ઉમર ખૈયામની રુબાઈઓ – 2

આશરે અગિયારમી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખૈયામનું નામ ઓગણીસમી સદીમાં જન્મેલા એડવર્ડ ફિટ્ઝેરાલ્ડે કરેલા અનુવાદ પછી પશ્ચિમના દેશોમાં પ્રસિદ્ધ થયું. મૂળ ફારસીમાં લખેલી એમની રુબાઈઓને શૂન્ય પાલનપુરીએ ગુજરાતીમાં એમની આગવી રીતે ભાવાનુવાદિત કરી છે. આજે માણો ઈશ્વર કે ચૈતન્ય શક્તિ સાથે સંવાદ કરતી, વારંવાર મમળાવવી ગમે એવી રુબાઈઓ. આ અગાઉ મૂકેલી રુબાઈઓ અહીં જૂઓ.

તારું મન ચાહે તો જઇ નેપથ્યમાં સંતાય તું,
રંગમાં આવે તો જગના મંચ પર દેખાય તું;
તારી આ દર્શનની લીલા સ્પષ્ટ છે દીવા સમી,
દૃશ્ય તું ! અદૃશ્ય તું ! દ્રષ્ટિ ય તું ! દ્રષ્ટા ય તું !
*
કોણ છે નિષ્પાપ જગમાં ? જોઉં ! જા લઇ આવ તું !
પાપ વિણ જીવાય શી રીતે, મને સમજાવ તું !
હું બૂરા કામો કરું, આપે સજા તું પણ બૂરી,
તો પછી મુજમાં ને તુજમાં ફેર શો ? બતલાવ તું !
*
લેખ વિધિએ લખ્યા મારા મને પૂછ્યા વગર,
કર્મની લીલા રચી, રાખી મને ખુદ બેખબર;
આજ પણ ચાલે છે ક્યાં મારું મનસ્વી દોરમાં ?
હું કયામતમાં હિસાબ આપું કયા આધાર પર ?
*
ક્યાં છે મુજ પાપીને માટે તુજ રહમ કેરી નજર ?
દિલનાં અંધારા ટળે શું પ્રેમની જ્યોતિ વગર ?
તું જો આપે સ્વર્ગ કેવળ ભક્તિના બદલા મહીં,
એ તો વેતન છે, નથી બક્ષિસ ! મુજને માફ કર.
*
મોત હો કે જિંદગાની, બેઉ છે તારા ગુલામ,
ભાગ્યનાં હર દોર પર છે તારી મરજીની લગામ;
હું અગર દુર્જન છું એમાં વાંક મારો કૈં નથી,
તું જ સર્જક છે બધાનો, એ હશે તારું જ કામ !

- ઉમર ખૈયામ (શૂન્ય પાલનપુરી)

3 Responses to “ઉમર ખૈયામની રુબાઈઓ – 2”

  1. pragnaju Says:

    ખૂબ ચિંતન માંગે
    તેવી ગુઢ રુબાઈઓ

  2. Sukumar Says:

    સરસ રુબાઈઓ.

  3. Upasana Says:

    વાહ! બહોત ખૂબ!

Leave a Reply