Press "Enter" to skip to content

Day: December 15, 2008

રસ્તો કરી જવાના


જેની ખુમારી વિશે એમની રચનાનો એક એક શેર પોકારતો હોય, એ કવિની વાત શું કરવી ? કાળને પણ જે છાતી ઠોકીને કહી શકે કે તું થાય તે કરી લે એવા અમૃત ઘાયલ સાહેબની એક દમદાર રચના આજે માણીએ.

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

– અમૃત ઘાયલ

2 Comments