Press "Enter" to skip to content

Category: પ્રાર્થના

એ પહેલાં દોડી આવો


અમારા માતુશ્રી
[1940 -2025]
*
તારીખ 16 ઓગષ્ટ, 2025 જનમાષ્ટમીના પાવન પર્વે બ્રાહ્મમુહૂર્તમાં અમારા માતુશ્રીએ એમની જીવનલીલા સંકેલી લીધી. એ પહેલાં, 6 ઓગષ્ટ પવિત્રા બારસના દિવસે વડોદરાના ઘરે મંદિરમાં નવા સ્વરૂપોની સ્થાપના થઈ રહી હતી એમાં મમ્મીએ ખુશખુશાલ ભાગ લીધો. કાર્યક્રમ જ્યારે પૂર્ણતા તરફ જઈ રહ્યો હતો ત્યારે-મને ચક્કર જેવું આવે છે-એમ કહ્યું. ને પછી અસ્વસ્થતા વધતાં હોસ્પિટલ લઈ જવાની પળ આવી ત્યારે જાણે અણસાર આવી ગયો હોય એમ મોટેથી બોલી, હે પ્રભુ, જવાનો સમય આવી ગયો કે શું … કોઈ મને પૂ. માનો અવાજ સંભળાવો, કોઈ બાવની બોલો, અને ભાઈ મોબાઈલમાં વગાડે એ પહેલાં જાતે જ બાવની બોલવા માંડી! (ગયા વરસે થયેલ brain stroke પછી એની યાદદાસ્ત લગભગ નહીં બરાબર હતી. એ કોઈને ખાસ ઓળખતી પણ નહીં.) … હોસ્પિટલમાં CT scan પછી નિદાન થયું કે મેજર બ્રેઈન હેમરેજ છે. ICU માં ત્રણ દિવસ રાખ્યા પછી એને ઘરે લઈ આવ્યા.

હું અમેરિકાથી ભારત આવવા નીકળ્યો ત્યારે બધાંને એમ હતું કે હું મોડો તો નહીં પડું ને. પણ પ્રભુકૃપાથી 12મીએ ભારત આવી ગયો, આવીને મમ્મીને કાનમાં કહ્યું કે હું આવી ગયો પણ આશિષ આપવા ઉઠતો હાથ સળવળ્યો નહીં. જીવનભરની દડમજલ પછી થાક ખાવા એ ઘસઘસાટ સૂઈ ગઈ હતી. હવે તો માત્ર પ્રાર્થના જ થઈ શકે એમ હતી. જીવનના પાછલા ઘણાં વરસો એણે સંતસેવામાં ખર્ચી દીઘેલાં. સત્સંગી પરિવારમાં સહુ એને માસીના હુલામણા નામે જાણે. પૂ.મા સાથે દશરથાચલ પર્વતની કઠિન યાત્રા કરનાર એ એકમાત્ર મહિલા હતી. પૂ.માનો ફોન આવ્યો તો મા કહે, મમ્મી શુભ મૂહૂર્તની પ્રતિક્ષામાં છે. અને ખરેખર જનમાષ્ટમીના પાવન પર્વે બ્રાહ્મ મુહૂર્તમાં ઋગ્વેદના મંત્રો, વિષ્ણુ સહસ્ત્રનામ તથા ગીતાના ધ્યાનયોગ પર યોગેશ્વરજીનું મનનીય પ્રવચન સાંભળી, અંતમાં શાંતિપાઠ થયો એની ગણતરીની પળોમાં અનંતની વાટ પકડી લીધી.
*
મમ્મી અચેતાવસ્થામાં કદાચ પ્રાર્થના ન કરી શકે તો? તો એના વતી પ્રાર્થનાના આ શબ્દો મારા મનની પૃષ્ઠભૂમિમાં સજળ આંખે ઉતરતાં ગયા, અને શ્વાસમાં ઘૂંટાતા રહ્યા.
*

*
મારી હિંમત ખૂટી જાય એ પહેલાં દોડી આવો
મારી ધીરજ ખૂટી જાય એ પહેલાં દોડી આવો

અતિ પ્રબળ તમારી માયા
એમાં જીવો અટવાયા,
જીવ તમને ભૂલી જાય એ (૨) પહેલાં દોડી આવો .. મારી હિંમત

સંકટમાં પ્રાણ છે મારો
પ્રભુ, આવી આપ ઉગારો,
ચિંતન ચિંતાનું થાય એ (૨) પહેલાં દોડી આવો .. મારી હિંમત

