Press "Enter" to skip to content

Month: July 2008

એવો કોઈ દિલદાર

મરીઝની લખેલ એક સુંદર ગઝલ આજે રજૂ કરું છું. સંબંધોમાં એવી ક્ષણો અનેક આવે છે જ્યારે વ્યક્તિને હૂંફ, હમદર્દી અને સહારાની જરૂર પડે છે. એ સમયે દિલદાર હમદર્દ બની પડખે ઉભો રહે અને ખભો ધરે છે પણ એમાં અહેસાન કર્યાની બૂ આવે, એ મદદ લેનારને લાચારીનો અહેસાસ કરાવે, તે મરીઝને ખૂંચે છે. અપેક્ષાના ધરતીથી ઉપર સંબંધોના મોકળા ગગનમાં વિહરવા કવિ ઈચ્છે છે. ‘એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે’ … મારી મનગમતી પંક્તિઓ છે. ]
*
સ્વર: અનુરાધા પૌંડવાલ; આલ્બમ: આભુષણ

*
એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે કોઈ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હોય,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહીં આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

– મરીઝ

5 Comments

વીણેલાં મોતી


*

*
આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઇએ,
જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઇએ;
છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઇએ.
– મનહરલાલ ચોકસી
*
ક્યાં કદી સહેલાઇથી સમજાય છે માણસ હવે
વિસ્તરે છે એમ ટુંકો થાય છે માણસ હવે.
આભને આંબી જવાના હોય છે સ્વપ્ના ફકત,
માત્ર પડછાયો બની લંબાય છે માણસ હવે.
– આશિત હૈદરાબાદી
*
તું બને વરસાદ તો ઇચ્છાઓ જામગરી બને,
ને રમત અગ્નિ અને જળની વધુ અઘરી બને;
રામ બનવાનું બહુ અઘરું નથી હોતું મગર
શર્ત એ છે કે નિખાલસ એક જણ શબરી બને.
– મુકુલ ચોકસી
*
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે;
ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,
શબ્દનું એની કને ક્યાં કૈં ઉપજતું હોય છે !
– રાજેન્દ્ર શુકલ

3 Comments

સૌનેય છે જવાનું

જીવન શું છે ? એક પ્રવાસ અને પ્રત્યેક જીવ એનો પ્રવાસી. એ માર્ગ સૌંદર્યથી સભર છે, પણ ‘અશ્વત્થની સમીપે શાશ્વત સમય સુધી ના, કોઇ શક્યું વગાડી વીણા નદીતટે આ’ કહીને કવિએ હયાતીની મર્યાદા અને કાળની અગાધ શક્તિને વ્યક્ત કરી છે.  તો શું ક્ષણભંગુરતાના ગાણા ગાઈને, તિરસ્કાર કે ત્યાગના વિચાર કરવાના ? ના. કવિ કહે છે કે જે અલ્પ પણ સમય મળ્યો છે એમાં પ્રેમ વ્હેંચવાનો છે. જીવનની નશ્વરતા, મૃત્યુની અવશ્યંભાવિતા અને પ્રેમનો મહિમા ગાતું આ ગીત અભિવ્યક્તિની તાજગીને લીધે હૃદયસ્પર્શી બન્યું છે.
*
સ્વર – રાજુ યાત્રી

*
સૌનેય છે જવાનું અંતે અલગ થવાનું
વૃક્ષોતણી ઘટામાં સૌન્દર્યની છટામાં-
કૂજે વિહંગ ક્રીડે ને ક્રૌંચ વાયુ ગાયે
બેસી પરબ પરે ત્યાં પાછા પથે જવાનું.

અશ્વત્થની સમીપે શાશ્વત સમય સુધી ના
કોઇ શક્યું વગાડી વીણા નદીતટે આ;
ઘંટારવો, પૂજારી, સાહિત્ય ને પૂજાનું
દીપકશિખા બધુંયે સ્મૃતિના ઉરે સમાયું.

