Press "Enter" to skip to content

Category: પાર્થિવ ગોહિલ

કબીરવડ – ભૂરો ભાસ્યો ઝાંખો


ભરૂચ પાસે આવેલ કબીરવડથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. એક માન્યતા પ્રમાણે ચૌદમી સદીમાં શુકલતીર્થ ક્ષેત્રમાં જીવા અને તત્વા નામના બે બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતાં, તેમણે વડની એક સૂકી ડાળખી જમીનમાં રોપી અને એવો સંકલ્પ કર્યો હતો કે કોઈ સમર્થ સંતના સ્પર્શથી આ સૂકી ડાળ નવપલ્લિત બને અને તેને કુંપળો ફુટે. વરસો બાદ તેઓ વૃદ્ધ થયા ત્યારે સંત કબીર ત્યાં પધાર્યા. એમણે નર્મદાના નીરથી કબીર સાહેબના પગ ધોયા અને ચરણામૃત લીધા પછીનું જળ આ સૂકી ડાળીમાં સિંચ્યું. બસ, સર્વ ભક્તજનોના આશ્ચર્ય વચ્ચે તે સૂકી ડાળને કુંપળ ફૂંટી અને તે કબીરવડ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. એ પછી તો આખાય ગુજરાત અને ગુજરાત બહાર તેની પ્રસિદ્ધિ થઈ. અનેક વાર નર્મદાના પાણી એ બેટ પર ફરી વળ્યા છતાં ઈતિહાસનો સાક્ષી સમો કબીરવડ આજેય અડીખમ ઊભો છે. કવિ નર્મદે કબીરવડને અદભુત અંજલિ આપતું પદ રચ્યું. મેહુલભાઈએ એનું એટલું જ સુંદર સ્વરાંકન કર્યું. માણો કબીરવડના ગૌરવગીત સમી આ રચના પાર્થિવ ગોહિલના સ્વરમાં.
*
સંગીત: મેહુલ સુરતી, આલ્બમ: નર્મદધારા

*
ભુરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમસે પ્હાડ સરખો,
નદી વચ્ચે ઊભો, નિર્ભયપણે એકસરખો;
દિસ્યો હાર્યો જોદ્ધો, હરિતણું હૃદે ધ્યાન ધરતો,
સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો.

કદે દેખાવે એ, અચરતિ જણાએ જગતમાં,
ખરી મ્હોરાંનો, મગરૂબ રહે દેશ નવ કાં?
મનાએ સત્સંગે, પવિતર કબીરાભગતમાં,
પ્રજાની વૃદ્ધિએ, નિત અમર કહેવાય નવ કાં?

જતાં પાસે જોઊં, વડ નહીં વડોનું વન ખરે,
મળે આડા ઊભા, અતિ નિકટ નીચે ઉપર જે;
વડો ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો,
વળી સંધાઓનું, અસલ જીવતું એક મુળ તો.

કિયૂં ડાળૂં પ્હેલૂં, કંઇ ન પરખાએ શ્રમ કરે ,
ઘસેડ્યો પાડીને, અસલવડ રેલે જણ કહે;
તણાયા છે ભાગો, ઘણી વખત જો એ વડ તણા,
તથાપિ એ થાએ, ફુટ વીસ ગુણ્યા સો પરિઘમાં.

ફૂટી ડાળોમાંથી, પ્રથમ તરુ કેરી નીકળતા,
ખુંચે તેવા તંતુ, વધી જઈ નીચે જે લટકતા;
જટાની શોભાથી, અતિશ શરમાઈ શિવ ઊઠ્યા,
જટાને સંકેલી, વડ તજી ગિરિયે જઈ રહ્યા.

જટા લાંબી લાંબી, મુળ થડથી થોડેક દૂર જે,
નીચે ભૂમિ સાથે, અટકી પછી પેસે મહિં જતે;
મળી મૂળીયાંમાં, ફરી નિકળી આવે તરુરુપે,
થડો બાંધી મોટાં, ઘણીક વડવાઈ કરી રહે.

વળી ડાળો મોટી, ઘણીક વડવાઇથી નિકળે ,
જટા પાછી જેને, અસલ પરમાણે જ લટકે;
નવાં બાંધી થાળાં, નવિન વટવાઇ ઉગી બને,
નહીં ન્હાની ન્હાની, પણ મૂળ તરૂતુલ્ય જ કદે.

વડો વચ્ચે વચ્ચે, તરુ અવર આસોપાલવનાં,
વડોથી ઊંચાં છે, ખીચખીચ ભર્યાં પત્રથી ઘણાં;
ઘણા આંબા ભેગા, વળી ઘણીક સીતાફળી ઉગે,
બીજાં ઝાડો છોડો, વડની વચમાં તે જઈ ઘૂસે.

ઉનાળાનો ભાનુ, અતિશ મથી ભેદી નવ શકે,
ઘટા ઊંચે એવે, જન શીતળ છાયા સુખ લિયે;
ખુલી બાજૂઓથી, બહુ પવન આવી જમીનને,
કરે ચોખ્ખી રૂડી, પછી મીત થઈને ખુશી કરે.

ઘણાં જંતુ પંખી, અમળ સુખ પામે અહિં રહી,
ઘણાં જાત્રાળુઓ, અહીં ઊતરતાં પુણ્ય સમજી;
ઘણા શિકારીઓ, ગમત કરતા રેહ બહુ અહીં,
હજારો લોકોને, અડચણ સમાતાં અહિં નહીં.

