Press "Enter" to skip to content

સ્વ. રાવજી પટેલ

[ આજે પંદરમી નવેમ્બર, સ્વ. રાવજી પટેલનો જન્મદિવસ. ગુજરાતી સાહિત્યને ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ જેવી અમર કૃતિ આપી જનાર ગુર્જરી સાહિત્યનો સુમધુર ટહુકો જે માત્ર ૨૮ વર્ષ ૯ માસની વયે નિઃશબ્દ થયો. તો આજે રાવજી પટેલના જીવન અને કવન વિશે જાણીએ. આ લેખ મોકલવા બદલ શ્રી રઘુભાઈનો હૃદયપૂર્વક આભાર.]


ડાકોરથી એક કાચી સડક જાય છે વલ્લવપુરા. એ નાનું સરખું ગામ એટલે રાવજી પટેલનું વતન. રાવજી એટલે વેદનાને હૈયામાં દાટીને જીવતો માણસ. ક્ષયથી પીડાતું શરીર, ધરીને બેસી ગયેલી ગરીબી, દાંપત્યમાં ઓછો મનમેળ. વ્યર્થ નીવડેલા સંબંધોના ત્રાસદાયક જીવનથી રાવજી કંટાળી ગયેલો. એ કહેતો, ‘મને સ્થિતિ ખોદે છે’ અને ‘એક નહીં પણ એકસામટા હજારો શાપ મળ્યા’. આદિએ ખડા કરેલા બળબળતા રણમાં રાવજી નામના માણસને કવિતા જ વીરડો થઈ શકે અને કવિતાને કારણે નિસાસા આસોપાલવ થાય. રણમાં છાંયો થાય, સૂની આંખોમાં માળા બંધાય. અને એથી જ એ કવિતા લખતો રહ્યો …

હું તો માત્ર કવિ
હું તો માત્ર ઓરડામાં સબડતું આદિ મમી
હું તો માત્ર ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ…
હું તો માત્ર ખાલીખમ નિઃસહાય …

પછી તો કુમાર, સંસ્કૃતિ, કવિલોક વગેરેમાં રાવજી શબ્દથી દેખાવા લાગ્યો, વેદનાથી ઓળખાવા લાગ્યો. અને એવામાં જ પોતાનાથી છુપાવી રહ્યો હતો એ તબિયતની વાત જાહેર થઈ ગઈ. પહેલા મળ્યા એ ડૉક્ટરે તપાસ કરીને સહેજે સંકોચ વિના કહી દીધું, છ માસ જીવશો. રાવજીથી એ માની શકાય એમ ન હતું. હજુ તો કેટલાંય સ્વપ્ન જીવતાં કરવાનાં હતાં. એ પહેલાં કેવી રીતે મરાય ? એટલે થોડું જીવી લેવા આણંદના ક્ષય ચિકિત્સાલયમાં દાખલ થયો. બહાર આવી ‘અશ્રુધર’ લખી. સારો આવકાર મળ્યો. પછી લખી ‘ઝંઝા’. વિવેચકોએ રાવજીમાં પન્નાલાલને જોયો. ક્ષયથી માંડીને શબ્દોની અભિવ્યક્તિમાં રાવજી અને પન્નાલાલ એક ચાસમાં ચાલ્યા છે. બંનેએ પોતાની રચનાઓમાં ગામડાંઓને જીવતાં રાખ્યાં છે.

રાવજીની રચનાઓમાં ક્યારેક તેનું ક્ષયથી આવેલું રુગ્ણ, કૃષિપણું અને મૃત્યુ અંગેનું સતત સભાનપણું એકસાથે વર્તાઈ જતું જોવા મળે છે. તેમ છતાં વાચકને સ્પર્શ કર્યા વિના રાવજી ક્યારેય સરકી ગયો નથી. ‘મને સ્થિતિ ખોદે છે’ ત્યારે કેવળ રાવજી જ ખોદાતો નથી, રાવજીએ શબ્દ દ્વારા ઊભી કરેલી સ્થિતિ આપણનેય ખોદે છે.

દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ ગમતું નથી,
મને કોઈ રાવજીથી ઓળખે એય હવે ગમતું નથી …

પણ રાવજી ઓળખાયો ત્યારે અદ્યતન કવિતાનો બીજો તબક્કો આરંભાઈ રહ્યો હતો. રાવજીએ તેમાં પોતાનો ચીલો પાડ્યો. પોતાના અંગતપણાના ચાસ પાડ્યા અને અંકુર ફૂટ્યાં. શબ્દને સ્પર્શમાત્રથી બેઠારી દેવાની રાવજીમાં ગજબની શક્તિ હતી. શબ્દ દ્વારા રાવજી વ્યક્ત થવા માંડે ત્યારે એક પ્રકારની જબરદસ્ત બેપરવાહી તેમાં વહેતી જોવા મળે છે. એને ઘાસ અને ધરતીની માયા હતી. એકાંત એને કઠતું હતું. ગીધ જેવા મૃત્યુના ઓછાયામાંથી બહાર ધસી આવવા એ મથતો હતો …

વાગે વહાણટાની વાતો, ખરતું પાન આંખનું વાગે
વાગે કન્યાની પીઠનો પીળો પડછાયો
હરતો ફરતો હજી અમે ના દીઠો આંબો …

થોડાં પાન લખ્યાં હશે ત્યાં એક સાંજે તેના ગળફામાંથી લોહી પડ્યું. ફરી થોડું જીવી લેવા અમરગઢના ક્ષય ચિકિત્સાલયમાં દાખલ થયો. ત્યાં ક્ષયની સાથે માનસિક અસ્થિરતા ઉમેરાઈ, કપડાં વિના વોર્ડમાં દોડતો, પાણી આપનાર પર કોગળા કરી થૂંકતો, આખી રાત જાગી મોત વિશે લખ્યો કરતો …. “મને એમ થયું કે હું મરી ગયો છું અને મને બાળી નાખે છે. બળી ગયા પછી તો જગત સાથેના બધા સંબંધ કપાઈ જાય છે. હું હું નથી રહેતો, તમે તમે નથી રહેતા..”

અડધા ગાંડા જેવા રાવજીને વલ્લવપુરા લાવ્યા. ત્યાં ડાયાબીટીસ અને પુરેમિયાનો હુમલો થયો. પાંચ દિવસ બેભાન રહ્યો અને એક સવારે ….
*

*
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
મારી વેલ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ .. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા

સજીવી હળવાશ એને વાગી ગઈ. જીવનની ઉષામાં સૂરજ આથમી ગયો. ‘વૃત્તિ’ ને અધૂરી રાખી રાવજી ધરતીમાં ભળી ગયો. લાભશંકર ઠાકરે લખ્યું, એ ઘણા સમયથી મૃત્યુ પામ્યો હતો. અને મૃત્યુની સોડમાં બેસીને કાવ્યો અને વાર્તાઓ લખતો હતો. એનું મૃત્યુ એ આશ્ચર્યની બાબત નથી, એ છૂટ્યો એનું આશ્વાસન પણ નથી. પરિસ્થિતિએ એને જીવનના છેક તળિયે મૂકી દીધો હતો અને ગૂંગળાતો એ લખતો હતો …

મારા ખેતરને શેઢેથી લ્યો ઉડી ગઈ સારસી
મા, ઢોચકીમાં છાસ પાછી રેડી દે
રોટલાને બાંધી દે,
આ ચલમની તમાકુમાં કસ નથી,
ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગની
મને મહુડીની છાંય તળે પડી રહેવા દે ..

હજી પણ રાવજી પડ્યો છે એ મહુડીની તળે, એના વલ્લવપુરાના ખેતરમાં એકલો અટૂલો વેદનાને હૈયામાં ધરબીને કવિતા ગાતો.