મંદિર રહ્યું ન એવું આરાધના ન એવી
છે કાળદેવતાએ ક્રીડા કરેલ કેવી?
સૌનેય છે જવાનું અંતે અલગ થવાનું
ના કિન્તુ પ્રેમને કો સ્વાહા કરી જવાનું,

ટૂંકા પ્રવાસમાં જે સાથી મળે, મળીયે
તે સર્વને હૃદયથી, ભાવે ભળી જવાનું

–  યોગેશ્વરજી  કૃત ‘તર્પણ’ માંથી (સૌજન્ય સ્વર્ગારોહણ)

5 Comments

સાંવરિયો


શબ્દોના જાદુગર, છ અક્ષરનું નામ, લાગણીથી છલકાતા કવિ શ્રી રમેશ પારેખની આ અત્યંત લોકપ્રિય કૃતિ છે. પોતાના પ્રિયતમ વિશે કાંઈ પણ કહીએ તો તે ઓછું પડે. પણ કવિએ ટુંકાણમાં ‘ખોબો માગું તો ધરી દે દરિયો’ કહીને એને એટલી સહજ અને સરસ રીતે રજૂ કર્યું છે કે વાત નહીં. શબ્દ સાથે સૂરના સુભગ સમન્વયથી આ કૃતિ અત્યંત આહલાદક બની છે. આ રચના મારી મનગમતી કૃતિઓમાંની એક છે. આશા રાખું કે એ આપને ગમશે.
*
સ્વર: સોનાલી બાજપાઈ; આલ્બમ: તારી આંખનો અફીણી

*
સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

કોઈ પૂછે કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

આંખ ફડકી ઉજાગરાથી રાતી
ઝીણા ધબકારે ફાટફાટ છાતી
છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

– રમેશ પારેખ

12 Comments

મુલાકાત


કેટલીક પળો જીવનની યાદગાર પળો હોય છે. એ જીવનને નવો વળાંક આપે છે, પરિવર્તનની દિશા ચીંધે છે. કેટલીક મુલાકાતો પણ એવી જ ચિરસ્મરણીય હોય છે, એને વારંવાર મમળાવવી ગમે છે, એની સ્મૃતિ જીવવાનું બળ પૂરું પાડે છે. વિખૂટાં પડવું અને મળવું જીવનની વાસ્તવિકતા છે, એનો સ્વીકાર કરી વિરહની પીડા અને ભાવિ મિલનની કલ્પના – બંનેથી આંખ ભીંજાય છે, એ અંતિમ પંક્તિમાં વ્યક્ત થયું છે.
*

*
તમારા સ્મરણની બે પળ જ વીતી,
ત્યાં સમય તો કહે અર્ધી રાત ગઈ !

પ્રવાહોથી દૂર, સમયના કિનારે,
અવિનાશી એવી મુલાકાત થઈ.

ઘણાં શ્વાસ લીધા વિરહમાં તમારા,
મઝા માણી મિલનની એકશ્વાસ થઈ.

તમારા જ સ્પર્શે આ વેરાન રણમાં,
ઝરણાંના વહેવાની શરૂઆત થઈ.

વિદાયની વેળાએ સંભાળ્યા છતાં,
પલકને કિનારે ભીની આંખ થઈ.

કોને કહું કે વિરહની સાથે,
મિલનની નજીક એક પળ તો ગઈ !

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

મારી કોઈ ડાળખીમાં


આ ગીત મારા પ્રિય ગીતોમાંનું એક છે. એક નિર્મોહીની ખુમારી અને ટટ્ટારીને આ રચના આબેહુબ રીતે વ્યક્ત કરે છે. જે ડાળખીને પાંદડા જ ન હોય એને પાનખરની શી બીક ? વળી રચનાને અંતે મુકાયેલ ‘બરફમાં ગોઠવેલું પાણી નથી, મને સૂરજની બીક ના બતાવ’ … અત્યંત મનનીય છે. પુરુષોત્તમભાઈ, જેમણે ગુજરાતી સંગીતને દેશવિદેશમાં ગુંજતું કર્યું, તેમના કંઠથી આ ગીત અમર બન્યું છે, આપણને વારંવાર વાગોળવાનું મન થાય એવું છે.
*
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

*
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા/શહીદ થવા (?) ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

– અનિલ જોષી

6 Comments