Press "Enter" to skip to content

Category: હરીશ મિનાશ્રુ

સાધો


આજે હરિશ મિનાશ્રુની એક સુંદર અર્થસભર રચના માણીએ. જ્યારે કંઈ ખબર ન પડતી હોય ત્યારે મૌન રાખવામાં શાણપણ હોય છે. તો જ્યારે બધું સમજાય ચુક્યું હોય, અનુભૂતિની સીમા પર પહોંચી ગયા હોઈએ ત્યારે વ્યર્થ શબ્દોનો બગાડ કરવાનું મન થતું નથી અને મૌન સહજ થઈ જાય છે.

જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું સાધો,
કબરની સાદગીથી ઘર હવે શણગારવું સાધો.

સમજ પડતી નથી તેથી બીડ્યા’તા હોઠ સમજીને,
બધું સમજી ચૂક્યાં તો શું હવે ઉચ્ચારવું, સાધો.

તને મજરે મળી જાશે રુદનની ક્ષણ બધી રોશન
ગણતરી રાખી શીદ એક્કેક આંસુ સારવું, સાધો.

અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઇને.
અમસ્થી આંખ મીંચીને ગમે તે ધારવું, સાધો.

સિતમનો હક બને છે એમનો શું થાય ? સ્નેહી છે.
કદી ગુસ્સો ચડે તો ફૂલ છુટ્ટું મારવું, સાધો.

સમય ને સ્થળનો વીંટો વાળીને એને કર્યો સુપરત,
બચ્યો છે શબ્દ જેને આશરે હંકારવું, સાધો.

– હરીશ મિનાશ્રુ

2 Comments

તને મારા સોગંદ


હરીશ મિનાશ્રુની આ કૃતિ સંવેદનથી છલોછલ છે. આંસુથી વેદનાની અભિવ્યક્તિ થાય પણ માછલી, જે પાણીમાં રહેતી હોય  એ વેદનાની અભિવ્યક્તિ કેવી રીતે કરે ? એના આંસુને કેવી રીતે ઓળખવા ?  વળી જીવ સોંસરતી ઘૂઘવતી વેદનાને દરિયો કહે .. કાબિલે તારીફ છે. સુંદર રચના માણો કવિતા કૃષ્ણમૂર્તિના કંઠે.
*

*
મને સુક્કા કદંબનું તે પાંદડું કહે
મને ગોકુળ કહે તો તને મારા સોગંદ
મને મોરલી કહે, મોર પીછું કહે,
મને માધવ કહે તો તને મારા સાગંદ.

કેમ કરી આંસુને ઓળખશે ભાઈ,
હું તો પાણીમાં તરફડતી માછલી;
જીવતરની વારતામાં ગૂંથેલી ઘટનાની
ખાલીખમ શ્રીફળની કાચલી;

જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુંયે
દરિયો કહે તો તને મારા સોગંદ.

વેણુંમાં ફરફરતા આદમ ને ઈવ જાણે,
સૂકેલા પાંદડાની જાળી:
ચપટી વગાડતાંમાં ઊડી ગઈ ક્યાંક
મારા ભેરુબંધોની હાથતાળી.

મને ડૂમો કહે કે ભીનું ડૂસકું કહે,
મને માણસ કહે તો તને મારા સોગંદ.

– હરીશ મિનાશ્રુ

7 Comments