એમ કહેવાયું છે કે માતા સૌથી શ્રેષ્ઠ શિક્ષક છે. બાળપણમાં મા જે હાલરડાં સંભળાવે છે તેનાથી બાળકના સંસ્કારો અને જીવનઘડતરમાં મોટો ફેર પડે છે. પોતાની શૂરવીરતાથી મરાઠા સામ્રાજ્યને એકસૂત્રે બાંધનાર શિવાજીના શૂરવીર વ્યક્તિત્વમાં માતા જીજાબાઈએ સંભળાવેલ વીરતા ભરેલ હાલરડાંનો પણ ફાળો છે. બે દિવસ અગાઉ આપણે કૈલાસ પંડિતે લખેલ રચના માણી હતી. આજે માણો ઝવેરચંદ મેઘાણી રચિત આ સુંદર રચના હેમુ ગઢવીના સ્વરમાં.
*
*
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ,
બાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ-લખમણની વાત
માતાજીને મુખ જે દી’થી, ઊડી એની ઊંઘ તે દી’થી – શિવાજીને…
પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ,
કાલે કાળાં જુદ્ધ ખેલાશે : સૂવાટાણું ક્યાંય ન રહેશે – શિવાજીને…
ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ,
રહેશે નહીં, રણઘેલુડા ! ખાવા મૂઠી ધાનની વેળા – શિવાજીને…
પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર,
કાયા તારી લોહીમાં ન્હાશે : ઢાંકણ તે દી ઢાલનું થાશે – શિવાજીને…
ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ,
તે દી’ તારે હાથ રહેવાની, રાતી બંબોળ ભવાની – શિવાજીને…
લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય,
તે દી’ તો સિંદોરિયા થાપા, છાતી માથે ઝીલવા, બાપા ! – શિવાજીને…
આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ,
તે દી’ તારાં મોઢડાં માથે ધૂંવાધાર તોપ મંડાશે – શિવાજીને…
આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર,
તે દી’ કાળી મેઘલી રાતે વાયુ ટાઢા મોતના વાશે – .શિવાજીને…
આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ,
તે દી’ તારી વીરપથારી પાથરશે વીશભુજાળી – શિવાજીને…
આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય,
તે દી તારે શિર ઓશીકાં મેલાશે તીર- બંધૂકા – શિવાજીને…
સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ,
જાગી વ્હેલો આવ, બાલુડા ! માને હાથ ભેટ બંધાવા
જાગી વ્હેલો આવજે, વીરા ! ટીલું માના લોહીનું લેવા ! – શિવાજીને…
– ઝવેરચંદ મેઘાણી
8 Comments