Press "Enter" to skip to content

Category: ઉમાશંકર જોશી

અમે ગીત ગગનનાં ગાશું


સ્વર- સાધના સરગમ, આલ્બમ- હસ્તાક્ષર

*
અમે ગીત ગગનનાં ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું,
કલ-કલ પૂજન સુણી પૂછશો તમે, અરે છે આ શું?
અમે ગીત ગગનનાં ગાશું રે..

સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી, ઠારો નવલખ તારા,
હથેળી આડી રાખી રોકો, વરસંતી જલધારા,
અમે સૂર સરિતમાં ન્હાશું રે..

પંખી માત્રને મુનિવ્રત આપો, ચૂપ કરી દો ઝરણા,
પૂરો બેડીમાં હૃદય હૃદય પર, નરતંતા પ્રભુ ચરણા,
પૂર મૂકી મોકળાં ગાશું રે..

બાળક હાલરડા માગે ને, યૌવન રસભર પ્યાલા,
પ્રૌઢ ભજન ભણકાર ચહે, આપે કોઈ મતવાલા,
અમે દિલ દિલ ને કંઈ પાશું રે..

– ઉમાશંકર જોશી

2 Comments

ચૈતર કોણે દીઠો રે લોલ


ફાગણ મહિનો એટલે હોળીનો મહિનો. પહેલાં હોળીના સમયે મેળા ભરાતા અને તેવે વખતે યુવાનો એકમેકના હૈયાની પસંદગી કરતાં. એ વખતે પ્રેમના પૂરમાં તણાતાં હૈયાની અધિરાઈ કહેતું આ ગીત ઘણું કહી જાય છે. યુવાનીનો સમય ઝડપથી ચાલ્યો જાય છે. પ્રેમની મોસમ પણ આમ રાહ જોવામાં ક્યાંક જતી ન રહે. એથી કન્યા એની સખીને કહે છે કે આ ફાગણ તો ચાલ્યો .. ચૈત્ર તો ક્યારેય આવશે. મારું જોબન ઝોલાં ખાઈ રહ્યું છે. સાંભળો આ સુંદર ગીત સૌમિલ મુન્શી અને દિપાલી સોમૈયાના સ્વરમાં.
*
આલ્બમઃ હસ્તાક્ષર; સંગીતઃ ભાઈલાલભાઈ શાહ


ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.

ગોરી મોરી, હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
વ્હાલા મોરા, ઝૂલ્યો મેલ્યો ન જાય કે ઝૂલશું જિંદગી રે લોલ.

ગોરી મોરી, ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે લોલ;
વ્હાલા મોરા, આ શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.

ગોરી વ્હાલે મેલી આંબલીયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે લોલ;
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે લોલ.

આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે લોલ.

આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે લોલ;
વ્હાલા મોરા, બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અંહી ખડી રે લોલ.

– ઉમાશંકર જોષી

Leave a Comment

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા


આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા સમાન ગણાતા ઉમાશંકર જોશીની આ સુપ્રસિદ્ધ રચના. મુક્ત પંખી બનીને વિહરવું, ઘરની બહાર નીકળી પડવું અને જંગલ તથા પર્વતોને ખૂંદી વળવાની કલ્પના કેટલી મધુરી છે. આજે જ્યારે ઓફિસ કે ઘરની ચાર દિવાલો વચ્ચે જ માણસનું મોટા ભાગનું જીવન વ્યતીત થઈ રહ્યું છે ત્યારે ભોમિયા વિના ભમવાની વાત બે ઘડી કાલ્પનિક સ્વર્ગમાં તાણી જાય છે. વાંચો કુદરતને ખોળે સોનેરી ક્ષણોમાં ખોવાઈ જવાનું આમંત્રણ.
*

*
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

– ઉમાશંકર જોશી

3 Comments