Press "Enter" to skip to content

Category: રુબાઈઓ

ઉમર ખૈયામની રુબાઈઓ – 8


મિત્રો, ઘણાં દિવસ બાદ આજે ફરી એકવાર ઉમર ખૈયામની રુબાઈઓ માણીએ. એમાં છુપાયેલ ગહન અર્થ અને તત્વજ્ઞાનમાં ડૂબકી માર્યા પછી વાહ બોલવાનું જ શેષ રહે. ખરું ને ?

આ તો છે શાપિત મુસાફરખાનું ઓ નાદાન નર,
એની માયામાં ન લપટાજે થઇને બેખબર;
થાકથી લાચાર થઇ બેસી જવા ચાહીશ ત્યાં,
હાથ ઝાલી બેરહમ મૃત્યુ કહેશે, “ચાલ મર”.
*
કાળની વણઝાર ચાલી જાય છે, ચાલી જશે,
પ્રાણ થઇ જાશે પલાયન, ખોળિયું ખાલી થશે;
ખુશ રહે કે જેટલાં મસ્તક જુએ છે તું અહીં,
એક દિવસ એ બધાં કુંભારના ચરણે હશે.
*
ફૂલ કે’ છે “કેટલું સુંદર છે આ મારું વદન !
તે છતાં દુનિયા કરે છે આટલું શાને દમન ?”
દિવ્ય-ભાષી બુલબુલે દીધો તરત એનો જવાબ,
“એક દિનના સ્મિતનો બદલો છે વર્ષોનું રુદન !”
*
આ સકળ બ્રહ્માંડને સમજી લો એક ફાનસ વિરાટ,
પૃથ્વી એનો રમ્ય ગોળો, સૂર્ય એની દિવ્ય વાટ;
આપણે સૌ તેજ-છાયાથી વિભૂષિત ચિત્ર સમ,
ઘૂમતા લઇને અગમ ભાવિનો અંતરમાં ઉચાટ.
*
જગ-નિયંતા એની સત્તા જો મને સોંપે લગાર,
છીનવી લઉં ઋત કનેથી ભાગ્યનો સૌ કારભાર;
એ પછી દુનિયા નવી એવી રચું કે, જે મહીં,
સર્વ જીવો મન મુજબ લૂંટી શકે જીવન-બહાર.

– ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)

4 Comments

ઉમર ખૈયામની રુબાઈઓ – 7


મિત્રો, આજે ઘણાં દિવસ પછી ફરી એક વાર માણીએ ઉમર ખૈયામની રુબાઈઓ. ધર્મ-અધર્મ વિશે ઘણું લખાયું છે. બાહ્ય દેખાવથી ધાર્મિક હોવાનો દેખાવ કરતાં લોકો પર કટાક્ષ કરતી રુબાઈઓ આજે માણીએ. ઉમર ખૈયામ વિશે, રુબાઈઓ વિશે અને શૂન્યના આ અદભુત અનુસર્જન વિશે તથા અગાઉ પ્રસિદ્ધ થઈ ગયેલી રુબાઈઓ વાંચવા માટે અનુક્રમણિકા જોવાનું ભૂલશો નહીં.

