Press "Enter" to skip to content

Category: વિડીયો

મેરી ક્રિસમસ

સપ્ટેમ્બર 10, 1945ને દિવસે જન્મનાર પોર્ટોરિકન ગાયક અને ગિટારીસ્ટ હોઝે ફેલિસીયાનો (Jose Feliciano) જન્મજાત અંધ હતો. પરંતુ પોતાની અંધતાને એણે પોતાના અમર સર્જનો દ્વારા પાછળ મૂકી દીધી. એના અનેક યાદગાર ગીતોમાં આ ક્રિસમસ ગીતનો સમાવેશ થાય છે. હિંદુઓની બહુમતીવાળા આપણા દેશમાં ક્રિસમસ ભલે ખ્રિસ્તીઓનો તહેવાર ગણાતો હશે પણ પશ્ચિમના મોહપાશમાં જકડાયેલ સૌને હવે એ પોતાનો લાગવા માંડ્યો છે. તો આજે અમેરિકામાં ઘરેઘરે વાગતા આ સુંદર અને સરળ ગીતને સાંભળીએ. અત્યાર સુધી માત્ર ગુજરાતી ગીતો જ રજૂ કરવા એવો વણલખ્યો નિયમ તોડી આજે આ સ્પેનિશ અને અંગ્રેજી મિશ્ર ઓરજીનલ ગીત રજૂ કરીએ છીએ. તો વાચકો, ક્ષમા કરશોને ?

Feliz Navidad
Feliz Navidad
Prospero Ano y Felicidad.
I wanna wish you a Merry Christmas
I wanna wish you a Merry Christmas
I wanna wish you a Merry Christmas
From the bottom of my heart.
[audio:/f/feliz-navidad.mp3|titles=Feliz Navidad|artists=Jose Feliciano]

– Jose Feliciano

1 Comment

થાય સરખામણી તો

થાય સરખામણી તો ઉતરતાં છીએ,
તે છતાં આબરૂને દીપાવી દીધી.
એમના મહેલને રોશની આપવા,
ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર,
તો જરા દોષ એમાં અમારો ય છે.
એક તો કંઇ સીતારા જ ન હોતા ઊગ્યા,
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.

બીક એક જ બધાને હતી કે અમે,
ક્યાંક પહોંચી ન જઇએ બુંલદી ઉપર,
કોઇએ પીંજરાની વ્યવસ્થા કરી,
કોઇએ જાળ પંથે બિછાવી દીધી.

કોઇ અમને નડ્યા તો ઉભા રહી ગયા,
પણ ઉભા રહી અમે કોઇને ના નડ્યા,
ખુદ અમે તો ન પહોચીં શક્યા મંઝિલે,
વાટ કિન્તુ બીજાને બતાવી દીધી.

જોઇને રણ ઉપરનાં સૂકાં ઝાંઝવાં,
અમને આવી ગઇ કંઇ દયા એટલી,
કે નદીઓ હતી જેટલી અંતરે
આંખ વાટે બધીયે વહાવી દીધી.

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની,
જિંદગીમાં અસર એક તનહાઇની,
કોઇએ જ્યાં અમસ્તું પૂછ્યું – કેમ છો ?
એને આખી કહાની સુણાવી દીધી.

દિલ જવા તો દીધું કોઇના હાથમાં,
દિલ ગયા બાદ કિંતુ ખરી જાણ થઇ,
સાચવી રાખવાની જે વસ્તુ હતી,
એ જ વસ્તુ એમ તો લૂંટાવી દીધી.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર,
એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલેને તરાવી નહીં.
લાશ મારી પરંતુ તરાવી દીધી.

– બરકત વીરાણી ‘બેફામ’

