Press "Enter" to skip to content

Category: અન્ય ગાયકો

ચાલ, વરસાદની મોસમ છે


વરસાદની મોસમ પૂરબહારમાં ચાલી રહી છે. આકાશનું હેત જ્યારે ધરતીને અનરાધાર નવડાવતું હોય ત્યારે પ્રણયભીનાં હૈયા કેમ કોરાં રહી જાય ? વરસાદમાં એકમેક પર વરસવાની સાથે સાથે પ્રેમ માટે હજુ વધુ તરસતાં જવાનું કહીને કવિ સંવેદનાને અનોખી ધાર કાઢી આપે છે. વરસાદ બુંદોથી સ્પર્શે તો કવિ કવિતાથી કેમ નહીં ? સાંભળો આ સુંદર રચના.
*

*
ચાલ, વરસાદની મોસમ છે, વરસતા જઈએ,
ઝાંઝવા હોય કે હોય દરિયાવ, તરસતા જઈએ.

મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઈએ.

આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ઘણા, ચાલને, ખસતાં જઈએ.

સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઈએ.

તાલ દેનાર ને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ

– હરીન્દ્ર દવે

4 Comments

હું અને તું


મિત્રો, આજે એક મધુરું ગીત જે વારંવાર સાંભળતાય ન ધરાવાય. પ્રેમની સાચી અભિવ્યક્તિ જો કોઈ હોય તો તે છે સ્વનું વિસર્જન અને ઉભયમાંથી એકનું સર્જન. બે હોવા છતાં એક થઈને વહેવું એ જ ખરું સહજીવન. એકમેકના શ્વાસમાં સુગંધ થઈને વ્યાપી રહેવું તે સહજીવન. રંગ અને પીંછી વચ્ચેનો સંવાદ, સૂર અને શબ્દનો સહવાસ એવી વિવિધ કલ્પનાઓથી મઢેલ આ ગીતને આજે માણીએ.
*
ગાયકઃ ભુપિન્દર સિંઘ અને મિતાલી સિંઘ, આલ્બમઃ હસ્તાક્ષર

*
હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.

આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ વ્હાલમ;
ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ વ્હાલમ.
આંખને ઉંબર અતિથી, અશ્રુને સપનાં સખીરી;
રસસભર જીવનને ખાતર બેઉ છે ખપના સખીરી.
આંખથી ક્યારેક ઝરમર ને કદી ઝલમલ સહ્યાં સંગાથમાં, તે આપણે … હું અને તું

રંગ ને પીછી તણો સંવાદમાં પણ બેઉ સજની;
સુર ગુંથ્યા શબ્દનો અનુવાદમાં પણ બેઉ સજની.
છે મને ન યાદ કોઈ પ્રેમમાં ફરીયાદ, સજના;
જિંદગી લાગે મને પ્રિતી તણો પ્રસાદ, સજના.
જિંદગીના બેઉ રંગો ને ઉમંગોને ચહ્યા સંગાથમાં, તે આપણે … હું અને તું

– તુષાર શુક્લ

4 Comments

બાર બાર વરસે નવાણ ગળાવ્યાં


*
આજે એક લોકગીત. હૈયાની લાગણીઓને વાચા આપવાનું સૌથી સુંદર માધ્યમ એટલે ગીત. પહેલાના સમયમાં જ્યારે ટીવી, રેડિયો કે વર્તમાનપત્રો નહોતા ત્યારે લોકો ભેગા મળી પ્રસંગને અનુરૂપ કે વિવિધ ભાવોને અનુરૂપ ગીતો ગાતાં. એ રચનાઓ લોકજીભે વહેતી થઈ લોકોના હૈયામાં સ્થાન પામતી. આજે માણો એવી જ એક સુંદર રચના. (નવાણ=જળાશય, કૂવો વાવ કે તળાવ).
(નોંધ – સ્વરબદ્ધ થયેલા ગીતના શબ્દો અક્ષરશઃ મૂળ ગીતના શબ્દોને મળતા નથી. વળી એની અમુક કડીઓ જ ગવાઈ છે. અહીં આખું ગીત પ્રસ્તુત કરેલ છે.)
*
આલ્બમ: ઝીણાં મોર બોલે; સ્વર: લાખાભાઈ ગઢવી

