Press "Enter" to skip to content

Category: શૂન્ય પાલનપુરી

નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો


શૂન્ય પાલનપુરીની એક અદભૂત રચના મનહર ઉધાસના સ્વરમાં.
*
આલ્બમ – અરમાન

*
ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધાં વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર
કાંસકીને જો કે એના તનનાં સો ચીરાં થયા,
તો જ પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર.
*
નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો અલૌકિક પ્રણયની કદર કોણ કરશે
સિતારા બની જો ચમકશે ન આંસુ, જગે પ્રેમગાથા અમર કોણ કરશે.

સમજવો નથી સાર કૈં જિંદગીનો કે સમજીને સુખથી બસર કોણ કરશે
છિપાવી ગયું પ્યાસ મૃગલું જો એની તો મૃગજળની સામે નજર કોણ કરશે.

નથી કોઈ પણ માર્ગદર્શક અમારો, નથી ક્યાંય પણ કોઈ મંઝિલ અમારી,
મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર, અમારી અદાથી સફર કોણ કરશે.

પીવાડો ગગન ડોકથી આંખ ઢાળી, અમારી તરસ કેરો ઉપકાર માની,
ભરેલી હશે જો અમારી નજર તો, તમારી નજર પર નજર કોણ કરશે.

નજર રૂપની એટલે એક પારો, હૃદય પ્રેમનું એટલે એક જ્વાળા,
સમાવ્યો છે પારો અમે આગ માંહે, જીગર ‘શૂન્ય’ એવું અવર કોણ કરશે.

– ‘શૂન્ય’ પાલનપુરી

10 Comments

ઉમર ખૈયામની રુબાઈઓ – 8


મિત્રો, ઘણાં દિવસ બાદ આજે ફરી એકવાર ઉમર ખૈયામની રુબાઈઓ માણીએ. એમાં છુપાયેલ ગહન અર્થ અને તત્વજ્ઞાનમાં ડૂબકી માર્યા પછી વાહ બોલવાનું જ શેષ રહે. ખરું ને ?

આ તો છે શાપિત મુસાફરખાનું ઓ નાદાન નર,
એની માયામાં ન લપટાજે થઇને બેખબર;
થાકથી લાચાર થઇ બેસી જવા ચાહીશ ત્યાં,
હાથ ઝાલી બેરહમ મૃત્યુ કહેશે, “ચાલ મર”.
*
કાળની વણઝાર ચાલી જાય છે, ચાલી જશે,
પ્રાણ થઇ જાશે પલાયન, ખોળિયું ખાલી થશે;
ખુશ રહે કે જેટલાં મસ્તક જુએ છે તું અહીં,
એક દિવસ એ બધાં કુંભારના ચરણે હશે.
*
ફૂલ કે’ છે “કેટલું સુંદર છે આ મારું વદન !
તે છતાં દુનિયા કરે છે આટલું શાને દમન ?”
દિવ્ય-ભાષી બુલબુલે દીધો તરત એનો જવાબ,
“એક દિનના સ્મિતનો બદલો છે વર્ષોનું રુદન !”
*
આ સકળ બ્રહ્માંડને સમજી લો એક ફાનસ વિરાટ,
પૃથ્વી એનો રમ્ય ગોળો, સૂર્ય એની દિવ્ય વાટ;
આપણે સૌ તેજ-છાયાથી વિભૂષિત ચિત્ર સમ,
ઘૂમતા લઇને અગમ ભાવિનો અંતરમાં ઉચાટ.
*
જગ-નિયંતા એની સત્તા જો મને સોંપે લગાર,
છીનવી લઉં ઋત કનેથી ભાગ્યનો સૌ કારભાર;
એ પછી દુનિયા નવી એવી રચું કે, જે મહીં,
સર્વ જીવો મન મુજબ લૂંટી શકે જીવન-બહાર.

– ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)

4 Comments

હું નથી પૂછતો, ઓ સમય!


શૂન્ય પાલનપુરી મારા ગમતા શાયર. એમની ગઝલોમાં તત્વજ્ઞાન ડોકાય, એક ઊંડાણ જે વાચકને અચૂક સ્પર્શે. આજે એમની એક ગઝલ પ્રસ્તુત છે ..દર્દની લાગણીના ઘણા રૂપ છે … એ મારો મનગમતો શેર છે. જેના એક એક શેર પર દુબારા કહેવાનું મન થાય એવી આ સુંદર ગઝલને આજે માણીએ મનહર ઉધાસના કંઠે.
*

*
હું નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલાં?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલાં?

ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે,
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલાં?

દર્દની લાગણીના ઘણાં રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઇને ફરકતાં હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલાં?

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસર થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલાં?

સ્વાર્થની આ તો છે ભક્તિલીલા બધી, આત્મપૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઇશ્વરને માટે મમત કેટલી, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલાં?

– શૂન્ય પાલનપુરી

[ફરમાઈશ કરનાર – પૂર્વી ]

7 Comments

ક્ષમા કરી દે !


આજે માણો શૂન્ય પાલનપુરીની એક લાંબી બહેરની ગઝલ મનહર ઉધાસના સ્વરમાં.
*

*
તોફાનને દઈને અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે !
હોડીનું એક રમકડું, તુટ્યું તો થઇ ગયું શું ?
મોજાંની બાળહઠ છે, સાગર ! ક્ષમા કરી દે !

હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ,
પળપળની યાતનાઓ, પળપળની વેદનાઓ !
તારું દીધેલ જીવન, મૃત્યુ સમું ગણું તો,
મારી એ ધૃષ્ટતાને ઇશ્વર, ક્ષમા કરી દે !

કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની;
અર્થાત જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા,
પહેરી ઉદારતાનું બખ્તર, ક્ષમા કરી દે !

કાંટો છે લાગણીનો, વજનો છે બુધ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ;
હે મિત્ર ! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે !

તું એક છે અને હું એક ‘શૂન્ય’ છું પરંતુ,
મારા જ સ્થાન પર છે નિશ્ચિત જગતનાં મૂલ્યો;
એથી જ ઓ ગુમાની ! જો હું કહું કે તું પણ
મારી દયા ઉપર છે નિર્ભર, ક્ષમા કરી દે !

– શૂન્ય પાલનપુરી

5 Comments

જેને ખબર નથી કે


ગઝલનો જન્મ ઉર્દુ-ફારસીમાં થયો હોવાનું મનાય છે. એ સમયની ગઝલોમાં સુરા, જામ, સાકી વગેરેનો ઉલ્લેખ અચૂક જોવા મળતો. એવા જ લોકો ગઝલની સભાઓમાં જતા. કદાચ બીજા કોઈ એમાં પહોંચી જાય તો તેઓને એની ગતાગમ જ ન પડે, એને યથાર્થરૂપે માણી ન શકે. શૂન્યે એથી જ આ ગઝલમાં કહ્યું કે જેને વિષય પરત્વેનું જ્ઞાન ન હોય એણે એવી જગ્યાઓએ નહીં જવામાં જ સાર છે.
*
સ્વર- મનહર ઉધાસ, આલ્બમ- આરંભ

*
નજીવા સ્વાર્થમાં જે મોતીઓ માટીમાં રોળે છે,
કરીને આબરુ લિલામ નિજનું નામ બોળે છે,
કરું તરફેણ એ પીનારની હું કઈ રીતે સાકી,
પીએ છે જેટલું એથી વધુ જે રોજ ઢોળે છે.
*
જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?

સાકી જે મયકશીની અદબ રાખતા નથી
પામી શકે એ તારી નજરનો મુકામ શું ?

અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો
ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ?

મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ
જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?

– શૂન્ય પાલનપુરી

6 Comments

ઉમર ખૈયામની રુબાઈઓ – 7


મિત્રો, આજે ઘણાં દિવસ પછી ફરી એક વાર માણીએ ઉમર ખૈયામની રુબાઈઓ. ધર્મ-અધર્મ વિશે ઘણું લખાયું છે. બાહ્ય દેખાવથી ધાર્મિક હોવાનો દેખાવ કરતાં લોકો પર કટાક્ષ કરતી રુબાઈઓ આજે માણીએ. ઉમર ખૈયામ વિશે, રુબાઈઓ વિશે અને શૂન્યના આ અદભુત અનુસર્જન વિશે તથા અગાઉ પ્રસિદ્ધ થઈ ગયેલી રુબાઈઓ વાંચવા માટે અનુક્રમણિકા જોવાનું ભૂલશો નહીં.

ઓ શિખામણ આપનારા ! એટલો ઉપકાર કર,
ઇશ્વરી ઇન્સાફ પર મૂંગો રહી ઇતબાર કર;
વક્રદૃષ્ટા ! રાહ જે લીધો અમે સીધો જ છે,
ખોડ તારી આંખમાં છે; જા પ્રથમ ઉપચાર કર.
*
એક દી વારાંગનાને જોઇ ધર્મીએ કહ્યું –
“પુણ્ય મુકી પાપ કેરાં પોટલાં બાંધે છે તું”;
નાર બોલી, “હું તો જે દેખાઉં છું તેવી જ છું,
આપનું ભીતર જુઓ કે બાહ્ય જેવું છે ખરું ?”
*
કૈંક પોકળ સિદ્ધિઓના કેફમાં ચકચૂર છે,
કૈંકની નજરોમાં જન્નતની ખયાલી હૂર છે,
એ જ સૌ તારી નિકટ હોવાના ભ્રમમાં છે અહીં,
વાસ્તવમાં તારા આંગણથી જે ખૂબ જ દૂર છે.
*
કૈંક લોકો છે બિચારા ધર્મની પાછળ ખુવાર,
કૈંક છે શંકા-કુશંકામાં જ નિશદિન બેકરાર,
ભાન ભૂલ્યા એ બધાને કોઇ સમજાવો જરા,
ગેબથી આવી રહી છે ‘નેતિ’ ‘નેતિ’ની પુકાર.
*
આંખડી જ્યારે સદા માટે અહીં બીડાય છે,
હાથ તો હેઠા પડે છે, હોઠ પણ સીવાય છે;
આપશે ક્યાંથી ભલા ! તુજને અગમની એ ખબર ?
મોતના એક સ્પર્શમાં જે બેખબર થઇ જાય છે.

– ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)

3 Comments