3 Comments

સરદાર પટેલ

આજે 31 ઓક્ટોબર એટલે સરદાર પટેલનો જન્મદિન. વલ્લભભાઈ પટેલ કે જેને ભારત સરદારના નામે ઓળખતું થયું તે માત્ર ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી જ ન હતા પણ સાચા અર્થમાં ભારતનું નેતૃત્વ સંભાળનાર સરદાર હતા. અંગ્રેજ સરકારે જ્યારે ભારતને આઝાદી આપવાનું નક્કી કર્યું ત્યારે એકલો ભાગલાનો પ્રશ્ન જ નવા જન્મેલ રાષ્ટ્રને ભેટ નહોતો આપ્યો પરંતુ ભારતના સાડા પાંચસો જેટલા રજવાડાંઓને મન થાય ત્યાં જોડાવાનો વિકલ્પ આપી અપાર શિરોવેદના આપી હતી. સરદાર પટેલે કુનેહ વાપરી એ સર્વ રજવાડાંઓનું એકત્રીકરણ ન કર્યું હોત તો આજે ભારતનો નક્શો જુદો જ હોત. જેટલો યશ આઝાદી અપાવવામાં મહાત્મા ગાંધીજીને મળ્યો તેટલા જ યશના ભાગી સરદાર પટેલ હતા. પરંતુ પક્ષાપક્ષીના રાજકારણને લીધે ગુજરાતના એ સપૂતને યોગ્ય સન્માન નથી મળ્યું એ હકીકત છે. અને નવી પેઢીને સ્વાતંત્ર્યતાના ઈતિહાસને જાણવાની બહુ પડી નથી, એને લીધે સરદાર જેવા ગુજરાતના સપૂતને થતો અન્યાય કાયમી રહે તો નવાઈ નહીં.
સોમનાથ મંદિરના પુનઃનિર્માણથી માંડી બારડોલી સત્યાગ્રહ જેવા અનેકવિધ સુવર્ણ પ્રકરણો જેમના યશસ્વી જીવન સાથે સંકળાયેલા છે તેવા સરદાર પટેલને નિહાળો સૌરાષ્ટ્ર સંઘની રચના સમયે. વિડીયોમાં સરદાર પટેલના સમારંભ ઉપરાંત જવાહરલાલ નહેરુ દ્વારા જહાજને અર્પણ કરવાના પ્રસંગને પણ આવરી લેવાયો છે તે જાણ ખાતર.

સરદાર પટેલના જીવન અને કાર્ય વિશે વધુ માહિતી મેળવવા અહીં જુઓ.

3 Comments

મહાત્મા ગાંધી

આજે બીજી ઓક્ટોબર. પોરબંદરમાં જન્મી જેણે ગુજરાતનું નામ દુનિયાભરમાં મશહૂર કર્યું તેવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. પરદેશી હકૂમતની ચુંગાલમાં ફસાયેલ માતૃભૂમિ ભારતને શસ્ત્રો વગર માત્ર સત્ય અને અહિંસાના બળે આઝાદ કરાવીને મહાત્મા ગાંધીએ આત્મબળનો મહિમા દુનિયાને બતાવી દીધો. બ્રીટીશ સલ્તનતને ભારતમાંથી નેસ્તનાબૂદ કરી એટલું જ નહીં પરંતુ સાચા અર્થમાં ભારતના નાના નાના ગામડાંઓમાં સ્વરાજ્ય આવે અને દેશ બધી રીતે પગભર બને એ માટે એમણે એમની રીતે જીવનના અંત સુધી અથાક પ્રયત્નો કીધા.
વીસમી સદીના સૌથી મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સટાઈનના શબ્દોમાં કહીએ તો આવનારી પેઢીને વિશ્વાસ પણ નહીં બેસે કે હાડચામનો બનેલ આવો માનવ પૃથ્વી પર શ્વાસ લેતો હતો. દંતકથા જેવું અદભૂત જીવન જીવીને ગોડસેના હાથે ગોળીથી વીંધાનાર ગાંધીજીને માણીએ સંગીત અને તસવીરો વડે …

10 Comments

શાંત ઝરુખે

આજે 100 મી પોસ્ટ. આટલા ટૂંકા સમયમાં ઘણાં બધાં સાહિત્યરસિકોને મળાયું, કંઈક પમાયું, કંઈક વહેંચી શકાયું એનો આનંદ છે. આપે જે ઉમળકા અને પ્યારથી અત્યાર સુધી મૂકેલી દરેક કૃતિને વધાવી છે એમ આગામી દિવસોમાં પણ વધાવતા રહેશો અને હજુ વધુ સારી પસંદગી મૂકી શકીએ, વધુ સારી રીતે રજૂ કરી શકીએ એ માટે સૂચનો કરતા રહેજો.
આજે સૈફ પાલનપુરીની એક નઝમ જે સીમાચિન્હ સમી બની, સૌના દિલોદિમાગ પર છવાઈ ગઈ છે, સાંભળો મનહર ઉધાસના સૂરીલા કંઠે. ઝરુખામાં જોયેલી એક સ્વપ્નસુંદરીના શૃંગારરસથી ભરેલ કમનીય વર્ણનથી પ્રારંભ પામતી નઝમ અંતે ખાલી ઝરુખાને જોઈ કરુણરસથી છલકાઈ જાય છે. જીવનના સોનેરી દિવસો ઝરુખા પરની સ્વપ્નસુંદરીનું રૂપક ઓઢીને તો અહીં વ્યક્ત નથી થયાં ને ?
*

