Press "Enter" to skip to content

સમય મારો સાધજે વ્હાલા


મૃત્યુ એક અનિવાર્ય સત્ય છે. ગમે તેટલું ટાળીએ પણ આવવાનું નક્કી. અંત સમયે માનવના મનની સ્થિતિ કેવી હોય તેના પર તેની જીવનભરની તપશ્ચર્યાનો આધાર રહેલો છે. એક રીતે મૃત્યુ એ જીવનની પરીક્ષા છે. તે સમયે માણસના મુખમાં ભગવાનનું નામ હોય, જીવનમાં જે કરવા જેવું હતું તે કરી લીધું એનો આત્મસંતોષ ઝળકતો હોય, મૃત્યુનો ભય ન હોય, પ્રિયતમ પરમાત્માની સાથે ભળી જવાની તૈયારી અને ખુમારી હોય તો તેવું મરણ ધન્ય. સાંભળો સંત પુનીતનું આ પ્રસિદ્ધ ભજન ભાસ્કર શુકલના સ્વરમાં.
*

*
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

અંત સમય મારો આવશે ત્યારે, નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન….. સમય મારો.

જીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ,
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ…… સમય મારો.

કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરીશોર. ….. સમય મારો.

આંખલડી મારી પાવન કરજે, ને દેજે એક લ્હાણ,
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘પુનીત’ છોડે પ્રાણ. ….. સમય મારો.

– સંત ‘પુનીત’

10 Comments

  1. Sosa Jitu, Velva
    Sosa Jitu, Velva May 5, 2011

    વાહ ….. મૃત્યુ નામની હોડી લઈ અમૃતમય સાગરમાં આનંદરૂપી ઈશ્વરને મળવા જવાની વાત છે.

  2. ખૂબજ સુંદર આ ભજન છે. આ કોઈના શોકમાં જાય ત્યારે ગાવા માટે નું નથી પરંતુ હંમેશાં ગાવાનું ભજન છે, જે પ્રભુને રોજ વિનવણી કરે છે કે જો જો ભગવાન સમય ક્યારે શું આવશે તેની ખબર નથી, બસ, તારાથી દૂર કરતો નહિ અને મારા દરેક સમયને તું સાચવી લે જે.
    મારી જીવાદોરી તને સોપું છું.

  3. Paru Krishnakant
    Paru Krishnakant December 30, 2010

    અદભુત .. ખુબસુરત …
    સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.
    ………..
    હંમેશા નિભાવી છે મેં દિલદારી,
    પરંતુ જીવનઅંતે તો સ્વાર્થી થાવું છે !
    તારી બાંહોમાં સમાયીને,
    તારાથી આગળ થાવું છે!
    હોઠો પર રટણ શ્રીજીનું ને,
    શ્વાશોમાં સુગંધ તારી ભરીને ,
    મારે નિંદ્રાધીન થાવું છે .
    – પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

  4. Meena
    Meena September 24, 2010

    આ ગીત મેં મારા મમ્મીના ભજનમાં સાભળ્યું હતું અને જ્યારે સાંભળું ત્યારે માની યાદ આવે.

  5. Bipin Vaidya
    Bipin Vaidya August 3, 2010

    જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે આંખમાં પાણી આવી જાય છે. અદભુત .. ખુબસુરત …

  6. Gopal Bhatt
    Gopal Bhatt June 12, 2010

    પુનિત મહારાજના બીજા ભજનો મુક્વા વિનંતી.

  7. Daxa
    Daxa February 21, 2009

    બહુ જ સુન્દર ….

  8. manvant
    manvant January 17, 2009

    maru priya geet ! Hu pan vadodarano bahenaa !

  9. Rajendra Trivedi, M.D.
    Rajendra Trivedi, M.D. January 17, 2009

    પુનિત મહારાજને યાદ કરાવી દીધા.

    ત્રિવેદી પરિવાર.

  10. pragnaju
    pragnaju January 16, 2009

    કોઈ પણ શોકના પ્રસંગે બેસવા જઈએ તો આ ભજનથી શરુ કરીએ
    મધુર ગાયકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.