Press "Enter" to skip to content

Category: અન્ય સર્જકો

ગુણવંતી ગુજરાત !


મિત્રો, આજે ગુજરાતનો સ્થાપના દિન છે. તો આજે ગરવી ગુજરાતના મહિમાનું ગાન કરતું આ સુંદર શાસ્ત્રીય ઢાળમાં ગવાયેલ ગીત સાંભળીએ.
*
સંગીત મેહુલ સુરતી; સ્વર મેહુલ સુરતી, જાસ્મીન કાપડીઆ, દ્રવિતા ચોકસી

*
ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !

મોંઘેરા તુજ મણિમંડપમાં, ઝૂકી રહ્યાં અમ શીશ !
માત મીઠી ! તુજ ચરણે પડીને માગિયે શુભ આશિષ ! … ગુણવંતી ગુજરાત !

મીઠી મનોહર વાડી આ તારી નંદનવન શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરિયે નિત્ય કલ્લોલ ! … ગુણવંતી ગુજરાત !

સંત મહંત અનંત વીરોની, વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગમાં અર્પણ કરિયે જાત ! … ગુણવંતી ગુજરાત !

ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય :
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય … ગુણવંતી ગુજરાત !

સર સરિતા રસભર અમીઝરણાં, રત્નાકર ભરપૂર:
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર ! … ગુણવંતી ગુજરાત !

હિન્દુ મુસ્લિમ,પારસી,સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે કરિયે સેવા સહુ કાળ ! … ગુણવંતી ગુજરાત !

ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર … ગુણવંતી ગુજરાત !

– અરદેશર ખબરદાર

2 Comments

તમને સમય નથી


પ્રણયની મધુરી કેડીમાં ક્યારેક જુદાઈના ગીત ગવાય છે. દિલમાં ભારોભાર વ્યથા હોય, મનમાં કેટકેટલા પ્રશ્નો હોય જેના ખુલાસા મેળવવાના અને કરવાના હોય પણ વાત કરવાનો મોકો જ ન મળે. કોઈ સમારંભમાં, કોઈ જાહેર સ્થળે, અન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિ વચ્ચે પ્રિયજનને જુઓ પણ વાત ન કરી શકો તો ? મુક્તકમાં એ બેબસીનું કરુણ નિરુપણ છે. તો મત્લાનો શેર એના કારણ વિશે કેટલું સરળતાથી કહી જાય છે. સંબંધોમાં તીરાડની પ્રથમ નિશાની એકમેકને માટે સમયનો અભાવ. એમાંય જ્યારે એક પક્ષે સારો સમય ન હોય, અર્થાત્ કોઈ રીતે અન્ય પ્રેમીની સમકક્ષ ઊભા ન રહેવાનું કારણ હોય તો એવા પ્રેમીના ભગ્ન હૃદયની કથા, એની બેબસીનો ચિતાર અહીં ધ્વનિત થયો છે. માણો બાપુભાઈ ગઢવીની સુંદર રચના મનહર ઉધાસના સ્વરમાં.
*

*
દિલનાં દર્દને અશ્રુથી તોલી શક્યા નહીં
હૈયું પરસ્પર આપણે ખોલી શક્યા નહીં
જાલિમ જમાનો બેઉની વચ્ચે હતો એથી
સામે મળ્યા ને કાંઈ પણ બોલી શક્યા નહીં
*
તમને સમય નથી અને મારો સમય નથી
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી ?

રોકી રહી છે તમને તમારી શરમ અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી

વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે
ને યાદ રાખવું એ તમારો વિષય નથી

હું ઈંતજારમાં અને તમે હો વિચારમાં
એ તો છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી.