અહીંયાંથી જોવી, ચકચકતી વ્હેતી નદી દુરે,
પશુ કો જોવાં જે, અહિં તહિં ચરે બેટ ઉપરે.
ઘટા ભારે જોવી, શબદ સુણવા કોઈ ખગના,
દિલે વાયુ લેવો, સુખ નવ હીણા લે કરમના.

ઘટા થાળાં લીધે, ઘણીક ફરવાને ગલી થઈ,
બખોલો બંધાઈ, રમણીય બહુ બેઠક બની;
નિરાંતે જેમાં તો, ખુશીથકી રમે લાલ લલના,
નિરાંતે જેમાં તો, ખુશીથકી રહે જોગી જપમાં.

દીપે છાયી જાડાં, હરિત કુમળાં પત્ર ઠુમસાં,
વળી રાતા ટેટા, ચુગી બહુ જીવો પેટ ભરતા;
પડે બાજૂએથી, બહુ ખુશનુમા રંગકિરણો,
નીચે ચળકે તડકે, બરફ સરખાં ઠારથી પડો.

ઠરી મારી આંખો, કબીરવડ તુને નિરખીને,
ખરી પાપી બુદ્ધિ, ખરી જ રૂડિ જાત્રા થઈ મને;
વિશેષે શોભે છે, ગભિર વડ તુંથી નરમદા,
કૃતાર્થી મોટો હું, દરશન વડે છું નરમદા.

– કવિ નર્મદ

3 Comments

ઘેરાતી રાત તને યાદ છે?


ગુજરાતી સાહિત્યને અનેક યાદગાર રચનાઓ આપી થોડાં સમય પહેલાં જ અલવિદા કહી જનાર છ અક્ષરનું નામ રમેશ પારેખ. એમના નામથી ભાગ્યે જ કોઈ સાહિત્યરસિક અજાણ હશે. અનોખા ભાવ-સંવેદનો દ્વારા વાચકને એક અનોખી દુનિયાનો અનુભવ કરાવતી એમની રચનાઓ વારંવાર વાંચવાની મજા પડે તો એને સૂરમાં મઢેલી સાંભળવામાં કેવો આનંદ થાય ? આજે એમની એવી જ એક સુંદર રચના માણીએ.
*
આલ્બમ: હસ્તાક્ષર, સંગીત: શ્યામલ-સૌમિલ, સ્વર: પાર્થિવ ગોહિલ

*
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…

– રમેશ પારેખ

7 Comments

પગ મને ધોવા દ્યો


રામાયણમાં આવતો કેવટનો પ્રસંગ ખુબ જાણીતો છે. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા સાથે જ્યારે વનમાં જવા નીકળે છે ત્યારે માર્ગમાં ગંગા પાર કરવા માટે કેવટની નાવમાં બેસે છે. જેના ચરણના રજના સ્પર્શથી પથ્થરની શીલા અહલ્યા બની તેનાં ચરણો પોતાની નાવમાં પડે અને રખેને નાવ પણ નારી બની જાય તો આજીવિકાનું સાધન ચાલ્યું જાય એવી ચતુર દલીલ કરીને નાવમાં બેસતા પહેલાં પ્રભુ રામના ચરણો ધોવાની કેવટ વિનતી કરે છે. આ ભજનની ‘અભણ કેટલું યાદ રાખે જોને ભણેલા ભૂલી જાય’ … એ સુપ્રસિદ્ધ પંક્તિથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. કવિ કાગની વારંવાર સાંભળવી ગમે એવી આ અમર રચના માણો બે સ્વરમાં.
*
સ્વર – પાર્થિવ ગોહિલ

*
સ્વર – પ્રફુલ્લ દવે

*
પગ તમે ધોવા દ્યો રઘુરાયજી …
પ્રભુ મને શક પડ્યો મનમાંહ્ય, પગ મને ધોવા દ્યો

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી;
નાવ માંગી નીર તરવા,
ગુહ બોલ્યો ગમ ખાઈ… પગ મને.

રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી;
તો અમારી રંક-જનની,
આજીવિકા ટળી જાય … પગ મને.

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી
અભણ કેવું યાદ રાખે,
ભણેલ ભૂલી જાય ! … પગ મને.

આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી;
ઊભા રાખી આપને પછી,
પગ પખાળી જાય … પગ મને.

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી;
પાર ઊતરી પૂછીયું ‘તમે,
શું લેશો ઉતરાઈ’ … પગ મને.

નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી;
’કાગ’ લ્યે નહિ ખારવાની,
ખારવો ઉતરાઈ … પગ મને.

-કવિ શ્રી દુલા ભાયા કાગ

10 Comments

કૂંચી આપો, બાઈજી

કવિ શ્રી વિનોદ જોશીનું સુપ્રસિદ્ધ અને હૃદયસ્પર્શી ગીત
સ્વર – પાર્થિવ ગોહિલ
સંગીત – અમર ભટ્ટ
પ્રસ્તુતિ – અર્ચના કથક કેન્દ્ર ભાવનગર.
નૃત્ય નિર્દેશન- જાનકી સોની
*

*
કૂચી આપો, બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી

કોઈ કંકુથાપા ભૂંસી દઈ, મને ભીંતેથી ઉતરાવો,
કોઇ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડાં પકડાવો;
ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી … કૂંચી આપો

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદીયું પાછી ઠેલી;
મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી … કૂંચી આપો

– વિનોદ જોશી

1 Comment