પાર્થને કહો ચડાવે બાણ
કુરુક્ષેત્રની મધ્યમાં સ્વજન અને હિતેચ્છુઓને જોઈને પાર્થની દ્વિધાનો અંત લાવવા ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. પાંડવો યુદ્ધ વાંચ્છતા ન હતા. પરંતુ જ્યારે વિષ્ટિ-વિનવણીથી વાત ન પતી ત્યારે આખરી ઉપાય તરીકે તેમને યુદ્ધમાં ઉતરવું પડ્યું. કવિ ન્હાનાલાલ કૃત આ રચના ગુજરાતી સાહિત્યની એક અમર કૃતિ છે. મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલા પછીના પ્રસ્તુત સંજોગોમાં પણ શું એ એટલું જ સાર્થક નથી લાગતું ? સરહદ પારના આતંકને ક્યાં સુધી મુંગે મોઢે સહન કરવો ?
પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ, પાર્થને કહો ચડાવે બાણ
ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ … પાર્થને કહો ચડાવે બાણ
દ્રૌપદીની હજી વેણ છૂટી છે રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ … પાર્થને કહો ચડાવે બાણ
મેહુલો બોલે, વાયુ હુંકારે, ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે, ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ … પાર્થને કહો ચડાવે બાણ
નૃલોક જોશે, કાળ નીરખશે, રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં, હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ … પાર્થને કહો ચડાવે બાણ
વિધિનાં એ જ મહાનિર્માણ, પાર્થને કહો ચડાવે બાણ
- મહાકવિ નાનાલાલ

December 3rd, 2008 at 9:19 pm
પ્રાસંગીક અમર કૃતિ
વિધિનાં એ જ મહાનિર્માણ,
પાર્થને કહો ચડાવે બાણ
સર્વાંગ સુંદર વાત…કોઈક હતાશા કે બેજવાબદારી ભર્યું અફવાનૂ બાણ ચઢાવી નૂકશાન કરે છે—આ સંદેશો સ્પષ્ટ છે-પાર્થને કહો ચડાવે બાણ
December 4th, 2008 at 12:07 am
મિતિક્ષાબહેન
અભીનંદનને પાત્ર છો તમે, મને આનંદ છે કે આપ ગુજરાતી સાહિત્યની મન મુકીને સેવા કરો છો. ઘણું બધું મળી ગયું આપની પાસેથી, અને હા મારા બ્લોગ પર પણ સમય કાઢીને આવજો અને સુધારા વધારા કે’તા જજો….અને આપને યોગ્ય લાગે તો “મિતિક્ષા.કોમ્” પર parisamvad.blogspot.comની લીંક મુકજો, આપની પરવાનગી વગર હુએ તો આ કામ કરી દીધુ છે.
આભાર
પ્રબીન અવલંબ બારોટ
રાજપીપલા, નર્મદા, ગુજરાત
9898707808
December 12th, 2008 at 3:31 pm
પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ, પાર્થને કહો ચડાવે બાણ
આપણા નપાણિયા નેતાઓ ને ય કહો કે તમને ભારતમાતાની આણ છે. ( જો તેઓ આપણા દેશને મા ગણતા હોય તો )
December 12th, 2008 at 3:40 pm
નૃલોક જોશે, કાળ નીરખશે, રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં, હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ … પાર્થને કહો ચડાવે બાણ
અમેરિકાની ચાપલૂસી કરવાનું બંધ કરી આતંકવાદનો સમૂળગો વિનાશ એજ કલ્યાણ
યુ.એન. જોશે, યુ.એસ. નીરખશે રણરમતો ભારતવર્ષ
સુખ-શાંતિ ને સમ્રુધ્ધિમાં, હજો આતંકનો ધ્વંસ
ઊગે જો! નભ નવયુગનો ભાણ…..