અમે રે અધવચ રણનાં વીરડાં
થોડાં ખારાં રે છઈએ, ખાટાં રે છઈએ,
પગલું પડે ને વ્હેતાં રે થઈએ… અમે રે અધવચ રણનાં વીરડાં

– શ્રી રઘુભાઈ જોશી (ડાકોર, હાલ વિદ્યાનગર)

10 Comments

  1. Neetin Vyas
    Neetin Vyas May 8, 2022

    શ્રી રઘુભાઈ,

    મીતિક્ષા.કોમ ની વેબસાઈટ ઉપર આપે કવિશ્રી રાવજી પટેલ નાં જીવન અને કવન ને સ્પર્શતો લેખ વાંચ્યો. કવિની વેદના ને આપે અક્ષરદેહ આપ્યો છે. એક સંવેદનાની અનુભૂતિ કરાવતા લખાણ માટે ખરા દિલ થી આભાર. રાવજી પટેલ એક મારા પ્રિય કવિ છે. આપના આ લેખ ને બીજી વેબસાઈટ પર અનુસંધાન માટે પ્રકાશિત કરવાની કૃપા કરી પરવાનગી આપશો.

    લેખ નીચે કર્તા તરીકે શ્રી રઘુભાઈ જોશી (ડાકોર, હાલ વિદ્યાનગર) લખેલું છે. એટલે અપને આ સંદેશ મોકલ્યો છે.

    કુશળ હશો,

    નીતિન વ્યાસ
    Email: ndvyas2@gmail.com

  2. Ramesh Patel
    Ramesh Patel November 19, 2018

    કવિ રાવજી પટેલ, હૃદયને હચમચાવતી મૌલિક રચનાઓનો કિમીયાગર… ડાકોર પંથકને સાહિત્ય જગતમાં અંકિત કરનારને વંદન

  3. Yogesh Trivedi
    Yogesh Trivedi June 24, 2018

    તમે રે તિલક રાજા રામ ના…કાવ્ય માં “તમારી મશે ના અમે સોહિયા” નો શું અર્થ થાય છે?

  4. જયેશદાન "જય"
    જયેશદાન "જય" October 26, 2017

    રાવજી પટેલ, કોણ જાણે કેમ આ કવિ વિશે હમેશા ખેંચાણ રહ્યું છે. વેદના કવિતા ની જનેતા છે. પરંતુ કવિ અજબ તાસીર નો હોય છે. વેદના અને કવિ બંને મળે ત્યારે જે કવિતા જન્મે તે સંવેદના ના નામે ઓળખાય છે. રાવજી સંવેદના નો જનક છે. વંદન વંદન વંદન

  5. Hetal M Sahh
    Hetal M Sahh December 17, 2013

    Yesterday I first time listen his poet . There were tears in my eyes only great poet can describe this. when I read his history it sadden me His poet made him immortal .

  6. Gadhvi Mahesh
    Gadhvi Mahesh July 30, 2011

    ..Not a word for Ravji Patel and his poem. Ravji live with us due to his extraordinary poem.

  7. Namrata, New Zealand
    Namrata, New Zealand April 22, 2009

    મિત્ર, તમારા આ લેખમાં રાવજી પટેલ વિષે વાંચ્યું. મે આમ તો આ સાંભળ્યું હતું પણ ઉપરછલ્લું. આજે પહેલી વાર વિગતવાર જાણ્યું. હૃદયને હલાવી મુકે એવી આ વાસ્તવિકતા જાણીને ખુબ જ દુઃખ થયુ. પણ આ જાણમાં લાવવા બદલ આપનો ખુબ જ આભાર.

  8. Mahendra Bhavsar
    Mahendra Bhavsar November 17, 2008

    મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …
    મારી વેલ શંગારો વીરા, શગને સંકોરો
    રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ .. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
    વારંવાર માણવા જેવું આ મારું ઘણું પ્રિય ગીત સાંભળી ખુબ આનંદ થયો, પણ સાથે જ તેના કવિ વિષે જાણી ઘણું દુખ થયું.

  9. pragnaju
    pragnaju November 15, 2008

    મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …
    મારી વેલ શંગારો વીરા, શગને સંકોરો
    રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ .. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
    વારંવાર માણતા—તેના કવિ વિષે જાણી ઘણું દુખ થયું

  10. asha
    asha November 15, 2008

    You are too good. Ravjibhai is touching everybodys heart. thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.