Press "Enter" to skip to content

એ કેવી સજા છે ?


આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. આદિ શંકરાચાર્યે કહેલું છે કે મનુષ્ય જન્મ, સંતનો સંગ અને મુમુક્ષત્વ એ ત્રણ સૌથી મોટા ભાગ્ય છે. પરંતુ ઘણે ભાગે જોવા મળે છે કે માણસને કદાચ સંતનો સંગ મળી જાય તો પણ મુમુક્ષત્વની ઈચ્છા જાગતી નથી અને એ સંસારના કાદવમાં રમ્યા કરે છે. એ તરસનું ન જાગવું એ કેવી મોટી સજા છે ? અંતિમ પંક્તિઓમાં એવી જ કોઈ તરસનું ન જાગવું રૂપકો દ્વારા વ્યક્ત થયું છે.

કદી દૂર હોવું, કદી પાસ હોવું, વિરહ ને મિલન તો પ્રણયની મજા છે,
પરંતુ મિલનની પળોમાં તમારું, જરા દૂ…ર હોવું એ કેવી સજા છે ?

તમારાં નયન ને હથેળીની બેડી, ગુનેગારને તો સજાની મજા છે,
ગુનો તો અમારોય કાબિલ છે કિન્તુ સજાનું ન હોવું એ કેવી સજા છે ?

મુહોબ્બતની બેચાર રંગીન વાતો ને શમણાં ભરેલી એ સંગીન રાતો,
જૂદાં તોય થાવું એ સમજી શકું છું, સ્મરણનું ન હોવું એ કેવી સજા છે ?

છલોછલ છલકતી આ રણની જવાની, અગન એમ વરસે કે વર્ષતું પાણી
આ વેરાન રણમાં ઝૂરે કૈંક ઝંઝા, હરણનું ન હોવું એ કેવી સજા છે ?

તેં દીધી ફૂલોને રૂપાળી સુગંધી, પતંગાને પાંખો ને ઉડવાની બંધી,
મહેકને પ્રસારી આ બેઠું કમળ પણ ભ્રમરનું ન હોવું એ કેવી સજા છે ?

ઋતુરાણી વર્ષા ને ઉમટેલાં આભે ઘટાટોપ વાદળનાં કેવાં સમૂહો,
છું ‘ચાતક’ સદીઓથી તોયે જુઓને, તરસનું ન હોવું એ કેવી સજા છે ?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

  1. Harishchandra
    Harishchandra January 16, 2009

    ચાતકની તરસને વ્યક્ત કરતી ગઝલ ખૂબ ગમી. આવી જ રીતે ગઝલો લખાય તેવી શુભેચ્છા.
    ખૂબ ખૂબ આશીર્વાદ.

  2. Usha
    Usha January 16, 2009

    અતિ ઉત્તમ કૃતિ. મોટા મોટા ગઝલકારોને પણ હલબલાવી દે તેવી રચના. સાચી, સીધી, સરળ, વાત, અન્યને ગળે ઉતારવી સહેલી નથી. પણ દક્ષેશભાઈ, તમે કરી બતાવ્યું. આ સનાતન સત્યને કોઇ સારા ગાયકના સ્વરમાં મઢાવી રજૂ કરવા વિનંતિ. આવી બીજી કૃતિ ક્યારે મળશે? અમને “ચાતક” ની રાહ ના જોવડાવશો.

    ફરીથી અભિનંદન.

  3. Rajiv
    Rajiv January 16, 2009

    મિત્ર દક્ષેશ,

    ખુબ જ સરસ રચના લખી છે… વાચી આનંદ થયો… અભિનંદન…!

  4. dr firdosh dekhaiya
    dr firdosh dekhaiya January 16, 2009

    સરળ બાની,લાંબી બહર અને વિચારૌચિત્યના કારણે અત્યુત્તમ રચના.

  5. pragnaju
    pragnaju January 15, 2009

    ‘માણસને કદાચ સંતનો સંગ મળી જાય તો પણ મુમુક્ષત્વની ઈચ્છા જાગતી નથી’ સાચી વાત.તેને માટે કૃપા પાત્રતા જોઈએ-જે અંતઃકરણ સાફ કરવાથી આવે…
    તે માટેની આ અભિવ્યક્તી
    છું ‘ચાતક’ સદીઓથી તોયે જુઓને,
    તરસનું ન હોવું એ કેવી સજા છે ?
    સરસ

  6. dilip
    dilip January 15, 2009

    તેં દીધી ફૂલોને રૂપાળી સુગંધી..ભ્રમરનું ન હોવું એ કેવી સજા છે ?

    .. ખુબ સુંદર દક્ષેશ, મનુષ્યત્વ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રયઃ

  7. P Shah
    P Shah January 15, 2009

    સરસ ગઝલ થઈ છે. આ શેર ખૂબ ગમ્યોઃ
    ઋતુરાણી વર્ષા ને ઉમટેલાં આભે ઘટાટોપ વાદળનાં કેવાં સમૂહો,
    છું ‘ચાતક’ સદીઓથી તોયે જુઓને, તરસનું ન હોવું એ કેવી સજા છે ?

    અભિનંદન !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.