ઓ શિખામણ આપનારા ! એટલો ઉપકાર કર,
ઇશ્વરી ઇન્સાફ પર મૂંગો રહી ઇતબાર કર;
વક્રદૃષ્ટા ! રાહ જે લીધો અમે સીધો જ છે,
ખોડ તારી આંખમાં છે; જા પ્રથમ ઉપચાર કર.
*
એક દી વારાંગનાને જોઇ ધર્મીએ કહ્યું –
“પુણ્ય મુકી પાપ કેરાં પોટલાં બાંધે છે તું”;
નાર બોલી, “હું તો જે દેખાઉં છું તેવી જ છું,
આપનું ભીતર જુઓ કે બાહ્ય જેવું છે ખરું ?”
*
કૈંક પોકળ સિદ્ધિઓના કેફમાં ચકચૂર છે,
કૈંકની નજરોમાં જન્નતની ખયાલી હૂર છે,
એ જ સૌ તારી નિકટ હોવાના ભ્રમમાં છે અહીં,
વાસ્તવમાં તારા આંગણથી જે ખૂબ જ દૂર છે.
*
કૈંક લોકો છે બિચારા ધર્મની પાછળ ખુવાર,
કૈંક છે શંકા-કુશંકામાં જ નિશદિન બેકરાર,
ભાન ભૂલ્યા એ બધાને કોઇ સમજાવો જરા,
ગેબથી આવી રહી છે ‘નેતિ’ ‘નેતિ’ની પુકાર.
*
આંખડી જ્યારે સદા માટે અહીં બીડાય છે,
હાથ તો હેઠા પડે છે, હોઠ પણ સીવાય છે;
આપશે ક્યાંથી ભલા ! તુજને અગમની એ ખબર ?
મોતના એક સ્પર્શમાં જે બેખબર થઇ જાય છે.

– ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)

3 Comments

ઉમર ખૈયામની રુબાઈઓ – 6


દોસ્તો, આજે ઉમર ખૈયામની થોડી વધુ રુબાઈઓ માણીએ. ઘેરા તત્વજ્ઞાનથી સિંચાયેલ આ કડીઓ વારંવાર વાંચીએ તો જીવનનો મર્મ સમજાય એમ છે. મૂળ ફારસીમાં લખાયેલ અને ઉમદા ચિંતનથી ભરેલ આ રુબાઈઓ આપણને ગુજરાતીમાં વાંચવા મળે છે તે શૂન્ય પાલનપુરીએ કરેલ ભાવાનુવાદને આભારી છે. આમ તો બધી જ રુબાઈઓ મને ગમે છે પણ અહીં સૌથી પ્રથમ મૂકેલી મને ખુબ ગમે છે. તમને પણ ગમશે એવી આશા છે.
(અગાઉ મુકાઈ ગયેલ રુબાઈઓ વાંચવા અનુક્રમણિકામાં જુઓ.)

બોજ ગમનો મારા દિલ પરથી હઠાવી લે પ્રભુ,
એબ ઢાંકીને બૂરાઇથી બચાવી લે પ્રભુ;
કાલ તું દેજે સજા તારી દયાને છાજતી,
આજ કિંતુ મુજ દુઃખી મનને રિઝાવી લે પ્રભુ !

ખોલ મંગળ દ્વાર કે એ ખોલનારો તું જ છે,
ચીંધ સીધો રાહ કે રહેબર અમારો તું જ છે;
એટલે તો આશરો અમને ખપે ના કોઇનો,
છે બધાં ફાની, ફકત કાયમ સહારો તું જ છે.

કીટ ની કમજોર કાયા તુજથી બળ-ભરપૂર છે,
કીડીઓની સૂક્ષ્મ આંખોમાં ય તારું નૂર છે;
તું જ છે લાયક પ્રભુતાને સકળ સંસારમાં –
જેટલા અવગુણ છે, સૌ તારાથી ખૂબ જ દૂર છે.

જેની એક મરજી ઉપર ચાલે છે ઋતુનો કારભાર,
એ તો છે ત્રિકાળ-જ્ઞાની, સૌના મનનો જાણકાર;
તું ફરેબ આપી શકે દુનિયાને પણ એને નહીં,
છે સકળ સંસારની નસનસથી એ વાકેફગાર.

પંચ તત્વોનો ખુલાસો ધ્યાનથી સુણ બેખબર,
એક પચરંગી તમાશો છે આ તારું જીવતર;
દેવ, દાનવ, ઇશ, માનવ કે પછી કોઇ પશુ,
જે થવું હો થા કે સૌ નિર્ભર છે તારાં કર્મ પર.