અંધારું ઘેરી વળશે
મારગ મુજને ના જડશે,
મારો શ્રદ્ધાદીપ બુઝાય એ (૨) પહેલાં દોડી આવો .. મારી હિંમત

‘ચાતક’ને ના તલસાવો
દર્શનથી ધન્ય બનાવો,
જીવ આકળવિકળ થાય એ (૨) પહેલાં દોડી આવો .. મારી હિંમત

આંખ આંસુથી ઉભરાય એ પહેલાં દોડી આવો
મારી પ્રાર્થના પૂરી થાય એ પહેલાં દોડી આવો

– દક્ષેશ કોન્ટ્રાક્ટર ‘ચાતક’

2 Comments

તમે મન મુકીને વરસ્યાં


મિત્રો, આજે સાંભળીએ મને ખુબ ગમતું એક પદ જેના શબ્દો અને ભાવ ખુબ જ હૃદયસ્પર્શી છે. વારંવાર સાંભળવાનું મન થાય તેવું આ પ્રાર્થના પદનો જૈન સ્તવનમાલા આલ્બમમાં સમાવેશ થયેલો છે.
*
સ્વર – નિશા ઉપાધ્યાય

*
તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં
તમે મુશળધારે વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં

હજારે હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોયે અમે અજ્ઞાની.
તમે અમૃતરૂપે વરસ્યાં અમે ઝેરના ઘૂંટડા સ્પર્શયાં. તમે…

શબ્દે શબ્દે શાતા આપે એવી તમારી વાણી
એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાણી
તમે મહેરામણ થઈ ઉમટયાં અમે કાંઠે આવી અટકયાં. તમે….

સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા
પ્રેમની જ્યોતિ તમે જગાવી આતમ ઉજવળ કરવા
તમે સૂરજ થઇને ચમક્યાં અમે અંધારામાં ભટક્યાં. તમે…

– રચનાકાર ??

14 Comments

વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે


આ પવિત્ર પર્વદિવસોમાં આ સુંદર પ્રાર્થના સાંભળીએ.
*
આલ્બમ : પ્રાર્થનાપોથી-2; પ્રકાશક : સૂરમંદિર

*
વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે રાખો અમને શરણે રે.
અંતરની છે અરજ અમારી ધ્યાન ધરીને સુણજો રે … વંદન કરીએ.

પહેલું વંદન ગણપતિ તમને, રિદ્ધિ સિદ્ધિ આપો રે,
બીજું વંદન માત સરસ્વતી, સત્ય વાણી અમ આપો ને … વંદન કરીએ.

ત્રીજું વંદન ગુરુજી તમને, વિદ્યા માર્ગે વાળો રે,
ચોથું વંદન માતપિતાને, આશિષ અમને આપો રે … વંદન કરીએ.

પાંચમું વંદન પરમેશ્વરને, સદબુદ્ધિને આપો રે,
વિનવે નાનાં બાળ તમારાં, પ્રભુ ચરણમાં રાખો રે … વંદન કરીએ.

4 Comments

વિશ્વંભરી સ્તુતિ


આદ્યશક્તિ મા અંબાના મહિમાને ઉજાગર કરતું પર્વ એટલે નવરાત્રિ. નવ દિવસ મા ભગવતી, મા દુર્ગા એટલે કે શક્તિની, પૂજા, અર્ચના અને સ્તુતિપાઠ. જો કે નવરાત્રિમાં વ્રત-ઉપવાસ રાખવા, અનુષ્ઠાન કરવું, માતાજીને નૈવેદ્ય ચઢાવવું, આઠમને દિવસે હવન કરવો… એવું બહુ ઓછા ઘરોમાં જોવા મળે છે. કેટલાક સુખદ અપવાદો સિવાય આજકાલ તો ઠેકઠેકાણે પીઠ પાછળ ટેટુ ચીતરાવી, બેકલેસ બ્લાઉઝ પહેરી, લેટેસ્ટ ફેશનના અને દરરોજ અલગ અલગ ચણિયાચોળી પહેરી ફિલ્મી ગીતોની ધૂન પર ડીસ્કો ગરબા (ગરબા કહેવાય?) ગવાય છે. હજી એનાથી વધુ શું થાય છે તે લખવાનું મન થતું નથી. પણ આવે વખતે માતાજીને ખરા ભાવે સ્તુતિ કરીએ કે હે મા, દુર્બુદ્ધિને દૂર કરી સૌને સદબુદ્ધિ આપો. તમે આખા વિશ્વના જનેતા છો, અમે સૌ તમારા બાળકો છીએ. અમે સંસારચક્રમાં ફસાયા છીએ. આ મહાભવરોગમાંથી અમને સૌને ઉગારો. સાંભળો મને નાનપણથી જ ખુબ ગમતી વિશ્વંભરી સ્તુતિ બે અલગ સ્વરમાં.
*