*
બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર નો આવ્યાં જી રે
તેડાવો જાણતલ તેડાવો જોશી, જોશીડા જોશ જોવડાવો જી રે

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, ‘દીકરો ને વહુ પધરાવો જી રે’
‘થોડા ખીલવતા વીર અભેસંગ! દાદાજી બોલાવે જી રે’

‘શું રે કો’ છો મારા સમરથ દાદા, શા કાજે બોલાવ્યા જી રે
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, દીકરો ને વહુ પધરાવો જી રે

‘એમાં તે શું મારા સમરથ દાદા, પારકી જણીને પૂછી આવો જી રે’
‘બેટડો ધરાવતા વહુ રે વાઘેલી વહુ, સાસુજી બોલાવે જી રે ’

‘શું રે કો’ છો મારા સમરથ સાસુ, શા કાજે બોલાવ્યા જી રે?’
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, ‘દીકરો ને વહુ પધરાવો જી રે’

‘એમાં તે શું મારા સમરથ સાસુ, જે કે’શો તે કરશું જી રે’
‘ભાઈ રે જોશીડાં, વીર રે જોશીડા, સંદેશો લઈ જાજો જી રે’

‘મારી માતાને એટલું જ કહેજો, મોડિયો ને ચુંદડી લાવે જી રે’
‘ઊઠો ને મારા સમરથ જેઠાણી, ઊનાં પાની મેલો જી રે’

‘ઊઠો ને મારા સમરથ દેરાણી. માથા અમારાં ગૂંથો જી રે’
‘ઊઠો રે મારા સમરથ દેરીડો, વેલડિયું શણગારો જી રે’

ઊઠો રે મારા સમરથ નણદી, છેડાછેડી બાંધો જી રે’
ઊઠો રે મારા સમરથ સસરા, જાંગીડા ઢોલ વગડાવો જી રે

‘આવો, આવો મારા માનસંગ દીકરા, છેલ્લા ધાવણ ધાવો જી રે’
પુતર જઈ પારણે પોઢાડયો, નેણલે આંસુડાની ધારું જી રે

પહેલે પગથિયે જઈ પગ દીધો, પાતાળે પાણી ઝબક્યા જી રે,
બીજે પગથિયે જઈ પગ દીધો, કાંડે તે બૂડ પાણી આવ્યા જી રે

ત્રીજે પગથિયે જઈ પગ દીધો, કેડ સમાં નીર આવ્યાં જી રે
ચોથે પગથિયે જઈ પગ દીધો, છાતી સમાં નીર આવ્યાં જી રે

પાંચમે પગથિયે જઈ પગ દીધે, પરવશ પડિયા પ્રાણિયા જી રે
‘એક હોકાંરો દ્યોને અભેસંગ, ગોઝારા પાણી કોણ પીશે જી રે’

‘પીશે તે ચારણ, પીશે તે ભાટો, પીશે અભેસંગ દાદોજી રે’
‘એક હોકારો દ્યો ને વાઘેલી વહુ, ગોઝારો પાણી કોણ પીશે જી રે?’

‘પીશે તે વાણિયા, પીશે તે બ્રાહ્મણ, પીશે તે વાળુભાના લોકો જી રે’
તરી છે ચૂંદડી ને તર્યો છે મોડિયો, તરિયા અભેસંગના ખોળિયા જી રે.

ગાતાં ને વાતાં ઘરમાં આવ્યાં, ઓરડા અણોસરા લાગે જી રે
વા’લા હતાં તેને ખોળે બોસાડ્યાં, દવલાં ને પાતાળ પૂર્યા જી રે.