– ઉમર ખૈયામ (ભાવાનુવાદ: શૂન્ય પાલનપુરી)

1 Comment

ઉમર ખૈયામની રુબાઈઓ – 5


આજે ઉમર ખૈયામની થોડી વધુ રુબાઈઓ માણીએ. જીવનની વિનાશશીલતા વિશે ઘણું લખાઈ ચૂક્યું છે. મોત આવવાનું જ હોય તો પછી એની બીક કેવી ? જે ઉદારતાથી ઈશ્વરે આપણને જિંદગી આપી એવી જ ખુમારીથી આપણે એને એ પાછી ન આપીએ ! કેટલી સરસ વાત ! વળી આપણે નાશવંત શરીર નથી પણ અમર આત્મા તત્વ છીએ, એ કેટલી સુંદર રીતે બુલંદીએ ઉડનાર બાજના રૂપકથી કહેવાયું છે. સંસારના વ્યવહારો વચ્ચે એ જાગૃતિ કાયમ રહે તો પછી શું કહેવું ! ઉમર ખૈયામની આગળ પ્રસિદ્ધ કરેલ રુબાઈઓ માટે અનુક્રમણિકા જોવાનું ભૂલતા નહીં.

બેસબબ દુનિયાના ગમમાં રાત દિન બળવું પડે !
આસ્માંની બેડીએ જકડાઇ ટળવળવું પડે !
મૂર્ખ ! કાયમની સવડ પણ તે ભલા એ જગમહીં ?
જ્યાં હજી આવ્યા ન આવ્યા ત્યાં જ નિકળવું પડે !
*
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દી માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
*
દેહ છે ખૈયામ તંબુ, છે ફના જેનો મુકામ,
પ્રાણ છે સમ્રાટ, જેનું લક્ષ્ય છે અમરત્વ ધામ;
કૂચનું ફરમાન છૂટે એટલી બસ વાર છે,
યમ-ફરાશો પળમહીં સંકેલશે લીલા તમામ.
*
જોત જોતામાં ઊડી ચાલ્યો બધો જોબનનો રંગ,
મનના મનમાં રહી ગયા અફસોસ ! વાસંતી ઉમંગ;
ક્યારે આવીને ગયું કૈં એ જ સમજાયું નહીં,
જિંદગીની કુંજમાં કલ્લોલતું યૌવન-વિહંગ.
*
નિત બુલંદીએ જ ઉડનારો અલૌકિક બાજ હું,
ઉતર્યો નીચે જરા સંસાર દર્શન કાજ હું;
પણ મળ્યો ના જાણભેદુ કોઇ મુજને એટલે,
જ્યાંથી આવ્યો ત્યાં જ પાછો જઇ રહ્યો છું આજ હું.

– ઉમર ખૈયામ (ભાવાનુવાદ: શૂન્ય પાલનપુરી)

1 Comment

ઉમર ખૈયામની રુબાઈઓ – 4


આશરે અગિયારમી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખૈયામનું નામ ઓગણીસમી સદીમાં જન્મેલા એડવર્ડ ફિટ્ઝેરાલ્ડે કરેલા અનુવાદ પછી પશ્ચિમના દેશોમાં પ્રસિદ્ધ થયું. ગુજરાતી ભાષાનું અહોભાગ્ય કે શૂન્યે એનો ગુજરાતી તરજૂમો કરી પોતાની સર્જનશક્તિનું નવું નૂર ચઢાવી પ્રસ્તુત કરી. એકેક રુબાઈઓ પર આફરીન થઈ જવાય અને વારેવારે વાંચવી, સાંભળવી અને મમળાવવી ગમે એવી ઉત્તમ અર્થસભર રુબાઈઓ સમયાંતરે પ્રસ્તુત કરતા આવ્યા છીએ. આજે થોડી વધુ રુબાઈઓ માણીએ. એમાં જીવનની ક્ષણભંગુરતાને કેટલી સુંદર રીતે શબ્દોમાં રજૂ કરાઈ છે!

