Press "Enter" to skip to content

Day: January 15, 2009

એ કેવી સજા છે ?


આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. આદિ શંકરાચાર્યે કહેલું છે કે મનુષ્ય જન્મ, સંતનો સંગ અને મુમુક્ષત્વ એ ત્રણ સૌથી મોટા ભાગ્ય છે. પરંતુ ઘણે ભાગે જોવા મળે છે કે માણસને કદાચ સંતનો સંગ મળી જાય તો પણ મુમુક્ષત્વની ઈચ્છા જાગતી નથી અને એ સંસારના કાદવમાં રમ્યા કરે છે. એ તરસનું ન જાગવું એ કેવી મોટી સજા છે ? અંતિમ પંક્તિઓમાં એવી જ કોઈ તરસનું ન જાગવું રૂપકો દ્વારા વ્યક્ત થયું છે.

કદી દૂર હોવું, કદી પાસ હોવું, વિરહ ને મિલન તો પ્રણયની મજા છે,
પરંતુ મિલનની પળોમાં તમારું, જરા દૂ…ર હોવું એ કેવી સજા છે ?

તમારાં નયન ને હથેળીની બેડી, ગુનેગારને તો સજાની મજા છે,
ગુનો તો અમારોય કાબિલ છે કિન્તુ સજાનું ન હોવું એ કેવી સજા છે ?

મુહોબ્બતની બેચાર રંગીન વાતો ને શમણાં ભરેલી એ સંગીન રાતો,
જૂદાં તોય થાવું એ સમજી શકું છું, સ્મરણનું ન હોવું એ કેવી સજા છે ?

છલોછલ છલકતી આ રણની જવાની, અગન એમ વરસે કે વર્ષતું પાણી
આ વેરાન રણમાં ઝૂરે કૈંક ઝંઝા, હરણનું ન હોવું એ કેવી સજા છે ?

તેં દીધી ફૂલોને રૂપાળી સુગંધી, પતંગાને પાંખો ને ઉડવાની બંધી,
મહેકને પ્રસારી આ બેઠું કમળ પણ ભ્રમરનું ન હોવું એ કેવી સજા છે ?

ઋતુરાણી વર્ષા ને ઉમટેલાં આભે ઘટાટોપ વાદળનાં કેવાં સમૂહો,
છું ‘ચાતક’ સદીઓથી તોયે જુઓને, તરસનું ન હોવું એ કેવી સજા છે ?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments