Press "Enter" to skip to content

Month: September 2008

સૂના સરવરીયાને કાંઠડે


આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. મા આદ્યશક્તિ જગદંબાના મહિમાને ઉજાગર કરતું આ પર્વ શક્તિનો મહિમા દર્શાવી તેની પૂજા કરવાનો સંદેશ આપે છે. બંગાળમાં દુર્ગાપૂજા પણ આજથી શરૂ થશે. ગુજરાતનું ભાતીગળ ગણાતો ગરબો એના શિખર પર ચઢી આજે શેરીએ શેરીએ અને મહોલ્લે મહોલ્લે ગાજશે. વડોદરા તો ગરબાની રાજધાની ગણાય. જમણી બાજુના મીડિયા પ્લેયરમાં તમે વડોદરાના સુપ્રસિદ્ધ ગરબાઓ અચલ મહેતા, અતુલ પુરોહિત અને સાથીઓના સ્વરમાં મન ભરીને માણી શકશો.
આજે નવરાત્રિ પર્વના પ્રારંભે સાંભળો અવિનાશભાઈની એક અમર કૃતિ.
*
સ્વર: વિરાજ અને બીજલ ઉપાધ્યાય

*
સૂના સરવરીયાને કાંઠડે હું
બેડલું મેલીને ન્હાવા ગઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી.

હું તો મનમાં ને મનમાં મુંઝાણી મારી સૈ,
શું રે કહેવું રે મારે માવડી ને જઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી…..સૂના સરવરીયા

કેટલુંયે કહ્યું પણ કાળજુ ના કોર્યું
ને ચોરી ચોરી ને એણે બેડલું ચોર્યું
ખાલીખમ બેડલાથી વળે ના કંઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી…..સૂના સરવરીયા

નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી
ને બેડલા નો ચોર મારે કેમ લેવો ખોળી
દઈ દે મારું બેડલું મારા દલડા ને લઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી … સૂના સરવરીયા

– અવિનાશ વ્યાસ

6 Comments

હું તને કયાંથી મળું ?


તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

જળ છું, બરફ છું, ભેજ છું, ઝાકળ છું, વાદળ છું, સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

– જવાહર બક્ષી

2 Comments

તો લાગી આવે


આજે મારી એક સ્વરચિત કૃતિ રજુ કરું છું. સ્વાતિ નક્ષત્રમાં વરસતા જળને જ ગ્રહણ કરનાર ચાતક તરસનો માર્યો પ્રાણ છોડી દે અને એ કોઈ પાણી ભરેલ ખાબોચિયા કે તળાવમાં જઈ પડે, તો એને જોનારને એમ જ લાગે કે આ પાણીમાં ડૂબીને મરી ગયો હશે. જોનારને ક્યાંથી ખ્યાલ આવે કે એણે તો પોતાની જીવનભરની ટેકને જાળવી રાખવા પ્રાણોની આહૂતિ આપી છે! આ સંવેદનમાંથી આ કૃતિની રચના થઈ.

ઝરણાંને જો મૃગજળ કહો … તો લાગી આવે
ઈન્દ્રધનુષ આભાસી કહો … તો લાગી આવે

પગલું પગલું સાથે ભરતા,
શ્વાસોશ્વાસે સાથ પમરતા,
સંગાથીને શમણું કહો … તો લાગી આવે

મધુમય મધની આશ લઈને,
પ્રેમપતંગની પાંખ લઈને,
પુષ્પે પુષ્પે ચુંબન કરતા,
કમળદલમાં કેદ બનેલા,
ભમરાને જો મજનૂ કહો … તો લાગી આવે.

સૂક્કા ડાળે કૂંપળ થઈને,
નીર્ઝરમાં નવચેતન થઈને,
જાગોની આહેલક કરતા,
અંગેઅંગ અનંગ ભરેલા
વસંતને વૈરાગી કહો … તો લાગી આવે

યુગોયુગોની પ્યાસ લઈને
સ્વાતિબિંદુની આશ લઈને
તૃષાર્ત થઈને વિરહે ઝૂરતા,
પ્રાણ જવાથી ભંવર પડેલા
ચાતકને જળડૂબ્યો કહો … તો લાગી આવે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

6 Comments

ચમન તુજને સુમન


કૈલાશ પંડિતની અતિ લોકપ્રિય રચના. સાંભળો મનહર ઉધાસના મખમલી કંઠે.
*

*
ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.

અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.

ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.

મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.

– કૈલાશ પંડિત

4 Comments

તમે વાતો કરો તો


મૌનની અગત્યતા વિશે ઘણું ઘણું લખાયું છે. એમ પણ કહેવાયું છે કે ગુરૂનું મૌન શિષ્યને માટે વ્યાખ્યાનની ગરજ સારે છે.  હા, જીવનમાં ક્યારેક એવી પળો આવે જ્યારે મૌન ઈલાજ બને, ઉત્તર બને (કે ઉપેક્ષા બને) અને ધાર્યું કામ આપે. ઈશ્વરે આપેલી વાણીની બક્ષિસને ઉચિત રીતે વાપરીએ એમાં વૈખરીનો વૈભવ છે પણ મૌન જ્યારે પ્રિયતમના હોઠ પર જઈને જડાઈ જાય તો પ્રેમીનું હૃદય એક વણકથ્યા ઉકળાટ અને ગુંગણામણનો અહેસાસ કરે છે. એવા જ ભાવોને વાચા આપતી સુરેશ દલાલની એક હૃદયસ્પર્શી કૃતિ.
*
સ્વર: આરતી મુન્શી; આલ્બમ: હસ્તાક્ષર

*
તમે વાતો કરો તો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે.

વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;
ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ.
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે … તમે વાતો કરો

રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયખું તો તુલસીનો ક્યારો;
તારી તે વાણીમાં વ્હેતો હું મૂકું છું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે … તમે વાતો કરો

– સુરેશ દલાલ

2 Comments

બોલ વ્હાલમના


સાંભળો કવિ મણીલાલ દેસાઈ રચિત ગ્રામ્ય પરિવેશમાં પાંગરતું આ સદાબહાર, કર્ણપ્રિય ગીત.
*

*
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલા ડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના… ઉંબરે ઊભી

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના … ઉંબરે ઊભી

– મણીલાલ દેસાઈ

10 Comments