– બાપુભાઈ ગઢવી

13 Comments

જૂનું ઘર ખાલી કરતાં …

 


મિત્રો, આજે એક સુંદર રચના જે શાળામાં ભણવામાં આવતી હતી. જૂનું ઘર ખાલી કરી નવા ઘરમાં જવાના પ્રસંગો જેના જીવનમાં બન્યા હશે તેમને આ કૃતિનો મર્મ સ્પર્શી જશે. ઘર એટલે ઘરમાં ગોઠવેલી નિર્જીવ વસ્તુઓ નહીં પરંતુ હૂંફાળી યાદો, સુખદુઃખના પ્રસંગો, પડોશીથી માંડી સ્નેહી મિત્રોની સ્મૃતિઓ. એમાંય જ્યારે એ ઘરમાં પોતીકું સ્વજન ગુમાવવાનું બન્યું હોય તો એવું ઘર ખાલી કરવાનું કેટલું અકારું લાગે તે તો અનુભવે તે જ જાણે. અહીં કવિને પોતાના વહાલસોયા પુત્રની સ્મૃતિઓ જાણે કહી ઉઠે છે કે મને અહીં મૂકીને ક્યાં ચાલ્યા ? અને બીજા ઘરે જવા ઉપડતા પગ પર પત્થર જડાઈ જાય છે. લાગણીથી ભીંજાયેલ આ સોનેટ આજે માણો.

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસું:
જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટયાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો!

લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,
જે મૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;

જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો
ને જયાંથી તે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો!
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ! ના કશુંય ભૂલિયા, એક ભૂલ્યાં મને કે?

ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા!
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા!

– બાલમુકુન્દ દવે

5 Comments

પાગલ થાઉં તો સારું

હવે તો બસ થયું બુદ્ધિ ! હું પાગલ થાઉં તો સારું !
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું !

જીવનનો ગરજતો સાગર ઘણો ગંભીર લાગે છે,
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું !

જુઓ કિરણો વિખેરાયાં, ને ગુંજનગીત રેલાયાં,
હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું !

મને આ તારી અધબીડેલ આંખોમાં સમાવી લે,
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું

ભલે હું શ્યામ લાગું, પણ મિલન આવું મળે કોને ?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું !

યુગો અગણિત ભલે વીતે, મને એની નથી પરવા,
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું !

મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ–
કે ખુદ દુનિયાને થઈ આવ્યું : ઘાયલ થાઉં તો સારું !

જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું !

તને તો આવડે છે ઠંડી ઠંડી આગ થઈ જાતાં,
મને છે મૂંઝવણ કે આંખનું જલ થાઉં તો સારું !

– શેખાદમ આબુવાલા

Leave a Comment

વગડાનો શ્વાસ


આજે એક મજાનું પ્રકૃતિગીત. કહેવાય છે કે માણસ જ્યારે પ્રકૃતિના ખોળે હોય છે ત્યારે સૌથી સુખી હોય છે. જેમણે એક દિવસ પણ પ્રકૃતિના ખોળે ગુજાર્યો હશે તેને આ ગીતની રમ્ય કલ્પનાના રંગોમાં રંગાવાનું મન થઈ આવશે. પહાડોના હાડ, નાડીમાં નદીઓનાં નીર, છાતીમાં બુલબુલનો માળો એક અદભૂત સર્જનશીલતા અને પ્રકૃતિની સંવેદનશીલતાનો પરિચય આપે છે. કવિ શ્રી જયંત પાઠકની એક સુંદર રચના એટલા જ સુંદર સ્વરાંકનમાં આજે સાંભળીએ.
*
સ્વર: દ્રવિતા ચોકસી; સંગીત: મેહુલ સુરતી

*
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર;

છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડા પિયે ને
પિયે માટીની ગંધ મારા મૂળ;
અર્ધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અર્ધું તે તમરાંનુ કુળ;

થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

– જયંત પાઠક

2 Comments

હોવા ન હોવાથી


નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.

હશે, મારી ગઝલમાં કયાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

કદી તેં હાક મારી’તી, ઘણાં વર્ષો થયાં તો પણ,
હજી ગુંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.

ખલિલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું.
ફરક શું પડશે કોઈના અહીં હોવા ન હોવાથી.

– ખલિલ ધનતેજવી

2 Comments