આજે ઉત્તરાયણ. બધા ગુજરાતીઓ, ખાસ કરીને સુરતીઓ માટે મોટામાં મોટો ઉત્સવ. આપણે ત્યાં જે ભાતભાતના ઉત્સવો ઉજવાય છે તેમાં ઉત્તરાયણ બધા કરતાં અલગ તરી આવે છે. કારણ આજે લોકો સામાન્ય રીતે આગળ-પાછળ કે આજુબાજુ જોવાને બદલે ઉર્ધ્વગામી જોતાં થાય છે. વરસના ત્રણસો ચોસઠ દિવસ આકાશ તરફ નજર ન કરનાર માનવ પણ આજે અચૂક આકાશમાં પતંગોની સ્પર્ધાને રસથી નિહાળે છે. આબાલવૃદ્ધ સૌકોઈને રંગે રંગી દેનાર આ તહેવાર વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ ધરાવે છે કારણ આજથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ છે. એને કારણે પવનની દિશામાં પરિવર્તન આવે છે. શિયાળાની કાતિલ ઠંડી આજથી ઘટવાની શરૂઆત થાય છે.
અમેરિકાના ઘરોમાં ન તો ધાબાં હોય, ન લોકોને પતંગ ચગાવવાની ફુરસદ હોય કે ન તો સડસડાટ પતંગો ચગાવી શકાય એવું વેધર હોય તો પછી સુંદર અને સ્વચ્છ દેખાતા આકાશમાં રંગીન પતંગો ક્યાંથી આવવાની ? એટલે આજે ભાઈએ ઉત્તરાયણ ઉજવવા માટે ખાસ આમંત્રણ મોકલ્યું ….
આમંત્રણ
પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી
હાલ ખંભાત નિવાસી
શ્રીમતિ સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચિ. પતંગના શુભલગ્ન
હાલ સુરત નિવાસી
શ્રીમતિ ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
ચિ. દોરી સાથે
તા. 14 જાન્યુઆરી 2009 ના રોજ ઘરની અગાશી પર નિર્ધાર્યા છે.
તો, આ શુભ પ્રસંગે નવદંપતિને નવા જીવનમાં સ્થિર કરવા
સગાસંબંધીઓ સહિત પધારી ઘોંઘાટમાં અભિવૃદ્ધિ કરશોજી.
તા. ક. – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે !
તો કહો હવે કોને અગાશીમાં જવાનું મન ન થાય ?
Happy Uttarayan to all our readers !