હોવા ન હોવાથી


નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.

હશે, મારી ગઝલમાં કયાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

કદી તેં હાક મારી’તી, ઘણાં વર્ષો થયાં તો પણ,
હજી ગુંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.

ખલિલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું.
ફરક શું પડશે કોઈના અહીં હોવા ન હોવાથી.

- ખલિલ ધનતેજવી

2 Responses to “હોવા ન હોવાથી”

  1. Dilip Gajjar Says:

    ખલિલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું.
    ફરક શું પડશે કોઈના અહીં હોવા ન હોવાથી.
    ખુબ સુન્દર. ખલીલ ભાઈની રચના નવા સંગ્રહની મૂકવા બદલ વેબસાઈટ કર્તાનો આભાર.

  2. Darshan Says:

    હશે, મારી ગઝલમાં કયાંક અંધારું હશે તો પણ,
    ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

    જીવનનું સત્ય પ્રતિબિમ્બ દર્શાવવા બદલ સૌ પ્રથમ તો ખલીલ ભાઈ ને અભિનંદન. ખબર નથી કેમ, પરંતુ તેમના દરેક વાક્યમાં ટપકતી વેદના સંવેદી શક્યો છું.

Leave a Reply