Press "Enter" to skip to content

Category: લતા મંગેશકર

હું રસ્તે રઝળતી વાર્તા


જે દેશમાં નારીને નારાયણી કહી પૂજવામાં આવે તે જ દેશમાં નારીના દેહનો વ્યાપાર થાય છે તે કમનસીબી નથી શું ? પુરુષના સર્જનનું નિમિત્ત બનનાર સ્ત્રી પુરુષને હાથે જ બજારમાં લીલામ થાય એનાથી વધુ દુઃખદ વાત શું હોઈ શકે. એક નારીની વેદના વ્યક્ત કરતું આ ધારદાર અને દર્દીલું ગીત હૈયાને હચમચાવી જાય તેવું છે. સાંભળો લતા મંગેશકરના કંઠે અવિનાશભાઈનું એક વધુ અમર સર્જન.
*
ફિલ્મ – મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦), સ્વર- લતા મંગેશકર

*
હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા
નિરાધાર નારી ધારી મને આંખ્યું ના મચકારતા,
હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા … હું રસ્તે રઝળતી

હું એ સીતા છું રામચંદ્રની વનમાં વિછુડાયેલી
હું શકુંતલા છું દુષ્યંતની પળમાં વિખરાયેલી
હું સતી અહલ્યા …
સતી અહલ્યા થઈને શલ્યા વન વેરાન પડેલી
હું દ્રૌપદી છું નિજ પતિને હાથે રમતે મૂકાયેલી
આ ભેદ-ભરમથી ભરપૂર નયના જીવતાં આંસુ સારતાં …. હું રસ્તે રઝળતી

જગ સંબોધે ‘જગદંબા’ કહી કોઈ નથી પૂજારી
અરે! પૂજારીના પહેરવેશમાં જોયા મેં શિકારી
ટગર-ટગર શું જુઓ છો હું સર્જનની કરનારી
આજ મૂર્તિમંત વિસર્જન થઈને માંગું ભીખ ભિખારી
હું સવાલ છું, હું જવાબ છું, જેને કોઈ નથી વિચારતા … હું રસ્તે રઝળતી

– અવિનાશ વ્યાસ

7 Comments

દીકરી તો પારકી થાપણ કહેવાય


ગુજરાતી ફિલ્મો સિનેમાઘરમાં જઈને ભાગ્યે જ જોઈ હશે. જે થોડીક જોઈ તે ટીવી પર. પણ કેટલીક ગુજરાતી ફિલ્મના ગીતો હૃદય પર કોરાઈ ગયેલાં છે. આજે એવું જ એક ગીત જે મને ખુબ ગમે છે, સાંભળીએ. પોતાની લાગણીઓને સંયમિત રાખનાર પિતા કન્યાની વિદાય સમયે ધ્રુસકે ધ્રુસકે રોઈ પડે છે. કન્યાની વિદાય એ લાગણીશીલ માતાપિતા માટે વજ્રઘાત સમી ઘટના છે, એનું સંવેદનાસભર ચિત્રણ આ ગીતમાં થયેલ છે. આ ગીત સાંભળી દરેક સ્ત્રીને પોતાના લગ્ન સમયે પિયરમાંથી વિદાય થવાની ઘટના યાદ આવે અને દરેક પુરુષને પોતાની બેન કે પુત્રીને આપેલી વિદાય સાંભરશે.
*
ફિલ્મ: પારકી થાપણ; સંગીત: ગૌરાંગ વ્યાસ; સ્વર: લતા મંગેશકર

*
સ્વર- ઐશ્વર્યા મજમૂદાર

*
બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય,
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય,
દીકરી તો પારકી થાપણ કહેવાય

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી’તી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમી વેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એ તો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

– અવિનાશ વ્યાસ

11 Comments

હંસલા હાલો રે હવે


28 સપ્ટેમ્બર, 1929ના રોજ જન્મનાર ‘ભારત રત્ન’  લતા મંગશેકર આજે એંસી વરસ પૂરા કરે છે ત્યારે સરસ્વતીના સદેહે અવતાર સમા લતાજીને સહુ વાચકો તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. 1942માં ફિલ્મ કારકીર્દિની શરૂઆત કરનાર સ્વર કિન્નરી લતાજીએ એમની લગભગ સાડા છ દાયકાની સફર દરમ્યાન વીસ જેટલી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે. બોલીવુડની એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો કંઠ આપ્યો છે. સૌથી વધુ ગીતો ગાવાનો રેકોર્ડ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ઘણાં વરસો સુધી એમના નામે રહ્યો હતો. (જો કે પછીથી કેટલાક લોકોના મત મુજબ આશા ભોંસલેએ એથી વધુ ગીત ગાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો) કુલ ત્રીસ હજારથી વધુ ગીતો ગાનાર લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં પણ કેટલાક યાદગાર ગીતો ગાયા છે. આજે એમાંનું એક ગીત સાંભળીએ.
*

