નાના હતા ત્યારથી સાંભળતા આવ્યા હતા કે ધીરજના ફળ મીઠા. કપરા સંજોગોમાં ઢાલ જેવું આ વાક્ય કંઈક અનોખી રીતે આ ગઝલમાં વ્યક્ત થયું છે. શૂન્યની કલમે થયેલ અમોલા સર્જનોમાંનું આ એક છે. ગઝલની છેલ્લી બે પંક્તિઓ ઈશ્વર વિશે, એની સર્વવ્યાપકતા વિશે અને અહમ્ ના વિસર્જન વિશે ઘણુંબધું કહી જાય છે.
*
સ્વર-મનહર ઉધાસ
*
દુ:ખમાં જીવનની લ્હાણ હતી, કોણ માનશે ?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે ?
શૈયા મળે છે શૂળની, ફૂલોના પ્યારમાં !
ભોળા હૃદયને જાણ હતી, કોણ માનશે ?
લૂંટી ગઇ જે ચાર ઘડીના પ્રવાસમાં.
યુગ-યુગની ઓળખાણ હતી, કોણ માનશે?
કારણ ન પૂછ પ્રેમી હૃદય જન્મ-ટીપનું,
નિર્દોષ ખેંચ-તાણ હતી, કોણ માનશે ?
ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ની પીછાણ હતી, કોણ માનશે ?
-શૂન્ય પાલનપુરી
આહ … શું શબ્દો છે! મન પ્રફુલ્લિત થઈ ગયું!!