*

*
વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યુગ તણો બળાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
આ જિંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

9 Comments

શિવ સ્તુતિ


આજે મહાશિવરાત્રી છે. તો એ નિમિત્તે શ્રી યોગેશ્વરજી રચિત ભગવાન શિવની સુંદર સ્તુતિ સાંભળીએ.
*
આલ્બમ: વંદે સદાશિવમ; સ્વર: આશિત અને હેમા દેસાઈ

*
સુહાયે મસ્તકે ગંગા, વળી મધુ ચંદ્ર માણે છે,
શરીરે પુષ્પની માળા સમા સર્પો સુહાયે છે.
પરમ શોભા બની જેની, લજાયે કામ જ્યાં લાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.

નથી ઐશ્વર્યની તુલના, પતિ બ્રહ્માંડના જે છે,
મધુર છે રૂપ જેનું તોય ત્યાગી રૂપમાં રહે છે.
સદાયે સિદ્ધ ને યોગીન્દ્ર જેને પૂજતા લાખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.

મહાકૈલાસના વાસી વળી આત્મા તણા રાગી,
ભર્યા કરુણા થકી ત્યાગી, છતાંયે ખૂબ વરણાગી.
બધીયે રિદ્ધિ સિદ્ધિ ભુક્તિ મુક્તિ ભક્ત પર નાંખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.

જગત કલ્યાણ કાજે જે હરખતાં નીલકંઠ થયા,
અનંગ કર્યો રતિસ્વામી, ઉમાની સાથ તોય રહ્યા.
ચરણ એ દેવ મારા મસ્તકે મધુરાં સદા રાખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.

તમે ના હોત તો ગંગા મળત ના મર્ત્ય આ જગને,
તમે ઝીલી શક્યા તેને જટામાં દિવ્યશક્તિ એ.
લભી તે દિવસથી ગંગા કરે છે પુણ્યમય લાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.

કરી મજ્જન અને જલપાન લોકો પુણ્ય મેળવતા,
બની ઐશ્વર્યશાળી ને સુખી ને વૈભવી બનતા.
બને છે દૂત યમના જેમની પાસે ખરે માખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.

કહે છે મૂર્ખ માનવ જડ તમોને તે કહે છોને,
નિહાળી પ્રેમ હાલો છો, વળી બોલો મધુર બોલે.
નથી વિશ્વાસ પણ જગને, જગતમાં લાખ છે શાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.

કરે જો પ્રાર્થના ભાવે, ભજે તમને સદા રાગે,
બને ના તો તમારૂં રૂપ પ્રેમી પાસ ના જાગે.
ભગતનો વ્યાજ સાથે પ્રેમ વાળી દો તમે આખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.

મહા ત્યાગી છતાંય ઉમા કરે સેવા તમારી તો,
વળી બ્રહ્માંડના પતિ છો, છતાં એકાંતવાસી છો.
ન સમજે મૂર્ખ જન તમને, મને ના ભ્રાંતિમાં નાંખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.

તમારી હો કૃપા મંગલમયી એ એક આશા છે,
ઉમા-શંકર તમારા દ્રષ્ટિ સુખની ફક્ત આશા છે.
સુણી પોકાર મારો આવજો પ્રેમે કરી પાંખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.

– શ્રી યોગેશ્વરજી (સાભાર સ્વર્ગારોહણ)

5 Comments

મંગલ મંદિર ખોલો


આજે એક ખુબ જ સુંદર પ્રાર્થનાગીત જે સૌએ અવશ્ય ક્યાંક તો સાંભળ્યું જ હશે ને ગાયું પણ હશે. ખાસ કરીને જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તો આ પ્રાર્થનાગીત અચૂક ગાવામાં આવે. નરસિંહરાવ દિવેટીયાની આ અમર રચના આજે માણીએ.
*
[આલ્બમ: પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર ]

*
મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !

જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો; … દયામય !

નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો … દયામય !

– નરસિંહરાવ દિવેટીયા

[ફરમાઈશ કરનાર – હર્ષા જૂઠાની]

19 Comments