થઇ જશે જ્યારે પ્રણય તમને
મિત્રો, આજે બેફામની એક સુંદર ગઝલ.
સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હૃદય તમને,
થશે તમને ય આવું, થઇ જશે જ્યારે પ્રણય તમને.
હું તમને સાથ દેવા એટલા માટે જ આવ્યો છું,
કદી લાગે ન મારી જેમ એકલતાનો ભય તમને.
મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,
કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.
મને એથી જ કંઇએ દુઃખ નથી મારા પરાજયનું,
ખુદાની પાસે મેં માગ્યું હતું આપે વિજય તમને.
જગતમાંથી હવે હું જાઉં છું સર્વસ્વ છોડીને,
તમે આવો તો સોંપી જાઉં હું મારું હૃદય તમને.
જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?
- બરકત વિરાણી ‘બેફામ’
June 15th, 2009 at 10:12 pm
શા માટે મનુષ્ય કોઇકને માટે સર્વસ્વ અર્પણ કરવા તત્પર રહે છે જ્યારે સામે પક્ષે તેને હંમેશા નિરાશા જ મળે છે??
ખુબ જ સુન્દર રચના છે…
July 9th, 2009 at 3:11 pm
આંખોની આરપાર ઉતરી ગયા તમે ને હું નજરોમાં શોધતો રહ્યો તમને…? કોઇ ને પણ ગમી જાય તેવી રચના.
July 9th, 2009 at 3:20 pm
only first time i am going to write comment than how it possible that i have already wrriten about this gazal.
July 9th, 2009 at 3:23 pm
thanks it may be error before.