જાગ પ્યારા ! રંગનો સંદેશ લઇ આવી સવાર,
બે ઘડી માટે ફનાની કુંજ પર છાઇ બહાર;
ભર કસુંબલ રંગની તું યે બિલોરી જામમાં,
જોતજોતામાં ઊડી જાશે આ જીવનનું તુષાર.
*
હર પ્રભાતે ચેતવે છે કુર્કટો કેરી પુકાર,
જો ઊષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન ! કે એક રાત ઓછી થઇ ગઇ,
આયખું એમ જ ઘટી જાશે, કદી કીધો વિચાર ?
*
ધાર કે સંસારનો છે દોર સૌ તુજ હાથમાં,
ધાર કે તું વ્યોમને ભીડી શકે છે બાથમાં;
ધાર કે સોંપ્યા કુબેરોએ તને ભંડાર પણ,
આવશે કિંતુ કશું ના આખરે સંગાથમાં.
*
શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઇ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
*
હોય તુજ આયુ સદી કે બે સદી અથવા હજાર !
એક દિવસ તો જવું પડશે તજી સૌ કારભાર;
તું ભિખારી હો કે રાજા, ફેર કૈં પડશે નહીં,
અંતમાં તો બેઉનો સરખો જ બોલાશે બજાર.

– ઉમર ખૈયામ (ગુજરાતી – શૂન્ય પાલનપુરી)

Leave a Comment

ઉમર ખૈયામની રુબાઈઓ – 3


ઉમર ખૈયામની રુબાઈઓ મને ખુબ જ ગમે છે. આ અગાઉ આપણે એનો આસ્વાદ માણી ચૂક્યા છીએ. આજે માણો વધુ કેટલીક રુબાઈઓ. અર્થથી સભર અને ગહનતમ વાતોને સરળતાથી રજૂ કરતી આ રુબાઈઓ વારંવાર મમળાવવી ગમે એવી છે. આપણું સદભાગ્ય છે કે ગુજરાતી સાહિત્યમાં એનું નવસર્જન કરી શૂન્ય પાલનપુરીએ એને પ્રસ્તુત કરી. આ અગાઉ રજૂ થયેલ રુબાઈઓ વાંચવા અહીં જુઓ. રુબાઈઓ-1, રુબાઈઓ-2.

દિન ગયો વીતી હવે એની નકામી યાદ કાં ?
જે નથી આવી હજી એ કાલની ફરિયાદ કાં ?
આમ ના એળે જવા દે ખાસ ઘડીઓ આજની,
સાર છોડીને અસારે થાય છે બરબાદ કાં ?
*
મૂર્ખ, અંજલની ફિકર શી ? એ ફિકરથી મુક્ત થા,
કષ્ટદાયી હોય એવા જીવતરથી મુક્ત થા;
બેસ કેવળ જ્ઞાનીઓના સંગમાં તું રાત દિન,
પી સુરા, કલ્લોલ કર, ગમની અસરથી મુક્ત થા.
*
મોત એક જ વાર છે, જીવનમાં એક જ વાર મર,
નિત નવી લાચારીઓ વહોરે છે શીદ ઓ બેખબર ?
આ રુધિર, આ માંસ, આ મળમૂત્ર, મુઠ્ઠી હાડકાં !
છે બધુંયે તુચ્છ ! એની હોય કૈં આવી ફિકર ?
*
માત્ર અડધા રોટલા પર જે ગુજારે દિન તમામ,
જેને બે ગજથી વધારે હોય ના ધરતીનું કામ;
આ જગતમાં કોઇનો જે દાસ કે સ્વામી ન હો,
એ મહા-નરના જીવન-આદર્શને સો સો સલામ.
*
એક રોટી બે દિને મળતી રહો જો આમરણ,
ઠારવાને પ્યાસ વહેતું હો સદા નિર્મળ ઝરણ;
તો પછી ઓ મૂર્ખ ! શાને જીહજૂરી કોઇની ?
ચાંપવા શાને પડે પામર મનુજોનાં ચરણ ?

– ઉમર ખૈયામ (અનુવાદ: શૂન્ય પાલનપુરી)

3 Comments