શાંત ઝરુખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી
મે એક શહેજાદી જોઇ હતી …

એના હાથની મહેંદી હસતી હતી, એની આંખનુ કાજળ હસતું’તું
એક નાનું અમથું ઉપવન જાણે મોસમ જોઈ વિકસતુ હતું

એના સ્મિતમાં સૌ સૌ ગીત હતા એને ચુપકીદી સંગીત હતી
એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી

એણે યાદના અસોપાલવથી એક સ્વપ્નમહેલ શણગાર્યો તો
જરા નજર ને નીચી રાખીને એણે સમય ને રોકી રાખ્યો તો

એ મોજાં જેમ ઉછળતી હતી, ને પવનની જેમ લહેરાતી’તી
કોઈ હસીને સામે આવે તો બહુ પ્યાર ભર્યું શરમાતી હતી

એને યૌવનની આશિષ હતી, એને સર્વ બલાઓ દુર હતી
એના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી

વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરુખો જોયો છે …..

ત્યાં ગીત નથી, સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રીત નથી
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી ને ઊર્મિઓના ખેલ નથી

બહુ સુનું સુનું લાગે છે, બહુ વસમું વસમું લાગે છે
એ નહોતી મારી પ્રેમિકા, એ નહોતી મારી દુલ્હન

મે તો એને માત્ર ઝરુખે વાટ નિરખતી જોઇ હતી
કોણ હતી એ, નામ હતું શું, એ પણ હું ક્યાં જાણું છું

તેમ છતાંયે દિલને આજે વસમું વસમું લાગે છે ….
બહુ સુનું સુનું લાગે છે ….

– સૈફ પાલનપુરી

7 Comments

શિવમહિમ્ન સ્તોત્ર

આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. ભોલેનાથ શિવની કૃપા પામવા આજે બધા મંદિરમાં જઈને પૂજાપાઠ કરશે. તો આપણે અહીં ઘેરબેઠા ભગવાન શંકરને અતિપ્રિય એવા શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરી લઈએ. તમને કદાચ ખબર નહીં હોય કે અગિયાર વાર આ સ્તોત્રનો પાઠ કરીએ તેને લઘુરુદ્રી કહે છે. એથી તમે એક વાર જુઓ કે અગિયાર વાર, આ પંડીતને (વેબસાઈટને) દક્ષિણા આપવાનું (કોમેન્ટ લખવાનું) ચુકતા નહિ !

આ સ્તોત્રની રચના પાછળની કથા ખૂબ રસપ્રદ છે. રાજા ચિત્રરથ ભગવાન શંકરનો એકનિષ્ઠ ભક્ત હતો અને દરરોજ સુંદર પુષ્પોથી મહાદેવની પૂજા કરતો. પરંતુ એક દિવસ પુષ્પદંત ગાંધર્વની નજર એ બગીચાના ફુલો પર પડી. આકર્ષક ફુલોથી મોહિત થઈને એણે એ ફુલો તોડી લીધા. જેથી ચિત્રરથ મહાદેવની પૂજામાં ફુલો અર્પણ ન કરી શક્યો. પછી આવું રોજ બનવા માંડ્યું. પુષ્પદંત પાસે અદૃશ્ય રહેવાની સિદ્ધિ હતી જેથી ઘણાં પ્રયત્ન છતાં રાજા ચિત્રરથ ફુલોની ચોરી કરનારને પકડવામાં અસમર્થ રહ્યો. આખરે એણે એના ઉદ્યાનમાં ભગવાન શંકરને પ્રિય એવા બીલીપત્ર અને નિર્માલ્યને બિછાવી દીધા. રોજની માફક પુષ્પંદત ફુલોને ચુંટવા આવ્યો ત્યારે એનો પગ બિલીપત્ર પર પડ્યો. બસ, પછી ભગવાન શંકરનો કોપ એના પર ઉતર્યો. એમાંથી મુક્ત થવા ને ભગવાન શંકરને પ્રસન્ન કરવા એણે આ સ્તોત્રની રચના કરી.

માણો પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાનાં કંઠે ગવાયેલ શિવમહિમ્ન સ્તોત્ર સંસ્કૃતમાં, જે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે, વારાફરતી જુઓ. આ સુંદર વિડીયોના સંકલન માટે આભાર – શ્રી નિતીશ જાની.

નોંધ – આશિત અને હેમા દેસાઈના કંઠે ગુજરાતીમાં શિવમહિમ્ન સ્તોત્ર સ્વર્ગારોહણ પર.

Part-1

Part-2

Part-3

48 Comments