવ તો જુઓ ! એ વિચારે છે કે ભાથામાં કેદ પડેલા બાણને એણે આઝાદી અપાવી … વિચારોના નાવિન્યથી ઓપતી આ ગઝલનો આસ્વાદ માણો. ]

જે સમય ચાલ્યો ગયો એ આવશે ક્યારેક તો,
એ ગલી, એ ઘર, મને બોલાવશે ક્યારેક તો.

એક પડછાયો સતત એવું વિચારી દોડતો,
આ જ રસ્તે ભીંત એની આવશે ક્યારેક તો.

જાત હોમીનેય પંખી કામડીની કેદથી,
બાણ જેવા બાણને છોડાવશે ક્યારેક તો.

એ જ આશા પર નિરંતર રણ હજી જીવ્યે જતું,
માછલીને ઝાંઝવામાં ફાવશે ક્યારેક તો.

વૃક્ષ કેવળ ફળ તને બેસે જ એવું કંઈ નથી,
છાંયડો પણ બીજ એનું વાવશે ક્યારેક તો.

એમ સમજી હું સમયની બંધ મુઠ્ઠી રાખતો,
કોઈ આવી આંગળી ખોલાવશે ક્યારેક તો.

– ધૂની માંડલીયા
 

2 Comments

લ્યો અમે તો આ ચાલ્યા


ઘણાં ઓછા સર્જનો એવા હશે જે સાંભળ્યા કરવાનું મન થયા કરે, જેને સાંભળતા કદી કંટાળો ના આવે. મારા મનગમતા ગીતોમાંનું આ એક અહીં રજૂ કરું છું. રચનાની સાથે ઉમદા અર્થનો સંયોગ તથા આશિત દેસાઈ અને આરતી મુન્શીનો સબળ કંઠ, પછી કહેવું જ શું ? આ કૃતિની છેલ્લી પંક્તિ કેટલી સુંદર છે ! ફૂલ અને ઝાકળનું મિલન કેટલું ક્ષણિક અને છતાંય કેવું યાદગાર હોય છે, કેવું મોહિત કરનાર હોય છે ? શું એ આપણને એવો સંદેશ નથી આપતું કે પૃથ્વી પર આપણું માનવદેહે વિહરવાનું પણ ક્ષણિક છે, એને આપણે યાદગાર બનાવવું જોઈએ ?
*
સ્વર: આશિત દેસાઈ, આરતી મુન્શી; આલ્બમ: હસ્તાક્ષર

*
શબ્દ કેરી પ્યાલીમા, સુરની સુરા પીને,
લ્યો અમે તો આ ચાલ્યા
મસ્ત બેખયાલીમાં, લાગણી આલાપીને … લ્યો અમે તો આ ચાલ્યા

જે ગમ્યુ તે ગાયું છે, જે પીધું તે પાયું છે,
મહેકતી હવાઓમાં કંઇક તો સમાયું છે
ચાંદની ને હળવેથી નામ એક આપી ને … લ્યો અમે તો આ ચાલ્યા

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું,
સાચવી ને રાખ્યું’તું, અશ્રુ એ જ સાર્યું’તું,
ડાયરીના પાનાની, એ સફરને કાપી ને … લ્યો અમે તો આ ચાલ્યા

ફુલ ઉપર ઝાંકળનું, બે ઘડી ઝળકવાનું,
યાદ તોય રહી જાતું , બેઉને આ મળવાનું
અંતર ના અંતરને એમ સહેજ માપીને……લ્યો અમે તો આ ચાલ્યા

– તુષાર શુકલ

3 Comments

ગમી નથી

જલન માતરી સાહેબની આ રચનાનો એક શેર બહુ જ પ્રસિદ્ધ થયો છે. ઘણાં વરસો પહેલાં મુરારીબાપુની કથામાં એ સાંભળેલો. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર … એકદમ ઉડીને વળગી જાય તેવો હૃદયસ્પર્શી છે. વળી નદી પર્વતમાંથી નીકળ્યા પછી હંમેશા સાગર તરફ જ જાય છે, કદી પાછી પોતાના પિતૃગૃહે પાછી જતી નથી એ કરુણતાને કવિએ કેવી સહજ રીતે શુકન-અપશુકન પર છોડી દીધી છે. ચાલો માણીએ આખી રચનાને.

મજહબની એટલે તો ઈમારત બળી નથી
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી
સારું થયું કે કોઈ મનુજે લખી નથી

ત્યાં સ્વર્ગ ન મળે તો મુસીબતના પોટલાં
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર
કુર્રાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી

હિચકારું કૃત્ય જોઈને ઈન્સાનો બોલ્યાં
લાગે છે આ રમત કોઈ શયતાનની નથી

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી

ઊઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે
એ બંદગીનો દ્રોહ છે બંદગી નથી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

– જલન માતરી

1 Comment

ન કહો

[ મૃત્યુ કેવું હશે, એ પછી જીવનું શું થતું હશે, વગેરે વિચારો દરેકને આવે છે. આપણે બધા જ મૃત્યુને કંઈક અંશે ભયની નજરથી જોઈએ છીએ, એને અમંગલ, અશુભ માનીએ છીએ. પરંતુ અહીં જે રીતે એને અભિવ્યક્ત કરવામાં આવ્યું છે એ ખરેખર કાબિલે-તારીફ છે. રામકૃષ્ણ પરમહંસદેવ કહેતા કે મૃત્યુ એ તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવા જેવું છે, એક વસ્ત્ર ઉતારી બીજા વસ્ત્ર પહેરવા જેવું છે.  તાજેતરમાં અકસ્માત થયો તે સમયે લાગ્યું કે મૃત્યુ સાથે મારી મુલાકાત થઈ, એથી એનો સંદર્ભ જીવંત લાગે છે. છેલ્લી ચાર પંક્તિઓ મને વિશેષ પ્રિય છે. ]

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

– હરીન્દ્ર દવે

3 Comments