Press "Enter" to skip to content

Category: મીરાંબાઈ

રામ રાખે તેમ રહીએ


ઈશ્વરને મેળવવા ભક્તિમાર્ગનો આધાર લેનારે સર્વસમર્પણની તૈયારી રાખવી પડે છે. જે પણ પરિસ્થિતિ આવી પડે એને પ્રભુનો પ્રસાદ માની આનંદથી સ્વીકારવી પડે છે. મીરાંબાઈએ ભગવાન કૃષ્ણને પોતાનું સર્વસમર્પણ કર્યું હતું. સાંવરિયાને મળવાના માર્ગમાં જે પણ વિઘ્નો આવે, જે પણ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તેને માટે તેમની સંપૂર્ણ તૈયારી હતી. એમની એ ખુમારી આ ભજનમાં છલકે છે. મહેલના હીરના પહેરણ અને શીરો-પૂરીનાં ભોજન છોડીને સાદાં કપડાં અને ભૂખ્યા રહેવા છતાંય બધી જ અવસ્થામાં આનંદ અને સતત સ્મરણ. કહેવું સહેલું છે પણ કરી બતાવવું અત્યંત કપરું છે. મીરાંબાઈએ એ કરી બતાવ્યું અને અમરત્વને હાંસલ કર્યું. પ્રભુભક્તિની ખુમારીથી છલોછલ આ સુંદર પદ સાંભળીએ દિપાલી સોમૈયાના સ્વરમાં.
*

*
રામ રાખે તેમ રહીએ, ઓધવજી… રામ રાખે તેમ રહીએ..
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… રામ રાખે તેમ રહીએ…

કોઇ દિન પહેરણ હિર ને ચીર તો કોઇ દિન સાદા ફરીએ,
કોઇ દિન ભોજન શિરો ને પૂરી તો કોઇ દિન ભુખ્યાં રહીએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

કોઇ દિન રહેવાને બાગ-બગીચા તો કોઇ દિન જંગલ રહીએ,
કોઇ દિન સુવાને ગાદી ને તકીયા તો કોઇ દિન ભોંય પર સુઇએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ સુખ-દુ:ખ સર્વે સહીએ
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

– મીરાંબાઈ

4 Comments

ઝેર તો પીધા જાણી જાણી


જ્યારે ભગવાન કૃષ્ણ માટેની મીરાંબાઈની દિવાનગી રાજમહેલની બધી હદોને પાર કરી ગઈ ત્યારે રાણાએ પોતાની આબરુને બચાવવા માટે મીરાંબાઈને ઝેરનો કટોરો મોકલ્યો. એને એમ હતું કે હવે બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે, તકલીફોનો સુખદ અંત આવી જશે. પરંતુ જેને રામ રાખે એને કોણ ચાખે ? મીરાંબાઈને મારવા માટે મોકલાવેલ ઝેરને પ્રભુએ અમૃતમાં પલટાવી દીધું. એ સ્વાનુભવની કહાણી મીરાંબાઈએ ભજનમાં કરી. માણો એ સુંદર ભજન રેખાબેન ત્રિવેદીના સ્વરમાં.
*

*
નથી રે પીધાં અણજાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધા જાણી જાણી.

કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે;
કડવી લાગે છે કાગવાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધ પાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

રીસ કરીને રાણો ત્રાસ ગુજારે;
ક્રોધ રૂપે દર્શાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને બનાવું રાજરાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

સાધુડાનો સંગ રાણા નહિ છૂટે અમથો રે;
જનમોજનમની બંધાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

સંતો છે માત રાણા, સંતો પિતા મારા;
સંતોની સંગે હું લોભાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
તમને ભજીને હું વેચાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

– મીરાંબાઈ

9 Comments

મુખડાની માયા લાગી


મેડતાની ધરતી પર જન્મી, દાદા દુદાજી પાસે મોટી થઈ, કૃષ્ણભક્ત મીરાં ચિતોડના રાજ પરિવારમાં આવી. પણ પરણું તો પ્રિતમ પ્યારો .. કહી શ્રીકૃષ્ણ સાથે એણે સાત ફેરા ફરી નાખેલા. એથી રાજમહેલ એને માફક ન આવ્યો. પતિએ આ ઘેલી મીરાંની સાન ઠેકાણે લાવવા જાતજાતના પ્રયત્નો કરી જોયા, ત્રાસ આપી જોયો. પણ એથી તો મીરાંનો કૃષ્ણપ્રેમ છાપરે ચઢી બોલવા લાગ્યો. અંતે વૃંદાવનવાસી બની, ભક્તિની અનોખી ઉંચાઈ હાંસલ કરનાર મીરાં શ્રીકૃષ્ણમાં સમાઈ ગઈ. અહીં મીરાંના પ્રસિદ્ધ પદોમાંનું એક પદ, જે મીરાંની દિવાનગીને બખૂબીથી ચિતરે છે, સાંભળો દીપાલી સોમૈયાના સ્વરમાં.
*

*
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા … મુખડાની માયા

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું
તેને તુચ્છ કરી દેવું રે, મોહન પ્યારા … મુખડાની માયા

સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું,
તેને તો શીદ યાચું રે, મોહન પ્યારા … મુખડાની માયા

પરણું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રાંડવાનો નાવે વારો, મોહન પ્યારા … મુખડાની માયા

મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી
સંસારથી રહી ન્યારી રે, મોહન પ્યારા … મુખડાની માયા

– મીરાંબાઇ

4 Comments