સાક્ષરો મળતા નથી
November 15th, 2011
જ્ઞાનની કોઈ કિતાબોમાં હવે મળતા નથી,
શબ્દ ઘરની બ્હાર શું સાચે જ નીકળતા નથી?
પ્રેમનો સાચો અરથ સમજાવવા દુનિયામહીં,
કેમ થોડુંયે ભણેલા સાક્ષરો મળતા નથી?
‘હું’ અને ‘તું’ ત્યાગ કરતાં સહજીવન ઉત્સવ થતું,
દૂધમાં શાને છતાં સાકર સમા ભળતા નથી?
આંખના મોઘમ ઈશારે જે સમજતાં હાલ-એ-દિલ,
રૂબરૂમાં એ જ દિલની વાત સાંભળતા નથી !
વ્યર્થ ‘ચાતક’ લાગણીના ગામમાં સૂરજ થવું,
બર્ફના પ્હાડો હવે ઉષ્માથકી ગળતા નથી.
- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
