આજે રાવજી પટેલની એક સુંદર રચના જેમાં એક પંખીની વાત કરી છે. પરંતુ આ બે પાંખ અને બે આંખવાળું સામાન્ય પંખી નથી પરંતુ મારા ને તમારા વિચારોના વૃક્ષમાં અટવાતા, પ્રિયજનના ચહેરા પર મલકાતાં તથા રાત વેરણ બની જતાં મનના આંબાની ડાળે ટહુકાતા મનપંખીની વાત છે. અંતિમ પંક્તિમાં શ્વાસોની આવનજાવનને પંખીની સજીવતા સાથે સરખાવી કવિએ જીવંતતાનો કેટલો મધુરો અહેસાસ કરાવ્યો છે!
કદી આંખમાંથી ઊડી જાય પંખી
કદી આંખ વચ્ચે પડી ન્હાય પંખી.
અટારી નીચે વૃક્ષ ઊગ્યું;તું મનમાં.
વિચારો થઈ આજ અટવાય પંખી.
કરી પાંખ ફોળી ઉભય ગાલ ઉપર
તમારા ચહેરાનું મલકાય પંખી.
નર્યાં ફૂલ વચ્ચે રહી રહીને થાકયું.
હવે શબ્દ થઈને આ અંકાય પંખી.
પણે ડાળ આંબાની ટહુકયા કરે છે,
પણે રાત આખી શું વેરાય પંખી.
હજી જીવું છું કારણ છે એક
હજી શ્વાસમાં એક સંતાય પંખી.
– રાવજી પટેલ
2 Comments