પરિચય થવા લાગે

  103.jpg

બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.

અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.

રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.

હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?
ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !

પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.

નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?
મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.

‘ગની’, નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.

- ગની દહીંવાલા

4 Responses to “પરિચય થવા લાગે”

  1. ડૉ. પ્રીતેશ વ્યાસ Says:

    બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
    કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.

    વાહ શું રચના છે ગનીચાચા એટલે ગનીચાચા. ખુબ સરસ.
    સંગીતકારોને નિવેદન કે આ ગઝલને સ્વર આપો.

  2. pragnaju Says:

    અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
    પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.

    રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
    અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.

    સરસ

  3. Dr Bipin Contractor Says:

    અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
    પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.

    ગની દહીંવાલાની ખરેખર ખૂબ સરસ રચના! કદાચ સ્વરાંકન ન થવાને લીધે પ્રચલિત નહીં થઈ હોય! ડૉ.પ્રીતેશ વ્યાસની ખ્વાહિશ કોઈ સંગીતકાર પૂરી કરે તો બધાં મા’ણી શકે!
    ભાઈ ચાતક,તમે કેમ તમારી સુંદર સમીક્ષા નથી મૂકી?

  4. ATUL Says:

    પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
    ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.

    ગની’, નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
    કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.

    મૌન અને શાન્ત બની પોતાની સાથે વાતો કરતા
    યોગી ને આમ જ સ્વ નો પરિચય થતો હશે ???

Leave a Reply