મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ. માણસ માત્ર ભૂલને પાત્ર. જીવનમાં જેણે એક પણ ભૂલ ન કરી હોય તેવો કોઈ માણસ નહીં હોય. શૂન્ય પાલનપુરીનો શેર યાદ આવે છે
જીવન એક માર્ગ છે, ને માર્ગમાં તો હોય ખાડા પણ,
મુસાફર છું, પડું તો દોષ ના દેજો પતન માટે.
ભૂલ થવી માનવસહજ છે, પણ વ્યક્તિની ખરી પિછાણ તો પડીને ઉઠવામાં, ભૂલોમાંથી શીખીને આગળ ચાલવામાં, અને સવારનો ભૂલો સાંજે ઘેર આવે એ ન્યાયે સત્ય ને નીતિના રાહે પાછા ફરવામાં જ રહેલી છે. માણસની આગવી ઓળખને રજૂ કરતી મારી ગઝલ.
*
*
ભૂલો કરું છું ને પડું છું, કેમ? હું માણસ છું,
સાંજે પાછો ઘર ફરું છું, કેમ? હું માણસ છું.
સ્વર્ગની સીડી ચઢી ઉપર જવાની છે મજા
તોય પૃથ્વી પર રહું છું, કેમ? હું માણસ છું.
દર્દ, મુશ્કેલી, ઘણા આઘાત ને પીડા, વ્યથા
તોય જીવનને ચહું છું, કેમ? હું માણસ છું.
આહથી બસ વાહ સુધીની કલમની છે સફર
તોય ખડિયો લઈ લખું છું, કેમ? હું માણસ છું.
તું નથી થાવાનો કો’દિ વ્યક્ત એની જાણ છે,
તોય ‘ચાતક’ સમ જીવું છું, કેમ? હું માણસ છું.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
15 Comments