લગ્ન સામાન્ય રીતે આનંદનો પ્રસંગ છે પરંતુ કન્યાવિદાય ભલભલાની આંખો ભીની કરી નાંખે છે. વરસો સુધી જે ઘરમાં મમતાના સંબંધે ગૂંથાયા હોય તે ઘરને પિયુના પ્રેમને ખાતર જતું કરવાની વિવશતા કન્યાના હૃદયને ભીંજવી નાંખે છે. આ કૃતિમાં કન્યાની વિદાય પછી સૂના પડેલ ઘરનું અદભૂત ચિત્રણ થયેલું છે. જેવી રીતે પંખી ઉડી ગયા પછી માળો સૂનો પડી જાય છે તેવી જ રીતે ઘર સૂનું થઈ જાય છે. “કુંવારા દિવસોએ ચોરીમાં આવીને ભૂલી જવાના વેણ માંગ્યા” માં અભિવ્યક્તિ શિખર પર હોય એમ લાગે છે. આ ગીત વાંચીને દરેક સ્ત્રીને પોતાની વિદાયનો પ્રસંગ યાદ આવી જશે. માણો આ હૃદયસ્પર્શી કૃતિ.
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !
ખોળો વાળીને હજી રમતાં’તા કાલ અહીં, સૈયરના દાવ ન’તા ઊતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર, ફેર હજી એય ન’તા ઊતર્યા;
આમ પાનેતર પહેર્યુને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન ! … પરદેશી પંખી.
આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં, પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચોરીમાં આવીને ભૂલી જવાનાં વેણ માગ્યાં !
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતુ ચોરી ગયું રે કોક ભાન ! … પરદેશી પંખી.
– માધવ રામાનુજ
4 Comments