મ્હાલી ગયું મૃત્યુ

July 21st, 2010

bhula-dada
પ્રેમ અને લાગણીના કોમળ તાંતણે બંધાયેલ એક આત્મીય સ્વજનની તાજેતરમાં થયેલી ચિરવિદાય વેળાએ રચાયેલ રચના.

ક્ષણોના કાફલાને પળમહીં ઠારી ગયું મૃત્યુ,
વિષમ સૌ વેદનાઓને સહજ મારી ગયું મૃત્યુ.

જીવનની ઝંખનામાં દોટ મૂકી’તી અમરતાએ,
હતી થોડી વધુ એની ઝડપ, ફાવી ગયું મૃત્યુ.

જતનથી જિંદગીમાં શ્વાસના માંડેલ સરવાળા,
કરીને બાદબાકી પળમહીં, ચાલી ગયું મૃત્યુ.

હતી એકેક પળ એના જીવનની એટલી રોશન,
નિહાળી લોક પણ બોલી ઉઠ્યા, મ્હાલી ગયું મૃત્યુ.

વચન છે એટલું તુજને, જરૂર હો આવજે ત્યારે,
જીવનને આંગણેથી કોઈ ના ખાલી ગયું, મૃત્યુ.

હતી ફરિયાદ ચાતકને પ્રતીક્ષા રોજ કરવાની,
હતું કેવું સરળ એનું હૃદય, આવી ગયું મૃત્યુ !

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

કન્યાવિદાય

July 11th, 2010


મિત્રો, આજે કન્યાવિદાયને આલેખતી એક રચના. આશા છે આપને ગમશે.

વ્હાલસોયી લાગણી ઘરથી પરાયી થાય છે,
ભલભલા પાષાણ હૈયાને પલાળી જાય છે.

જે પૂજાતી વ્હાલથી લક્ષ્મી ગણી પિતૃગૃહે,
કોઈના ઘરની થવા મિલ્કત સવાયી જાય છે.

કાલ સુધી એ છલકતી થૈ ખુશી ઘરઆંગણે,
આજ પાલવમાં બધી યાદો સમાવી જાય છે.

એક આંખે છે વ્યથા ને એક આંખે છે ખુશી,
અશ્રુના કૈં કેટલા તોરણ સજાવી જાય છે.

આજથી ચાતક થશે ઘરનાં ખૂણા, ભીંતો, ગલી,
આગમનની આશ જીવનને જીવાડી જાય છે.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

વરસવાના એંધાણ લાવો !

July 1st, 2010

89.jpg
મિત્રો, આપના સહકાર, પ્રેરણા અને પ્રોત્સાહનથી મીતિક્ષા.કોમ આજે બે વરસ પુરા કરે છે એ નિમિત્તે નામી-અનામી સૌ વાચકમિત્રોનો ખુબ ખુબ આભાર. આજે એક સ્વરચિત ગઝલ પ્રસ્તુત છે. આશા છે એ આપને ગમશે.

સમસ્યા વિના પણ સમાધાન લાવો,
રણમાંય હરિયાળાં મેદાન લાવો.

ગુલો, ગુલબદન ને ગુલીસ્તાં ઘણાં છે,
અમસ્તાંય થોડુંક વેરાન લાવો.

ઠસોઠસ ભરેલી છે સમજણ બધામાં,
અહીં થોડા ભૂલકાંઓ નાદાન લાવો.

જુએ રાહ અવતરવા તેત્રીસ કોટિ,
જરૂરી છે કારણ? તો શયતાન લાવો.

શરમ સર્વ ત્યાગીને બેઠા તબીબો,
કહે ખુદ મરીઝો કે બેભાન લાવો.

કફન તો નસીબે મળે મોત પાછળ,
જીવે છે હજુ, કોઈ કંતાન લાવો.

ભરોસો ખુદાને નથી કેમ થાતો ?
વ્યથાઓ સમજવાને ઈન્સાન લાવો.

જુઓને આ ‘ચાતક’ તૃષાથી મરે છે,
કોઈ તો વરસવાના એંધાણ લાવો !

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

હું હાથને મારા ફેલાવું

June 22nd, 2010

34.jpg
ઈશ્વર આપણો સાથી છે, આપણા અંતરમાં રહે છે, આપણી બધી જ વાતોને જાણે છે – આપણે આવું સાંભળતા આવ્યા છીએ. જો એમ જ હોય તો એને આપણી તકલીફનો અહેસાસ હોવો જોઈએ, આપણી પીડાનો અનુભવ થવો જોઈએ અને એમ હોય તો એને દૂર કરવા માટે પ્રાર્થના કરવાની જરૂર ન પડવી જોઈએ. ઈશ્વર પાસે હાથ ફેલાવીને નહીં કરગરવાની કવિ નાઝિરની આ ખુમારી માણો આ સુંદર ગઝલમાં.
(સ્વર : મનહર ઉધાસ, આલ્બમ : અસ્મિતા)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશીય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?

આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે એમાં નૂર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.

- નાઝિર દેખૈયા

અણસાર ઝાંખો આપ તું

June 15th, 2010

72.jpg
મિત્રો, આજે એક સ્વરચિત ગઝલ. આશા છે આપને ગમશે.

તું વસે જો સાત સમદર પાર તો,
થૈ વિહગ  ઉડવાને પાંખો આપ તું.

ને વસે જો સૃષ્ટિના કણ કણ મહીં,
તો, નીરખવા દિવ્ય આંખો આપ તું.

કેટલા દિવસો ગયા તારા વિના
બસ.. હવે મળવાની રાતો આપ તું.

આવવું તારું અહીં અવસર થશે,
આશ જડવા બારસાખો આપ તું.

શક્ય છે, તુજ મૌન પણ પીગળી જશે,
એક-બે કહેવાની વાતો આપ તું.

ના મને કોઈ સબંધોની ખબર
એટલે મળવાનો નાતો આપ તું.

તું પ્રકટશે સૂર્ય થૈ, શ્રદ્ધા મને,
બસ, ફકત અણસાર ઝાંખો આપ તું.

પ્યાસ છલકે કેટલી ચાતક-અધર
એ શમવવા બુંદ લાખો આપ તું.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’