[ફરમાઈશ કરનાર મિત્ર – અંતિમ પંચાલ]

8 Comments

મીરાં તમે પાછા ઘેર જાઓ


“મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ” નું રાતદિવસ રટણ કરનાર મીરાંબાઈ વિરોધોના મહાસાગરને પાર કરીને, રાજમહેલ અને સમાજની મર્યાદાઓનો ત્યાગ કરીને પ્રભુપંથે નીકળી પડ્યાં. મીરાંબાઈએ સંત રોહિદાસ (સંત રૈદાસ)ને પોતાના ગુરુ માન્યા હતા. સંત રૈદાસ જાતિના ચમાર હતા અને મીરાંબાઈ રાજકુંવરી. પણ એ ભેદ તો ભૌતિક જગતના, આધ્યાત્મિક જગતમાં તો બધાં સરખાં. સંત રોહિદાસ ઈશ્વરપરાયણ સંતપુરુષ હતા એથી એમને એવો વિચાર નહોતો સતાવતો પરંતુ મીરાંને એનું પરિણામ ભોગવવું ન પડે તે માટે તેમણે મીરાંને પાછા જવાની વિનતી કરી. એ ભાવોને અભિવ્યક્ત કરતું આ ખુબ સુંદર અને વારંવાર સાંભળવું ગમે તેવું ભજન આજે સાંભળીએ.
*

*
તમે મારાં મનનાં માનેલા શાલિગ્રામ,
મીરાં તમે પાછા ઘેર જાઓ.

હે મીરાંબાઈ તમે રાજાની છો કુંવરી,
અને રોહિદાસ જાતિનો છે ચમાર …. મીરાં તમે પાછા

મીરાંબાઈ, નગરનાં લોક તમારી નિંદા કરે,
રાણોજી દેશે અમને આળ … મીરાં તમે પાછાં

મીરાંબાઈ, મેવાડનાં લોકો તમારી નિંદા કરશે
એ પાપીને પૂજશે માની ભગવાન .. મીરાં તમે પાછાં

રામાનંદ ચરણે રોહિદાસ બોલિયાં,
મીરાં તમે હેતે ભજો ભગવાન … મીરાં તમે પાછાં

– સંત રોહિદાસ (સંત રૈદાસ)

8 Comments

નંદલાલાને માતા જશોદાજી સાંભરે


ગોકુળ છોડી મથુરા ગયા પછી કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ કદી પાછા ગોકુળમાં નહોતા પધાર્યા. જ્યાં પોતાનું બાળપણ વીતેલું, જ્યાં ગોપબાળો સાથે કેટલીય રમતો રમેલી, કેટલાય માખણના શીકા તોડી ગોરસ ખાધેલા, કેટલીય ગોપીઓ સાથે રાસલીલા કરેલી, ગાયોને ચારવા વનમાં જતા ને ધૂળે ભરાઈને સાંજે પાછા ફરતાં, માતા યશોદા અને નંદબાબા સાથે વીતાવેલાં વરસો અને એની પળેપળ ભગવાન શ્રીકૃષ્ણને મહેલમાં બેચેન કરતી. પરંતુ ધર્મસંસ્થાપનાનું યુગકર્મ કરવા પ્રકટ થયેલ ભગવાન એ સ્મૃતિઓથી ચળી જાત તો જગદગુરુ થોડા કહેવાત. મથુરાના રાજભવનમાં ભગવાન શ્રીકૃષ્ણની મનોદશાનું સુંદર ચિત્રણ સાંભળો આ મધુરા પદમાં.
*

*
નંદલાલાને માતા યશોદાજી સાંભરે
મમતા મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં…નંદલાલાને

હીરા માણેકના મુગુટ ધરાય છે,
મોરપીંછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં…….નંદલાલાને

તબલા સારંગીના સૂર સંભળાય છે,
નાનકડી બંસી મારી રહી ગઈ ગોકુળમાં … નંદલાલાને

છપ્પન ભોગના થાળ ધરાય છે,
માખણ ને મીસરી મારી રહી ગઈ ગોકુળમાં … નંદલાલાને

રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે,
ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં … નંદલાલાને

રાધાજીને એટલું કહેજો ઓધવજી
અમીભરી આંખ્યું મારી રહી ગઈ ગોકુળમાં …..નંદબાબાને

[ફરમાઈશ કરનાર – જયશ્રીબેન જોશી]

7 Comments

ઝૂલણ મોરલી વાગી રે


મિત્રો, આજે એક ખુબ જાણીતું અને માનીતું ગીત સાંભળીએ.
*

*
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.

ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. … મોરલી.

બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. … મોરલી.

માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ રે. … મોરલી.

પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. … મોરલી.

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.

5 Comments