વરસાદની મોસમ પૂરબહારમાં ચાલી રહી છે. આકાશનું હેત જ્યારે ધરતીને અનરાધાર નવડાવતું હોય ત્યારે પ્રણયભીનાં હૈયા કેમ કોરાં રહી જાય ? વરસાદમાં એકમેક પર વરસવાની સાથે સાથે પ્રેમ માટે હજુ વધુ તરસતાં જવાનું કહીને કવિ સંવેદનાને અનોખી ધાર કાઢી આપે છે. વરસાદ બુંદોથી સ્પર્શે તો કવિ કવિતાથી કેમ નહીં ? સાંભળો આ સુંદર રચના.
*
*
ચાલ, વરસાદની મોસમ છે, વરસતા જઈએ,
ઝાંઝવા હોય કે હોય દરિયાવ, તરસતા જઈએ.
મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઈએ.
આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ઘણા, ચાલને, ખસતાં જઈએ.
સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઈએ.
તાલ દેનાર ને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ
મિત્રો, આજે એક મધુરું ગીત જે વારંવાર સાંભળતાય ન ધરાવાય. પ્રેમની સાચી અભિવ્યક્તિ જો કોઈ હોય તો તે છે સ્વનું વિસર્જન અને ઉભયમાંથી એકનું સર્જન. બે હોવા છતાં એક થઈને વહેવું એ જ ખરું સહજીવન. એકમેકના શ્વાસમાં સુગંધ થઈને વ્યાપી રહેવું તે સહજીવન. રંગ અને પીંછી વચ્ચેનો સંવાદ, સૂર અને શબ્દનો સહવાસ એવી વિવિધ કલ્પનાઓથી મઢેલ આ ગીતને આજે માણીએ.
*
ગાયકઃ ભુપિન્દર સિંઘ અને મિતાલી સિંઘ, આલ્બમઃ હસ્તાક્ષર
*
હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.
આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ વ્હાલમ;
ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ વ્હાલમ.
આંખને ઉંબર અતિથી, અશ્રુને સપનાં સખીરી;
રસસભર જીવનને ખાતર બેઉ છે ખપના સખીરી.
આંખથી ક્યારેક ઝરમર ને કદી ઝલમલ સહ્યાં સંગાથમાં, તે આપણે … હું અને તું
રંગ ને પીછી તણો સંવાદમાં પણ બેઉ સજની;
સુર ગુંથ્યા શબ્દનો અનુવાદમાં પણ બેઉ સજની.
છે મને ન યાદ કોઈ પ્રેમમાં ફરીયાદ, સજના;
જિંદગી લાગે મને પ્રિતી તણો પ્રસાદ, સજના.
જિંદગીના બેઉ રંગો ને ઉમંગોને ચહ્યા સંગાથમાં, તે આપણે … હું અને તું
*
આજે એક લોકગીત. હૈયાની લાગણીઓને વાચા આપવાનું સૌથી સુંદર માધ્યમ એટલે ગીત. પહેલાના સમયમાં જ્યારે ટીવી, રેડિયો કે વર્તમાનપત્રો નહોતા ત્યારે લોકો ભેગા મળી પ્રસંગને અનુરૂપ કે વિવિધ ભાવોને અનુરૂપ ગીતો ગાતાં. એ રચનાઓ લોકજીભે વહેતી થઈ લોકોના હૈયામાં સ્થાન પામતી. આજે માણો એવી જ એક સુંદર રચના. (નવાણ=જળાશય, કૂવો વાવ કે તળાવ).
(નોંધ – સ્વરબદ્ધ થયેલા ગીતના શબ્દો અક્ષરશઃ મૂળ ગીતના શબ્દોને મળતા નથી. વળી એની અમુક કડીઓ જ ગવાઈ છે. અહીં આખું ગીત પ્રસ્તુત કરેલ છે.)
*
આલ્બમ: ઝીણાં મોર બોલે; સ્વર: લાખાભાઈ ગઢવી
“મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ” નું રાતદિવસ રટણ કરનાર મીરાંબાઈ વિરોધોના મહાસાગરને પાર કરીને, રાજમહેલ અને સમાજની મર્યાદાઓનો ત્યાગ કરીને પ્રભુપંથે નીકળી પડ્યાં. મીરાંબાઈએ સંત રોહિદાસ (સંત રૈદાસ)ને પોતાના ગુરુ માન્યા હતા. સંત રૈદાસ જાતિના ચમાર હતા અને મીરાંબાઈ રાજકુંવરી. પણ એ ભેદ તો ભૌતિક જગતના, આધ્યાત્મિક જગતમાં તો બધાં સરખાં. સંત રોહિદાસ ઈશ્વરપરાયણ સંતપુરુષ હતા એથી એમને એવો વિચાર નહોતો સતાવતો પરંતુ મીરાંને એનું પરિણામ ભોગવવું ન પડે તે માટે તેમણે મીરાંને પાછા જવાની વિનતી કરી. એ ભાવોને અભિવ્યક્ત કરતું આ ખુબ સુંદર અને વારંવાર સાંભળવું ગમે તેવું ભજન આજે સાંભળીએ.
*
ગોકુળ છોડી મથુરા ગયા પછી કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ કદી પાછા ગોકુળમાં નહોતા પધાર્યા. જ્યાં પોતાનું બાળપણ વીતેલું, જ્યાં ગોપબાળો સાથે કેટલીય રમતો રમેલી, કેટલાય માખણના શીકા તોડી ગોરસ ખાધેલા, કેટલીય ગોપીઓ સાથે રાસલીલા કરેલી, ગાયોને ચારવા વનમાં જતા ને ધૂળે ભરાઈને સાંજે પાછા ફરતાં, માતા યશોદા અને નંદબાબા સાથે વીતાવેલાં વરસો અને એની પળેપળ ભગવાન શ્રીકૃષ્ણને મહેલમાં બેચેન કરતી. પરંતુ ધર્મસંસ્થાપનાનું યુગકર્મ કરવા પ્રકટ થયેલ ભગવાન એ સ્મૃતિઓથી ચળી જાત તો જગદગુરુ થોડા કહેવાત. મથુરાના રાજભવનમાં ભગવાન શ્રીકૃષ્ણની મનોદશાનું સુંદર ચિત્રણ સાંભળો આ મધુરા પદમાં.
*