*
હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
મોતીડા નહીં રે મળે … હંસલા હાલો રે

ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો
વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલાનો માર
દીવડો નહીં રે બળે … હંસલા હાલો રે

વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે
કાયા ભલે રે બળે, માટી માટીને મળે
પ્રીતડી નહીં રે બળે … હંસલા હાલો રે

– મનુભાઇ ગઢવી

9 Comments

જય મંગલમૂર્તિ

મિત્રો, આજથી સૌના પ્યારા વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજી પધારી રહ્યા છે. તો આજે ઠેરઠેર ગવાતી મરાઠી ભાષામાં ગવાયેલી આ આરતી સાંભળીએ સ્વરકિન્નરી લતા મંગેશકરના સ્વરમાં.

જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ
દર્શનમાત્રેં મનકામના પૂર્તિ (ધ્રુ.)

સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી
નુરવી પુરવી પ્રેમ કૃપા જ યાચી
સર્વાંગી સુંદર ઉટિ શેંદુરાચી
કંઠે ઝલકે માળ મુક્તા ફળાંચી … જય દેવ

રત્નખચિત ફરા તુજ ગૌરીકુમરા
ચંદનાચી ઉટી કુમકુમ કેશરા
હિરેજડિત મુકુટ શોભતો બરા
રુણઝુણતી નૂપુરેં ચરણી ઘાગરિયા … જય દેવ

લંબોદર પિતાંબર ફણિવરબંધના
સરળ સોંડ વક્રતુંડ ત્રિનયના
દાસ રામાચા વાટ પાહે સદના
સંકષ્ટી પાવાવેં નિર્વાણી રક્ષાવેં સુરવર વંદના … જય દેવ

બોલો ગણપતિ બાપ્પા મોરિયા …

2 Comments

એક રજકણ સૂરજ થવાને શમણે


આજે ઘણાં વરસો પહેલાં સાંભળેલું અને મનમાં વસી ગયેલું ગીત રજૂ કરું છું. અહીં રજકણના રૂપકમાં માનવીની અભિલાષાઓ વ્યક્ત થઈ છે. દરેક વ્યક્તિને ઉપર ઉઠવાના, આગળ વધવાના અરમાન હોય છે, પરંતુ એમના ઓરતા અધૂરા રહી જાય છે. માનવીય ઝંખનાઓની સુંદર અભિવ્યક્તિ વિવિધ રૂપકો દ્વારા કરવામાં આવી છે.
*
સ્વર: લતા મંગેશકર

*
એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઈ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે.

જળને તપ્ત નજરથી શોશી
ચહી રહે ઘન રચવા
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા
વમળ મહીં ચકરાઇ રહે એ કોઈ અકળ મૂંઝવણે.
એક રજકણ…

જ્યોત કને જઈ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઈ લ્હાય
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય
ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ…

7 Comments

વૈષ્ણવજન તો


ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાએ રચેલું અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અતિપ્રિય ભજન ભાગ્યે જ કોઈ ગુજરાતીએ નહીં સાંભળ્યું હોય. વૈષ્ણવ જન એટલે કે વૈષ્ણવ સંપ્રદાયના નહીં પરંતુ પ્રભુના ભક્ત. ભજનમાં એક આદર્શ માનવ અને આદર્શ ભક્તના લક્ષણો વર્ણવવામાં આવ્યા છે. આ ભજન ગાંધીજીની સાંય પ્રાર્થનામાં અચૂક ગવાતું. સાંભળો લતા મંગેશકર, મન્ના ડે તથા આશિત દેસાઈના સ્વરોમાં.
*
સ્વર – લતા મંગેશકર

*
સ્વર – મન્ના ડે

*
સ્વર – આશિત દેસાઈ

*
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ જન

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે’ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ જન

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે… વૈષ્ણવ જન

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે… વૈષ્ણવ જન

વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે… વૈષ્ણવ જન

– નરસિંહ મહેતા

17 Comments